Monday, January 20, 2025
HomeSeriesAkshardham Attackઆદમે ACP ગિરીશ સિંઘલને પુછ્યું, “મને ઘરે ક્યારે જવા દેશો?” સિંઘલ એને...

આદમે ACP ગિરીશ સિંઘલને પુછ્યું, “મને ઘરે ક્યારે જવા દેશો?” સિંઘલ એને સાચું કહી શક્યા નહીં.

- Advertisement -

પ્રશાંત દયાળ (અક્ષરધામ અટેક. ભાગ-31): Akshardham Temple Attack Series : એ.સી.પી. ગિરીશ સિંઘલ (ACP Girish Singhal) હવે ઇન્ટ્રોગેશન માટે એક નવી ચાલ ચાલવાના હતા. મૌલાના અબ્દુલા અને મુફતી કયુમ જે પ્રકારના માણસો હતા, તેમની સાથે પોલીસગીરી ચાલે તેમ નહોતી. મૌલાના અને મુફતીને ક્રાઇમબ્રાંચમાં લાવ્યા એને ત્રણ દિવસ થઈ ગયા હતા; છતાં હજી તેઓ એક જ વાતનું રટણ કરતા હતા કે, “અમને કંઈ જ ખબર નથી.”

આદમને તો પાંચ દિવસ થઈ ગયા હતા. સિંઘલે તેનું મોઢું પણ જોયું નહોતું અને તેની પૂછપરછ પણ કરી નહોતી. તેમણે કોન્સટેબલને બોલાવીને કહ્યું, “આદમને લઈ આવો.”

- Advertisement -

પોલીસવાળો ક્રાઇમબ્રાંચના (Crime Branch) પહેલા માળે આવેલા ખાસ સેલમાં ગયો. જમાદાર પાસેથી હાથકડીની ચાવી લીધી અને આદમની હાથકડી ખોલવા લાગ્યો. આદમ એકદમ ખુશ થઈ ગયો. કારણ કે, છેલ્લા પાંચ દિવસમાં તો માત્ર જમવા અને ફ્રેશ થવા માટે જ તેની હાથકડી ખોલી તેને ઊભો કરતા હતા. સતત પાંચ દિવસ દિવાલ સામે મોઢું કરી બેસી રહેવાને કારણે તે પાગલ જેવો થઈ ગયો હતો. હાથકડી ખોલીને કોન્સટેબલે કહ્યું, “ચાલ, ઊભો થા.”

આદમ ઊભો તો થયો, પણ પાંચ દિવસ પછી ઊભો થતો હોવાને કારણે તેના પગમાં ખાલી ચઢી ગઈ હતી. તે પગની પાની ઉપર નીચે કરીને લોહી ફરતું થાય તેવો પ્રયાસ કરી રહ્યો હતો. કોન્સટેબલે તેની સામે જોતાં પુછ્યું, “શું કરે છે?”

આદમે વીનંતીના સૂરમાં કહ્યું, “સાહેબ, પગમાં કીડીઓ ચઢી ગઈ છે.”

- Advertisement -

પોલીસવાળો હસવા લાગ્યો. તેણે કહ્યું, “જલદી કર. નહીંતર કીડીઓ નહીં હાથી ચઢી જશે.”

આદમને આ વાત ગમી તો નહીં, પણ કરે શું? કોન્સટેબલે તેનું પેન્ટ કમરના ભાગેથી પકડી, તેને એ.સી.પી. સિંઘલની ચેમ્બર પાસે લઈ ગયો. તેણે દરવાજો નોક કર્યો; પછી આદમને લઈ ચેમ્બરમાં ગયો. આદમને જોતાં જ સિંઘલના ચહેરા પર ચમક આવી. એકદમ હસ્યા અને કહ્યું, “અરે આદમ, કેમ છે?”

આદમે બે હાથ જોડી કહ્યું, “બસ સાહેબ, તમારી મહેરબાની છે.”

- Advertisement -

જમીન તરફ ઇશારો કરતાં સિંઘલે કહ્યું, “બેસ બેસ.”

સિંઘલ સાહેબની ચેમ્બરમાં આદમ પલાંઠીવાળી જમીન ઉપર બેસી ગયો. સિંઘલે સાથે રહેલા કોન્સટેબલને કહ્યું, “બે ચ્હા લઈ આવ.”

આ વાતનું કોન્સટેબલને કોઈ આશ્ચર્ય થયું નહીં. સિંઘલ કડક પોલીસ અમલદાર હોવા છતાં આરોપીઓ સાથે તેમનો વ્યવહાર મોટાભાગે સારો રહેતો. પોલીસવાળો ચ્હા લેવા ગયો. સિંઘલ કંઈક વિચારી રહ્યા હતા. એવામાં અચાનક સિંઘલનું ધ્યાન આદમ તરફ ગયું. એ દિવાલ સામે જોઈ રહ્યો હતો. સિંઘલે પણ આદમની નજર હતી એ તરફ જોયું; પણ કંઈ સમજાયું નહીં. તેમણે આદમને પુછ્યું, “શું જુએ છે પેલી બાજુ?”

આદમ એકદમ ઝબકી ગયો. તેણે કહ્યું, “કંઈ નહીં સર.”

સિંઘલે કહ્યું, “બોલ બોલ, આદમ.”

દિવાલમાં ટીંગાઈ રહેલાં કેલેન્ડર તરફ ઇશારો કરતાં આદમે કહ્યું, “સાહેબ, હું ક્યારે અહીંયાં આવ્યો હતો; એ જોઈ રહ્યો હતો.”

સિંઘલ તેની સામે જોઈ રહ્યા. તેમણે પુછ્યું, “ક્યારે આવ્યો હતો એની ખબર છે?”

આદમે કહ્યું, “સર, આજે કયો વાર છે?”

સિંઘલે કેલેન્ડર તરફ જોયું અને કહ્યું, “આજે જુમ્મા છે.”

આદમ આંગળીના વેઢા ગણવા લાગ્યો. તેની આંખમાં એકદમ આશ્ચર્ય દેખાયું. તેણે કહ્યું, “સર, બાર દિવસ થઈ ગયા!”

સિંઘલે જોયું કે, તેનો ચહેરો એકદમ પડી ગયો છે. તેમણે પુછ્યું, “તને જમવાનું તો સમયસર મળે છે ને?”

આદમે સાહેબ સામે જોયા વગર માથું હલાવી હા પાડી. સિંઘલે જોયું તો એનાં કપડાં બદલાયેલા હતા. તેમણે પુછ્યું, “તારાં કપડાં કોણ આપી ગયું?”

તેણે કહ્યું, “મારા મહોલ્લાનો છોકરો આવ્યો હતો.”

આદમની નજર જમીન તરફ હતી. સિંઘલ તેની સામે જોઈ રહ્યા હતા. સિંઘલ વાંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે, આદમનાં મનમાં શું ચાલી રહ્યું હશે?

આદમે એકદમ મોઢું ઊંચું કર્યું અને સિંઘલને પુછ્યું, “સર, મને ઘરે ક્યારે જવા દેશો?”

સિંઘલ વિચાર કરવા લાગ્યા કે, આદમ મૂર્ખ છે કે ભોળો? એકદમ શાંતિ છવાઈ ગઈ. સિંઘલ કહેવા માગતા હતા કે, હવે તારું કાયમી સરનામું સાબરમતી જેલ છે! પછી તેમને લાગ્યું કે, રહેવા દો; આવું નથી કહેવું. તેમણે કહ્યું, “મને પણ ખબર નથી. આ બધું મોટા સાહેબ નક્કી કરતા હોય છે.”

એવામાં કોન્સટેબલ ચેમ્બરમાં દાખલ થયો. તેણે સિંઘલને કાચના કપમાં તથા આદમને પેપરકપમાં ચ્હા આપી અને નીકળી ગયો. ચ્હા પીતાં પીતાં સિંઘલે કહ્યું, “આદમ, અમે મુફતી અને મૌલાના, બંનેના લઈ આવ્યા છીએ; પણ મુફતી તો કહે છે કે, એ તને ઓળખતા જ નથી.”

આદમે પોતાનો કપ જમીન પર મૂકી દેતાં કહ્યું, “સાચું છે સાહેબ. તે મને ઓળખતા જ નથી. મને તો મૌલાના અબ્દુલા ઓળખે છે.”

સિંઘલે તરત કહ્યું, “હા, પણ મૌલાના પણ કહે છે કે, તું બે છોકરાઓને લઈ ગયો હતો; તે કોણ હતા? શું કામ આવ્યા હતા? મુફતીને કેમ મળ્યા હતા? તેની ખબર જ નથી.”

આદમ એકદમ ગુસ્સામાં આવી ગયો અને કહ્યું, “અરે સાહેબ, તેમને બધી જ ખબર હતી. મેં પોતે મૌલાના સાહેબને કહ્યું હતું કે, આ છોકરાઓ કોમનું કામ કરવા આવ્યા છે.”

સિંઘલે એને તરત રોક્યો અને પુછ્યું, “કોમનું કામ એટલે?”

આદમે કહ્યું, “સર, કોમનું કામ એટલે 2002નો બદલો લેવાનું કામ. મેં મૌલાના સાહેબને બધું સાચું જ કહ્યું હતું. મેં એ પણ કહ્યું હતું કે, આ છોકરાઓ કામને અંજામ આપતા પહેલાં મુફતી સાહેબને મળવા માગે છે. એટલે જ તો હું મૌલાના અને પેલા બે છોકરા બહાવીર હોલમાં સાથે ગયા હતા. જ્યાં મને બહાર બેસાડી તે ચારે જણાએ કંઈક વાત કરી હતી. પછી મને કહેવામાં આવ્યું હતું કે, તારું કામ પુરું; તુ જતો રહે.”

સિંઘલે પુછ્યું, “અક્ષરધામ અટેક (Akshardham Attack) પછી તને કોઈનો ફોન આવ્યો હતો?”

આદમે કહ્યું, “ના સાહેબ.”

સિંઘલ અને આદમની ચ્હા પૂરી થઈ ગઈ. સિંઘલે બેલ મારીને કોન્સટેબલને બોલાવ્યો અને કહ્યું, “મૌલાનાને લઈ આવો,”

આદમના ચહેરા પર હાવભાવ બદલાયા. થોડોક ડર પણ દોડી આવ્યો. આદમને લાગ્યું કે, હવે મૌલાનાની સામે સાચું બોલવાનું છે. કદાચ મૌલાના ગુસ્સે પણ થઈ જશે; પણ હવે આદમ પાસે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો. થોડીવાર પછી પોલીસવાળો મૌલાના અબ્દુલાને લઈ ચેમ્બરમાં દાખલ થયો. જેવી મૌલાનાની નજર આદમ પર પડી; તેમના ચહેરાનો રંગ ઊડી ગયો. તેમને 440 કિલો વોલ્ટનો કરંટ આપ્યો હોય તેમ તેમનો ચહેરો સફેદ પડી ગયો!

સિંઘલ આ બધું જ જોઈ રહ્યા હતા. આદમે નજર ઉપર કરી મૌલાના સામે જોયું અને તરત નજર નીચે કરી લીધી. મૌલાના સમજી ગયા કે, આદમે વટાણા વેરી દીધા છે. હવે તમામ પત્તાં ખુલ્લાં કરી દેવા સિવાય કોઈ રસ્તો નથી. સિંઘલે વિચારમાં પડી ગયેલા મૌલાનાને તંદ્રામાંથી બહાર લાવતાં કહ્યું, “આવો મૌલાના, કેમ છો?”

મૌલાનાએ સિંઘલ સામે જોતાં કહ્યું, “બસ સર, સારું છે.”

આટલું બોલતાં પણ મોલાનાની નજર આદમ તરફ જ જતી હતી. સિંઘલે ફરી પોલીસવાળાને બોલાવ્યો અને કહ્યું, “આદમને લઈ જાવ.”

પોલીસવાળો આદમને લઈ બહાર ગયો. બહાર જઈ રહેલા આદમને મૌલાના છેક સુધી જોઈ રહ્યા.

(ક્રમશ:)

Part 30 : ગેટ પર રહેલા પોલીસવાળાએ ડી. જી. વણઝારાને જાણ કરી, મુફતી કયુમના વકીલ તમને મળવા આવ્યા છે

આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  • લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  • જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  • 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  • શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  • દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  • નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular