નવજીવન ન્યૂઝ. સુરતઃ સરકાર દ્વારા તો હાલ નિર્ણય લેવામાં આવ્યો કે ધોરણ 6 થી 8 માં ભણતા બાળકોને ભગવદ્દ ગીતાઓના પાઠ ભણાવામાં આવશે, નિર્ણય કેટલો યોગ્ય છે કેટલો નથી તે નિશ્ચિત રૂપે ફેરવિચારણાનો વિષય છે પણ સુરત જિલ્લાની એક એવી સરકાર માન્ય પ્રાથમિક શાળા છે જે જ્યાં છેલ્લા 12 વર્ષ કરતાં પણ અગાઉથી શિક્ષક શાળાના બાળકોને ભગવદ્દ ગીતાના પાઠ ભણાવી રહ્યા છે, જોકે અહીં આપને જાણીને નવાઈ લાગશે કે તે શિક્ષક મુસ્લિમ છે, તમામ ધર્મ પ્રત્યેના પ્રેમનું હવે આથી વધુ ઉદાહરણ કયું હોય તેવો ભાવ આપણા મનમાં આવી જાય તે સ્વાભાવીક છે કારણ આ શિક્ષક મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ માટે કુરાન એ શરીફની પણ તાલીમ આપતા આવ્યા છે.

શિક્ષકને વિશ્વનો સર્જનકાર કહ્યો છે તેનું કારણ એ છે કે તે આપણું ભાવી સમાજ ઘડે છે, આપણું પરિવાર ઘડે છે, આપણા રિવાજ ઘડે છે, આપણું ભવિષ્યનું વિશ્વ લખે છે. જેથી શિક્ષકનો કોઈ ધર્મ, જ્ઞાતિ કે જાત પાત નથી હોતા, તેના માટે બધા જ ધર્મ એક સરખા હોય છે. આ વાતને સાર્થક કરી છે માંગરોળ તાલુકામા ઝાંખરડા ગામે આવેલી સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક શાહ મહોમદ સઈદે શાહ મહોમદ સઈદ છેલ્લા બાર વર્ષ અગાઉથી ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે, શાહ મહોમદ સઈદે શિક્ષક સેવા શરૂ કરી ત્યારથી જ બાળકોને સંસ્કાર સાથે શિક્ષણ મળે એવા પ્રયાસો હાથ ધર્યા અને સફળ પણ થયા, ઝાંખરડા ગામમાં હિન્દુ-મુસ્લિમ બન્ને સમાજની વસ્તી છે, ગામની પ્રાથમિક શાળામાં 1થી 5 ધોરણ સુધી અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, જ્યાં હાલ હિન્દુ-મુસ્લિમ બંને સમાજના 71 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે, અને બન્ને સમાજના બાળકોને શિક્ષક ધર્મ પુસ્તકના પાઠ કરાવી રહ્યા છે.

મોહમ્મદ મલેક, વિદ્યાર્થી, ઝાખરડાં પ્રાથમિક શાળા, નું કહેવું છે કે, “કદાચ સમગ્ર રાજ્યની પહેલી આ શાળા હશે જ્યાં મુસ્લિમ શિક્ષક મુસ્લિમ બાળકોને કુરાન અને હિન્દુ બાળકોને ભાગવત ગીતાનું રોજ રસપાન કરાવે છે, શાળાના શિક્ષક દ્વારા કરવામાં આવી રહેલી આ પ્રવૃત્તિથી શાળામાં અભ્યાસ કરતા બંને ધર્મના બાળકોમાં સંસ્કાર જોવા મળી રહ્યા છે, સૌ પ્રથમ તો બાળકોની યાદ શક્તિ વધી અને હિન્દુ ધર્મના બાળકો શાળાએ આવે એ માં બાપ ને વંદન કરી મદિરે જાય છે અને મુસ્લિમ ધર્મના બાળકો મસ્જિદ એ જાય છે અને બાદમાં શાળા આવે છે. શાળાના શિક્ષકને જે કાંઈ ધર્મ પુસ્તકનું વાંચન કર્યું એ જણાવે છે. તેમજ શાળાએ છૂટ્યા બાદ એક લાઈનમાં ઘરે જાય છે અને મમ્મી પપ્પાને પાણી પીવડાવ્યા બાદ જ પાણી પીવે છે. જમતા પહેલા ભગવદ્ ગીતાના પાઠ કરે છે પછી જ જમે છે. ભગવદ્દ ગીતાના પાઠથી બાળકોમાં સારા સંસ્કારો જોવા મળી રહ્યા છે. બાળકો રોજ એક રૂપિયો બચાવે છે અને બિસ્કીટના પાકિટ લાવી સરકારી દવાખાનામાં જાય છે અને દર્દીઓને આપે છે, તેમજ ગામમાંથી કદાચ કોઈ જગ્યાએથી કોઈના ખોવાઇ ગયેલા પૈસા મળે તો શાળાના શિક્ષક પાસે જમા કરાવી આપે છે. સૌ બાળકોએ જિંદગીમાં ક્યારેય જુગારના પત્તા નહીં જોવાનો સંકલ્પ પણ કર્યો છે. સરકાર દ્વારા હાલમાં જ નિર્ણય લેવામાં આવ્યો છે ધોરણ 6 થી 8 માં શાળાઓમાં ભગવદ્દ ગીતાઓના પાઠ ભણાવામાં આવશે જેનો મુખ્ય શિક્ષક દ્વારા સરકારની આ અભિગમને બિરદાવ્યો છે.

(અહેવાલ દિલીપ ચાવડા તરફથી આભારસઃ)
![]() |
![]() |
![]() |











