Leader of Chaudhary community kidnapped and beaten up in Banaskantha : દોઢ વર્ષ અગાઉ જાગીર મઠના વિવાદ દરમિયાન સમાજને કરેલી અપીલની અદાવત રાખી કેટલાંક શખસોએ ચૌધરી સમાજના આગેવાનનું અપહરણ કરી દેવ દરબાર જાગીર મઠ ખાતે લઈ જઈ અનુયાયીઓએ માર માર્યો (Followers of Dev Darbar Jagir Math committed a crime) હતો. ચૌધરી સમાજના આગેવાનને દેવ દરબાર મઠમાં નિર્વસ્ત્ર કરી માર મારવાની ઘટના બાદ પોલીસ (112 જન રક્ષક સ્ટાફ)ની હાજરીમાં બળદેવનાથજીના અનુયાયીઓએ માફી મગાવી વીડિયો ઉતાર્યો હતો. આ ઘટનાના પાંચ દિવસ બાદ થરા પોલીસે મઠના અનુયાયીઓ સહિત અજાણ્યા શખસો સામે ગુનો નોંધ્યો હતો. આ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, પરંતુ ડીવાયએસપી સી. એલ. સોલંકી (C L Solanki DySP) નામ જાહેર કરતા સંકોચ અનુભવે છે. અત્રે નોંધનીય છે કે, થરા પોલીસે દેવ દરબાર મઠના અનુયાયીઓ સામે નોંધાયેલી ફરિયાદ સંવેદનશીલની યાદીમાં મુકી દઈ માહિતી છુપાવવા પ્રયાસ કરી રહી છે. આ મામલે નવજીવન ન્યૂઝના પ્રતિનિધિએ પીઆઈ એન. કે. વિંઝુડા (PI N K Vinzuda) ને સંવેદનશીલ ફરિયાદ કેમ કરવામાં આવી છે તેવો સવાલ પૂછતા ફોન કટ કરી દીધો હતો.
બનાવની વિગત એવી છે કે, દોઢ વર્ષ અગાઉ રાધનપુરના સુબાપુરા ગામે એક લગ્ન પ્રસંગે દેવ દરબારના બળદેવનાથજી (Dev Darbar Jagir Math Baldevnathji) અને ગોંવિદપુરી બાવા વચ્ચે બોલાચાલી થઈ હતી. બળદેવનાથજીએ કહ્યું કે, હું જ્યાં હોઉ ત્યાં તારે આવવું નહીં તેમ ગોવિંદપુરીનું અપમાન કરી મારવા માટે લાકડી ઉપાડી હતી. આ ઘટના બનતા બંનેની અલગ-અલગ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સમી તાલુકાના દાદર ગામે રહેતા અજમલભાઈ પાનાભાઈ ચૌધરી આ ઘટનાના સાક્ષી હતા. અજમલભાઈએ અન્ય આગેવાનોની હાજરીમાં દેવ દરબાર જાગીર મઠના વિવાદ અંગે અપીલ કરી હતી. જેની અદાવત રાખી ગત 11 જુલાઈના બપોરે અજમલભાઈનું અપહરણ કરવામાં આવ્યું હતું.
અજમલભાઈ ચૌધરી ગત 11 જુલાઈના રોજ બપોરે બારેક વાગે કાંકરેજ તાલુકામાં લોકાચારે જઈ કારમાં પરત ફરી રહ્યા હતા. આ સમયે થરા દિયોદર નાળા પાસે કાર તેમજ બાઈક પર આવેલા શખસોએ અજમલભાઈની કારને આંતરી હતી. વિષ્ણુ લાલા ઠાકોર, દિગુભા વાઘેલા, બલા ભલા રબારી સહિતના શખસોએ કારને આંતર્યા બાદ બલા રબારીએ અજમલભાઈના ગળે છરી મુકી સમાજનો મોટો આગેવાન થઈ ગયો છે તેમ કહી ગાડીની પાછળની સીટ પર બેસાડી અપહરણ કરી દેવ દરબાર ખાતે લઈ ગયા હતા. જ્યાં ગુલાબસિંહ, દેવ દરબાર મઠના બળદેવનાથજીનો ભાણેજ અને બે અજાણ્યા શખસો અજમલભાઈને મઠમાં લઈ જઈ નિર્વસ્ત્ર કરી દોરડાથી બાંધી દઈ લાકડી-હોકીથી માર માર્યો હતો. દરમિયાનમાં અજમલભાઈ ઉપર તેમના પુત્ર વિનોદનો ફોન આવતા તેને ઘટનાની જાણ થઈ ગઈ હતી. આરોપીઓએ અજમલભાઈનો ફોન ઝૂંટવી લઈ કટ કરી દીધો હતો. વિનોદે ઘટનાની જાણ થતા 112 પર ફોન કરતા થરા પોલીસ (Thara Police) દોડી આવી હતી, પરંતુ 112 સ્ટાફની હાજરીમાં આરોપીઓએ અજમલભાઈ પાસે માફી માગતો વીડિયો બનાવ્યો હતો.








