Mata Vaishno Devi Yatra suspended due to heavy rains : જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં અતિભારે વરસાદે તબાહી મચાવી છે. મૂશળધાર વરસાદના કારણે દરહાલી નદીનું જળસ્તર ભયજનક (Jammu and Kashmir Flood) બન્યું છે અને બેલા કોલોનીમાં પાણી ઘૂસી ગયા છે. માંજાકોટમાં વાદળ ફાટતા આખેઆખું કબ્રસ્તાન ધોવાઈ ગયું છે. જ્યારે કટરામાં ભારે વરસાદના કારણે માતા વૈષ્ણોદેવીની યાત્રા સ્થગિત કરી દેવાઈ છે. જેના કારણે 15 હજાર ભક્તો કટરામાં ફસાયા છે. વરસાદના કારણે થયેલા ભૂસ્ખલનના કારણે નેશનલ હાઈવે બ્લોક થતા NHAI દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી આરંભી છે.
રાજૌરી જિલ્લામાં મધ્યરાત્રિથી સવાર સુધી થયેલા અતિભારે વરસાદે ભારે તબાહી મચાવી છે. ભારે વરસાદના કારણે દરહાલી નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું હતું. નદીના પાણી નજીકની બેલા કોલોનીમાં ઘૂસી જતાં આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. અસંખ્ય પરિવારો ઘરોમાં કેદ થઈ ગયા છે. પાર્ક કરાયેલા વાહનો રમકડાની જેમ પૂરમાં તણાઈ ગયા હતા. રાજૌરીના માંજાકોટમાં વાદળ ફાટતા (Cloud burst in Rajouri) આખેઆખું કબ્રસ્તાન સંપૂર્ણપણે ધોવાઈ ગયું છે. કેટલાંક સ્થળે લોકો ફસાઈ ગયા છે. કટરા અને આસપાસના વિસ્તારોમાં પણ રાતભર ધોધમાર વરસાદ વરસતા સુરક્ષાના કારણોસર માતા વૈષ્ણોદેવીની યાત્રા સ્થગિત રાખવામાં આવી છે. યાત્રાના રૂટ ઉપર ભૂસ્ખલન થયું હોવાના સમાચાર છે. જેથી હાલ પૂરતી હેલિકોપ્ટર, બેટરી કાર સેવા તથા ઘોડા-પિઠ્ઠુ અને પાલખી જેવી સુવિધાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવાઈ છે.








