નવજીવન ન્યૂઝ. સુરતઃ Surat Crime News: સુરતમાં પતિ-પત્નીના કિસ્સામાં ચોંકાવનારી વિગત સામે આવી છે. સામાન્ય રીતે યુવતી કે મહિલાને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરી છોડી દેવાના, બળાત્કાર, આર્થિક શોષણ સહિતની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતી હોય છે. પરંતુ સુરતના (Surat) કિસ્સામાં ઉલ્ટી ગંગા જોવા મળી છે. જ્યાં એક પરિણીત પુરુષે પોતાની પત્ની પર લગ્ન જીવન દરમિયાન અન્ય પુરુષો સાથે સંબંધ (Extramarital affair) રાખી પતિનું શારીરિક શોષણ કર્યું હોવાની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, સુરતમાં એક યુવતીએ કુંવારી હોવાનું કહી વર્ષ 2010માં સુરતના યુવાન સાથે લગ્ન કર્યા હતા. 4 વર્ષ અગાઉ પતિને પત્નીના ચારિત્ર પર શંકા જતા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરતા તે અનેક લોકો સાથે વાતચીત કરતી હોવાનું સામે આવ્યું હતું. પરિવારને સમગ્ર ઘટનાની જાણ કરતા દાંપત્ય જીવન ટકાવવાના પ્રયત્ન કરીને સમાધાનનો રસ્તો અપનાવ્યો હતો. પરંતુ ત્યારબાદ પણ મહિલાના અન્ય લોકો સાથે સંબંધ રાખતી હતી.
પત્નીના 2019માં અન્ય પરુષ સાથે પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યા બાદ પતિએ તેની પત્નીની વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તેની સાથે લગ્ન થયાં તે પહેલા જ તેના અન્ય એક યુવક સાથે લગ્ન થયા હતા. જે વાત મહિલાએ છુપાવી હતી. જેના પુરાવા પણ પતિને મળ્યા હતા. સાથે મહિલાના પર પુરુષો સાથે પણ સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું. પતિ-પત્નીને લગ્નજીવન દરમિયાન બે સંતાનો હતા. આ પૈકી નાના સંતાનનું ડી.એન.એ. ટેસ્ટ કરાવતા ચોંકાવનારી વિગત સામે આવી હતી. ડી.એન.એ. ટેસ્ટમાં આ બાળક ન તો તેનું હતું કે ન તો પહેલા પતિનું હતું. આ બાળક કોઈ ત્રીજી વ્યક્તિનું હોવાનું સામે આવ્યું હતું.
ડિ.એન.એ. ટેસ્ટમાં ચોંકવાનારી વિગત આવતા પતિએ પત્ની જોડે તમામ સંબંધો તોડી નાખ્યા હતા. આ મહિલાએ યુવક સાથે લગ્ન કરીને 10 વર્ષ સુધી તેનો શારીરિક, આર્થિક અને સામાજિક શોષણ કર્યું હોવાથી પોતાની પત્ની વિરુદ્ધમાં બળાત્કારીની ફરિયાદ નોંધવા માટે સુરત પોલીસ કમિશનરમાં (Surat Police) અરજી કરી હતી. પરંતુ પોલીસે આ કેસમાં કોઈ પગલા ન લેતા યુવકે કોર્ટમાં ફરિયાદ કરી છે. આ કેસમાં આગામી 11 તારીખે કોર્ટમાં સુનાવણી થવાની છે. ત્યારે જોવાનું રહ્યું કે કોર્ટે શું નિર્ણય લેશે.








