કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): જમ્મુ-કાશ્મીરની (Jammu kashmir) આજે જે સ્થિતિ છે, તેમાં તેના પ્રશ્નોને લઈને કોઈ ચોક્કસ આકલન પર આવવું મુશ્કેલ છે. કાશ્મીરની સમસ્યાને દરેકે પોતાની દૃષ્ટિએ જોઈ છે. કાશ્મીરને આ રીતે જોનારાઓમાં અનેક શીર્ષ નેતૃત્વ ધરાવનારા છે અને એ. એસ. દુલત (A S Dulat) જેવાં પૂર્વ અધિકારીઓ પણ છે. અમરજીત સિંઘ દુલત ‘ઇન્ટેલિજન્સ બ્યુરો’ના પૂર્વ ડિરેક્ટર રહી ચૂક્યા છે અને 1999-2000 દરમિયાન તેઓ ભારતની ગુપ્તચર સંસ્થા ‘રૉ’માં સેક્રેટરીના પદે હતા. અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન પદે હતા ત્યારે તેઓ જમ્મુ કાશ્મીર સંબંધિત પ્રશ્નોના સલાહકાર રહ્યા હતા. તેમણે કાશ્મીર અંગે ‘કાશ્મીર- ધ વાજપેયી યર્સ’ નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં તેમણે કાશ્મીર અને કાશ્મીરીઓ સાથેના સંબંધોની વિગત લખી છે. એ. એસ. દુલતની પુસ્તકની તમામ વિગત તો અહીં આપવી શક્ય નથી, પરંતુ તેમાંથી કેટલાંક અંશોથી કાશ્મીર અને કાશ્મીરીઓની વાસ્તવિકતા જોઈ શકાય છે. તે પછી તેમણે ‘ધ ચિફ મિનિસ્ટર એન્ડ ધ સ્પાય’ નામનું પુસ્તક પણ લખ્યું છે. આ પુસ્તકમાં ‘ચિફ મિનિસ્ટર’ એટલે ફારૂખ અબ્દુલ્લા છે; અને તેમના વચ્ચેની પાંગરેલી મૈત્રીનો આ દસ્તાવેજ છે. આ બંને પુસ્તકોમાં એ. એસ. દુલત કાશ્મીરનો પોતાનો દૃષ્ટિકોણ મૂક્યો છે.

એ. એસ. દુલત ‘કાશ્મીર- ધ વાજપેયી યર્સ’માં લખે છે : ‘હું દિલ્હીમાં હોવું કે કાશ્મીરમાં કે પછી વિદેશમાં, કાશ્મીરીઓ સાથે હું સતત ખૂબ વાતો કરતો. 2013માં હું શબીર ચૌધરી નામના એક કાશ્મીરીને લંડનમાં મળ્યો અને તેણે મને પહેલો પ્રશ્ન એ પૂછ્યો કે ‘એવો કયા કાશ્મીરી આગેવાન છે, જેને તમે અત્યાર સુધી નથી મળ્યા?’ મેં કહ્યું – ‘સૈયદ અલી શાહ ગિલાની’[પાકિસ્તાન તરફનું વલણ ધરાવનારા અલગાવવાદી આગેવાન]. ખરેખર તો તે આવું પૂછીને એવું જાણવા માંગતો હતો કે હું અત્યાર સુધી કોને-કોને મળી ચૂક્યો છું. કાશ્મીરીઓને તમારી સાથે એકાંતમાં વાત કરવામાં આનંદીત જોઈ શકો છો – બીજા ન જાણે ત્યારે વિશેષ રીતે. સામાન્ય રીતે કાશ્મીરીઓ અન્ય પર વિશ્વાસ નથી મૂકતા. સરકારની મારી જવાબદારી પૂર્ણ થયા બાદ મારાં સાઉથ દિલ્હીનાં ઘરના દરવાજા કાશ્મીરીઓ માટે હંમેશા ખુલ્લાં રહ્યા છે. મારે ત્યાં અનેક અલગાવવાદી આગેવાનો પણ આવતા. 2002ના જમ્મુ-કાશ્મીરના વિધાનસભાની ચૂંટણી બાદ ફારૂખ અબ્દુલ્લા ‘પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી’ના આગેવાન ગુલામ હસ્સન મીરને મારા નિવાસસ્થાને મળ્યા હતા. 2008ના ચૂંટણી દરમિયાન જ્યારે ફારૂખ અબ્દલ્લા ગુલામ હસ્સન મીર સામે તંગમાર્ગ વિધાનસભામાં પ્રચાર કરી રહ્યા હતા ત્યારે તેમણે જાહેરમાં કહ્યું હતું કે તેઓ મીરને ‘રૉ’ અધિકારીના નિવાસસ્થાને મળ્યા હતા.’ આવી ઘટનાઓના કારણે કાશ્મીરી લોકોને ઇન્ટેલિજન્સ એજન્સી પર વિશ્વાસ બનતો નહીં – તેવું એ. એસ. દુલત સ્વીકારે છે.
કાશ્મીરીઓના કેટલાંક ગુણ-મર્યાદા અંગે એ.એસ. દુલત પોતાના નિરીક્ષણ મૂકતા લખે છે કે, ‘કાશ્મીરીઓનું વ્યક્તિત્વ મહદંશે જટિલ રહ્યું છે. તેમને સમજવા કે તેમની સાથે હળવુંમળવું સરળ નથી. જોકે તેઓ વ્યક્તિ તરીકે ખૂબ જ સારાં, સંવેદનશીલ અને ભલા હોય છે. તેમ છતાં તેઓ તમને ભરમાઈ શકે અને અતિશોયક્તિ કરી શકે છે.’ કાશ્મીરીઓ વિશે આવું લખનાર પોતે ગુપ્તચર છે અને ઇન્ટેલિજન્સ એજન્સીમાં તેઓ વર્ષો સુધી રહ્યા છે એટલે તેઓ કોઈ પ્રજાને આ રીતે જોઈ શકે છે. તેઓ એવું પણ લખે છે કે કાશ્મીરીઓ સામાન્ય રીતે તમને સાચું કહેતા નથી, કારણ કે તેમને એવું લાગે છે કે તમે તેમની સાથે ખોટું બોલી રહ્યા છો. અને એટલે બ્રજેશ મિશ્રા[દેશના પ્રથમ નેશનલ સિક્યૂરિટી એડવાઇઝર]એ એક વાર સ્પષ્ટપણે કહ્યું હતું કે, કાશ્મીરમાં માત્ર એક બાબત સીધીસટ છે અને તે છે પોપલર વૃક્ષો. દિલ્હીનો પ્રશ્ન એ રહ્યો છે કે તેમણે કાશ્મીરની બાબતમાં બધું જ બ્લેક એન્ડ વ્હાઇટમાં જોયું છે, જ્યારે કાશ્મીરીઓનો ગમતો રંગ ગ્રે છે.
કાશ્મીરીઓ સમજવા મુશ્કેલ છે તેને લઈને પણ એ. એસ. દુલતની વાત કાશ્મીરના વિદ્વાન બલરાજ પુરી સાથે થઈ હતી. બલરાજ પુરીએ એક વખત દુલતને કહ્યું હતું કે, ‘એક પંજાબી હિંદુ કાશ્મીરને ક્યારેય સમજી નહીં શકે, કારણ કે તે ભાગલાનો ભાર લઈને ફરે છે.’ દુલતને આ વાત સારી રીતે સમજાઈ હતી. તેમનું માનવું છે કે કાશ્મીર અને કાશ્મીરીઓને સમજવા માટે એક જીવન ઓછું પડે. અહીંયા એક પડની નીચે અનેક પડ ધરબાયેલા છે અને તેમ છતાં તેનું સત્ય પામી શકાતું નથી.
લેખક તે પછી રાજકીય સંદર્ભે જે લખે છે તે પણ જોવું જોઈએ. તેઓ લખે છે કે ‘કાશ્મીર ભાગલાથી હંમેશા વિવાદનું કેન્દ્ર રહ્યું છે કારણ કે પાકિસ્તાને ક્યારેય એવું સ્વીકાર્યું નહીં કે કાશ્મીર ભારતમાં ભળી ગયું છે. અને ત્રણ-ત્રણ યુદ્ધ થયા પછી પણ પાકિસ્તાન માટે કાશ્મીર ન પૂરો થયેલો એજન્ડા છે.’ દુલત પુસ્તકમાં એક ઠેકાણે એવું પણ લખે છે કે પંડિત નેહરુ પછી માત્ર અટલ બિહારી વાજપેયી હતા જેઓ કાશ્મીર પ્રત્યે નિસબત ધરાવતા હતા. 1995માં જ્યારે તેઓ વિરોધ પક્ષના નેતા હતા ત્યારે પણ અલગાવવાદી આગેવાન શબીર અહમદ શાહને દિલ્હીમાં મળ્યા હતા અને ત્યારે તેમણે શબીર અહમદ શાહને કહ્યું હતું કે આપણે સાથે બેસીને કાશ્મીર મુદ્દાનું સમાધાન લાવવું જોઈએ. વાજપેયી એવું ઠોસ રીતે માનતા હતા કે કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે થતો કાયમના સંઘર્ષનો આપણે અંત લાવવો જોઈએ અને કાશ્મીર મુદ્દે આગળ વધવું જોઈએ.
આગળ દુલત ઇન્ટેલિજન્સ બ્યૂરોના અધિકારી તરીકે પોતાની ભૂમિકા અંગે લખે છે કે, ‘આઈબી કે ‘રૉ’ અધિકારી તરીકે કાશ્મીરીઓનો મારા પર ક્યારેય સંપૂર્ણ ભરોસો રહ્યો નહોતો. જોકે એક વખત શ્રીનગરમાં સજ્જાદ લોન[જમ્મુ કાશ્મીરના ધારાસભ્ય] સાથે હું મળ્યો ત્યારે તેણે કહ્યું કે તમને જો લગ્નમાં આમંત્રણ મળ્યું છે તો તમારી કાશ્મીરના સમાજમાં તમારી સ્વીકાર્યતા છે. મેં આ પરિક્ષા એકથી વધુ વાર પાસ કરી હતી. આજે પણ મને કાશ્મીરીઓના ફોન સતત આવે છે. મારા દિકરાને હૃદયનો હુમલો આવ્યો ત્યારે અનેક કાશ્મીરી મિત્રોએ મને ફોન કર્યા. ફોન કરનારાઓમાં સૌથી હૃદયસ્પર્શી ફોન રાશિદ બાબાનો હતો. તેઓ ફારૂખ અબ્દુલ્લાના વર્ષો સુધી પ્રાઇવેટ સેક્રેટરી રહ્યા હતા. 1984માં દિલ્હીમાંથી જ્યારે ફારૂખ અબ્દુલ્લાને વિદાય આપવાનું આયોજન થયું ત્યારે ફારૂખ અબદુલ્લા પક્ષમાં બળવો કરશે તે માહિતી તેમણે આપી હતી.’
હાલમાં એ. એસ. દુલતે ફારૂખ અબ્દુલ્લાના જીવન વિશે જે પુસ્તક લખ્યું છે તેનો પણ ખૂબ વિવાદ થયો હતો. તે પુસ્તક આવ્યું ત્યારે ફારૂખ અબ્દુલ્લાએ પોતે પણ તેનો વિરોધ કર્યો હતો. આ વિરોધનું કારણ એ હતું કે દુલતે એમ લખ્યું હતું કે 2019માં જ્યારે કાશ્મીરમાંથી 370 આર્ટિકલ હટાવી દેવા વિશે નિર્ણય લેવાયો ત્યારે જાહેરમાં ફારૂખ અબ્દુલ્લાએ તેનો વિરોધ કર્યો હતો. પરંતુ વ્યક્તિગત રીતે તેઓ આ નિર્ણયને સાચો માની રહ્યા હતા. ફારૂખ અબ્દુલ્લાએ આ પુસ્તકને ‘ભૂલોથી ભરેલું’ ગણાવ્યું છે. દુલતનો એક દાવો તો ફારૂખ અબ્દુલ્લાએ મીડિયા સમક્ષ ખારીજ કરી દીધો, જેમાં દુલત એવું લખ્યું છે કે જ્યારે 1996માં ફારૂખ અબ્દુલ્લાએ સરકાર બનાવી ત્યારે મંત્રીમંડળ માટે તેમણે દુલતની સલાહ લીધી હતી. ફારૂખે આ પૂરી વાતને મનઘડંત બતાવી હતી. પુસ્તકની આવી અનેક વાતોને ફારૂખ અબ્દુલ્લાએ ખારીજ કરી છે.
વાજપેયીના કાળમાં જ્યારે કાશ્મીર મુદ્દાને ઉકેલવા અર્થે અવારનવાર પ્રયાસ થયા ત્યારે તે માટેની એક જ નીતિ હતી : ‘સંવાદ’. જોકે દુલત લખે છે કે કોઈ સામાન્ય મુદ્દા પર પણ વાત કરવી હોય તો તેમાં તૈયારી ખૂબ કરવાની રહેતી. જમીની સ્તરની વિગત મેળવવાનું હંમેશા પડકારભર્યું રહેતું અને તેમાં સમય ખૂબ ખર્ચાતો. લોકો સાથે વાત કરવાની ભૂમિકા મારી હતી અને મેં તે માટે કાશ્મીરમાં અલગાવવાદી, મુખ્યધારાના રાજકીય નેતાઓ, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને આતંકવાદીઓ સાથે પણ વાતો કરી છે. આ જ કારણે તત્કાલિન દેશના ગૃહમંત્રી મુફ્તી મોહમ્મદ સૈયદના દીકરી રુબિયા સૈયદને આતંકવાદીઓથી છોડાવવાની ભૂમિકામાં દુલત રહ્યા હતા. જોકે દુલત સ્વીકારે છે કે તેમની ભૂમિકા લવાદ તરીકેની નહોતી. બલકે લોકો એવું માનતા કે આ ઝડપથી આતંકવાદીઓ અને અપહરણકર્તા સાથે સમાધાન કરી શકશે. આ રીતે વાતચીતની પ્રક્રિયા ખૂબ ધીમી અને લાંબી છે. ખરાબમાં ખરાબ સમયમાં પણ લોકો સાથે વાતો કરતાં રહેવું જ આમાં વિકલ્પ છે. એ. એસ. દુલતે આવી અનેક રસપ્રદ વાતો કાશ્મીર અને કાશ્મીરીઓ વિશે લખી છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796