કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ‘અબ બચે સિર્ફ છ જિલે : નક્સલવાદ પર અમિત શાહ કા એક ઔર એલાન’, ‘કૈસે દમ દોડ રહા હૈ લાલ આંતક’, ‘અમિત શાહ બોલે – હથિયાર ડાલેં નક્સલી’, ‘ખાત્મે કે કગાર પર હૈ નક્સલવાદ : જાને કબ તક હોગા અંત?’ હિંદી ન્યૂઝ મીડિયામાં હાલમા નક્સલવાદ (naxalism) વિશે આવી હેડલાઈન સામાન્ય થઈ ગઈ છે. નક્સલવાદનું જોર ઘટી રહ્યું છે તેને લઈને હિંદીના તમામ અખબાર-ન્યૂઝ મીડિયા નોંધ લઈ રહ્યા છે. આ દરમિયાન એક ન્યૂઝ એવાં પણ આવ્યા કે છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાંથી બડેસટ્ટી ગામને નક્સલમુક્ત જાહેર કરવામાં આવ્યું છે. એક સમયે નક્સલવાદ પ્રભાવિત રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઓડિશા હતું. પરંતુ હવે નક્સલનો પ્રભાવ ઘટી રહ્યો છે અને ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah) મુજબ હવે દેશના છ જિલ્લાઓમાં નક્સલીઓનો પ્રભાવ છે અને 2026 સુધી દેશમાંથી સંપૂર્ણ રીતે નક્સલવાદને નાબૂદ થઈ જશે.

આજથી દોઢ દાયકા પૂર્વે જ્યારે નક્સલીઓનો અવાજ દેશભરમાં ગૂંજતો અને તેમાં થયેલી હિંસામાં આમને-સામને હજારો લોકો માર્યાં ગયા. નક્સલાવાદ અને તેના પ્રભાવ વિશે સંભવત્ તે પ્રકરણ આજની યુવાન પેઢીને ખ્યાલ નહીં હોય. ‘નક્સલ’ શબ્દ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાના ‘નક્સલબારી’ ગામથી આવ્યો છે. અહીંયા 1967ના અરસામાં આંદોલનકારીઓએ શાસકો અને જમીનદારો વિરુદ્ધ સશસ્ત્ર જંગ આરંભી હતી. આ લડત આરંભ કરનારા ચારુ મજુમદાર અને કનુ સન્યાલ હતા અને તેઓ ચીનના કમ્યુનિસ્ટ આગેવાન માઓના વિચારધારાથી પ્રભાવિત હતા. આ બંને આગેવાનોએ ‘ભારતીય કમ્યૂનિસ્ટ પાર્ટી’ નામે એક પક્ષની પણ સ્થાપના કરી હતી. અહીંથી શરૂ થયેલી આ લડત ધીરે ધીરે પૂરા દેશમાં વ્યાપી અને 2019 સુધી તેનો પ્રભાવ 11 રાજ્યોના 90 જિલ્લાઓમાં પ્રસર્યો હતો. નક્સલવાદને ડામવા માટે અનેક અભિયાન અત્યાર સુધી ચલાવવામાં આવ્યા તેમાંથી એક ‘સ્ટીપેલચેસ અભિયાન’ હતું. તેમાં નક્સલીઓ સામે લડવા માટે ભારતીય સૈન્ય અને રાજ્યોની પોલીસે ભાગ લીધો હતો. આ અભિયાન દરમિયાન વીસ હજારથી વધુ નક્સલીઓ માર્યાં ગયા હતા. તે પછી 2009ના અરસામાં ‘ગ્રીનહંટ’ નામનું બિનસત્તાવાર ઓપરેશન પણ નક્સલીઓ સામે ચાલ્યું. ‘પ્રહાર’ નામનું પણ એક ઓપરેશન છત્તીસગઢમાં નક્સલીઓ વિરુદ્ધ શરૂ થયું હતું. હાલમાં નક્સલીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલી રહ્યું છે અને તેમાં અનેક નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા છે અથવા તો તેઓને આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવે છે. નક્સલનો અંત આવવા તરફ જઈ રહ્યો છે તે અંગે ગૃહમંત્રી અમિત શાહે ‘ઇન્ડિયા ટુડે’ને એક ઇન્ટરવ્યૂ આપ્યો છે. આ ઇન્ટરવ્યૂનાં મથાળાંમાં ગૃહમંત્રીનું નિવેદન મૂકવામાં આવ્યું છે : “વી વિલ ફ્રી ઇન્ડિયા ઑફ ધ નક્સલ થ્રેટ બાય માર્ચ 2026” મતલબ કે અમે દેશને આવતાં વર્ષના માર્ચ સુધીમાં નક્સલમુક્ત કરી દઈશું. આ ઇન્ટરવ્યૂમાં ‘ઇન્ડિયા ટુડે’ના સિનિયર એડિટર રાજ ચાંગપ્પા અને રાહુલ નોરોહ્ના ગૃહમંત્રીને પ્રથમ પ્રશ્ન એવો કરે છે કે, ‘2019માં તમે ગૃહમંત્રી તરીકે આવ્યા ત્યારે નક્સલવાદ તરફથી તમારું જોખમનું આકલન શું કહેતું હતું અને નક્સલવાદને દેશમાંથી નાબૂદ કરવા અર્થે તમે કંઈ રણનીતિ ઘડી કાઢી?’ આ અંગે ગૃહમંત્રી જવાબ આપે છે : “2019માં કેન્દ્રિય મંત્રી તરીકે જવાબદારી સ્વીકારાયા બાદ મને કહેવામાં આવ્યું કે નક્સલ મુદ્દો કાશ્મીર પ્રશ્ન કરતા પણ મોટો છે. એક રીતે જોઈએ તો, દેશમાં વિકાસ ન થયો તેના અંસતોષના કારણે નક્સલવાદ ઉભર્યો. આઝાદી મળ્યા બાદ 1990 સુધી આપણો દેશ સંસાધનો સામે અછતથી ઝઝૂમતો રહ્યો. આયોજનબદ્ધ વિકાસ શક્ય નહોતો, તેના પરિણામે આ ક્ષેત્રો પ્રગતિની દૃષ્ટિએ ધીમા રહ્યા. અને તેથી આ વિસ્તારોમાં ‘વામપંથી વિચારધારા’ને વિકસવાનો અનુકૂળ માહોલ મળ્યો અને હિંસાથી વિકાસનો ખ્યાલ જન્મ્યો. આ ખ્યાલથી લોકો ઉશ્કેરાયા અને હિંસાનો સહારો લીધો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગેવાનીમાં અમે ચતુર્મૂખી નીતિ ઘડી કાઢી, જેમાં હિંસા અને શસ્ત્રનો વિકલ્પ વિકાસ અને ભરોસોને રાખ્યો. આ નીતિ અમે નેપાલના પશુપતિનાથથી આંધ્રના તિરુપતિ સુધી અપનાવી, જે નક્સલી પટ્ટા તરીકે ઓળખાય છે.”

ગૃહમંત્રીને બીજો પ્રશ્ન ચતુર્મૂખી નીતિના પ્રથમ પગલાં વિશેનો હતો. તે અંગે ગૃહમંત્રી કહે છે : “મોદી સરકારનો નક્સલવાદને ડામવા અર્થે પ્રથમ પગલું એ હતું કે જેઓ હથિયાર લઈને હિંસા માટે જવાબદાર હોય તેમની સામે કડક કાર્યવાહી કરવી. અમે ‘સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ’ અને રાજ્ય પોલીસ દળમાં મહત્તમ ટ્રેઇનિંગ લીધેલા જવાનોને સામેલ કરીને આ વિસ્તારોમાં તૈનાત કર્યા. આ માટે અમે આધુનિક રાઇફલ અન્ય સશ્ત્રો પૂરા પાડ્યા.” આવી ઘણી બધી માહિતી ગૃહમંત્રી આ ઇન્ટરવ્યૂમાં આપી છે. જેમ કે તેઓ કહે છે કે, અમારાં બીજા પગલાંમાં અમે ‘સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ’એ રાજ્યની પોલીસ સાથે મળીને ‘ફોરવર્ડ ઓપરેટિંગ બેઝ’ના નામથી ઓળખાતાં નવા કેમ્પ ઉભા કર્યા, જેથી આયોજનબદ્ધ રીતે નક્સલીઓને દૂર કરી શકાય. 2014માં 66 પોલીસ સ્ટેશનની સરખામણીએ અમે તે 612 સુધી લઈ ગયા અને આ સ્ટેશનોમાં અમે ખાતરી રાખી કે પૂરતા પ્રમાણમાં સંદેશા વ્યવહારના સાધનો અને પૂરતા સશસ્ત્ર જવાનો તૈનાત હોય. આનું પરિણામ જે આવ્યું છે તે પણ ગૃહમંત્રી ઇન્ટરવ્યૂમાં કહે છે : ‘છેલ્લા દસ વર્ષમાં 7500 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે – આ થયું તેનું મુખ્ય કારણ તેની વિરુદ્ધના ઓપરેશન છે. આત્મસમર્પણ કરનારા ઘણા નક્સલ રાજ્ય પોલીસ દળમાં ભરતી થયા છે. તેઓ આ ક્ષેત્રને અને નક્સલીઓની રણનીતિને પણ જાણે છે, તેથી અમને ખૂબ લાભ મળ્યો છે.’ નક્સલવાદ ડામવાની રણનીતિના ત્રીજાં પગલાં વિશે ગૃહમંત્રી કહે છે કે, નક્સલનું ભંડોળ અને શસ્ત્રની માંગ પૂરી ન થાય તે માટે પ્રયાસ કર્યા. રોડ કોન્ટ્રાક્ટર પાસેથી ખંડણી વસૂલવાથી તેમની પાસે મસમોટું ભંડોળ આવતું – તે અટકાવ્યું. અમે ઓનલાઈન પેમેન્ટની સિસ્ટમ વિકસાવી જેના કારણે તેમની પાસે આવતું ભંડોળ અટકી ગયું. તે પછી નક્સલીઓની સંપત્તિને ટાંચમાં લેવાનું શરૂ કર્યું. આ રીતે બધી બાજુથી નક્સલીઓને ભીંસમાં લઈને તેમની પર કાર્યવાહી કરવામાં આવી.
ગૃહમંત્રી આ ઇન્ટરવ્યૂમાં એવો પણ દાવો કરે છે કે, પૂરા વર્ષ દરમિયાન 98 ટકા પોલીસ સ્ટેશનમાં એક પણ નક્સલને લઈને ઘટના બની નથી. અને તેથી આ વિસ્તારોને નક્સલમુક્ત જાહેર કરવામાં આવ્યા છે. નક્સલવાદ વિશેનું ગૃહમંત્રીનું વલણ અને તેમના એક્શનની વાત જાણ્યા પછી હવે ‘બોર્ડર સિક્યૂરિટી ફોર્સ’ના પૂર્વ ડિરેક્ટર જનરલ અને આસામના ડિજિપી રહેનારા પ્રકાશ સિંઘનો આ વિશે મત જાણી લેવો જોઈએ. પ્રકાશ સિંઘ અવારનવાર સુરક્ષા અને પોલીસ બેડા વિશે અંગ્રેજી અખબારોમાં લખતા રહે છે. તેઓ નક્સલવાદને લઈને સરકારના વલણ અંગે લખે છે : જમ્મુ કાશ્મીરમાં આંતકવાદી સામે સુરક્ષા દળો કડક હાથે કામ લઈ રહ્યા છે તેવાં ગૃહમંત્રીના નિવેદન અંગે હું સો ટકા સહમત છું, પરંતુ તે જ નીતિથી નક્સલ સામે સરકાર કામે લઈ રહી છે તે વિશે મારો મત વેગળો છે. પ્રકાશ સિંઘ આ વિશે કહે છે કે નક્સલીઓ તે આપણા જ લોકો છે, મોટા ભાગે તેઓ મૂળનિવાસી છે. તેઓ કોઈ ખોટાં કે ખરાં કારણસર નક્સલ આંદોલનથી જોડાયાં. તેમની ફરિયાદ વાસ્તવિક કે કાલ્પનિક હોઈ શકે, પરંતુ તેઓ સાથે થયેલા વ્યવહારથી ચોક્કસ જ દેશ પ્રત્યે અસંતોષ રહેવાનો. સંભવત્ તેનું કારણ તેમને પોતાના જમીન, જંગલમાંથી બહાર ખદેડ્યા તે હોય. જ્યાં ઉદ્યોગો નિર્માણ પામ્યા અને તેમનું જીવન, સંસ્કૃતિ વેરવિખેર થઈ. પ્રકાશ સિંઘનું માનવું છે કે ગત્ વર્ષ દરમિયાન માત્ર બસ્તર ક્ષેત્રમાં 280 નક્સલવાદીઓને મારવામાં આવ્યા. આ અભિયાનની ગૃહમંત્રી અમિત શાહે પ્રશંસા કરી. પરંતુ પ્રકાશ સિંઘ કહે છે કે આ પ્રકારના અભિયાનની ઉજવણી કેવી રીતે કરી શકાય? તેઓ આપણા દીકરી-દીકરાઓ છે. તેમણે અંસતોષથી રાજ્ય વિરુદ્ધ શસ્ત્ર ઉગામ્યું તે જ તેમનો ગુનો છે. તેમની સાથે સંવાદનો માર્ગ લેવો જોઈએ. નક્સલવાદનો જે રીતે અંત થવા જઈ રહ્યો છે તે ખરેખર તેનો અંત હશે કે કેમ?
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796