Friday, November 8, 2024
HomeGujarat'તને ખબર નહીં પડે, તને તો ખબર જ પડતી નથી... તને નહીં...

‘તને ખબર નહીં પડે, તને તો ખબર જ પડતી નથી… તને નહીં આવડે રહેવા દે’

- Advertisement -

પ્રશાંત દયાળ (અમદાવાદ): થોડા દિવસ પહેલા અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવનો મને ફોન આવ્યો, તેમણે મને કહ્યુ તમે સાબરમતી જેલના કેદીઓ વચ્ચે કામ કરો છો, ખાસ કરી સાબરમતી જેલની મહિલા કેદીઓ સેનેટરી નેપકીનનું ઉત્પાદન કરી આર્થિક ઉપાર્જન કરે છે, મારી ઈચ્છા છે કે આ પ્રકારની વિવિધ પ્રવૃત્તીઓ અમદાવાદની પોલીસ લાઈનમાં રહેતી પોલીસ પરિવારની મહિલાઓ કરે અને તે પગભર થાય તો મને સારૂ લાગશે એટલે મારી ઈચ્છા છે તમે આવી પોલીસ પરિવારની મહિલાઓ સાથે વાત કરો, હું તેમના આમંત્રણને કારણે અમદાવાદ પોલીસ હેડકવાર્ટરમાં પહોંચ્યો, કાર્યક્રમની શરૂઆત થાય તે પહેલા હું સંજય શ્રીવાસ્તવ અને તેમના પત્ની સહિત અન્ય સ્વૈચ્છીક સંસ્થાઓના આગેવાનો પાસે મળ્યો, એક સારી બાબત એવી લાગી કે પોલીસ કમિશનર તરીકે શ્રીવાસ્તવ આવો વિચાર અને તે દિશામાં પ્રયાસ કરે પણ તેની સાથે તેમના પત્ની પણ આ બાબતમાં રસ લે છે, સ્વૈચ્છીક સંસ્થાના આગેવાનો પાસે વિવિધ યોજનાઓ હતી જે પોલીસ પરિવારની મહિલાઓને પગભર થવામાં મદદ થઈ શકે.



- Advertisement -

પોલીસ હેડકવાર્ટરના કોમ્યુનિટી હોલમાં આશરે 200 જેટલી પોલીસ પરિવારની મહિલાઓ હતી, વિવિધ સંસ્થીઓએ તેમની કામગીરી અને તેઓ કઈ રીતે તેમને મદદરૂપ થઈ શકે તેની જાણકારી આપી, જયારે મારો ક્રમ આવ્યો ત્યારે મેં પોલીસ પરિવારની મહિલાઓ સાથે વાત કરતા કહ્યુ તમને ખબર છે તમને આગળ વધતા કોણ રોકી રહ્યુ છે.. બીજુ કોઈ નહીં તમે પોતે જ, મેં મારા જ ઘરમાં થતાં સંવાદનું ઉદાહરણ આપી તેમને સમજાવતા કહ્યુ ઘરમાં દિકરો અને દીકરી હોય છે, જયારે પણ કોઈ નવો નિર્ણય લેવાનો વખત આવે ત્યારે ઘરની દીકરીને આપણે કહીએ છીએ તને ખબર નહીં, તને નહીં આવડે, તુ રહેવા દે, આપણી સમાજ વ્યવસ્થા જ એવી છે કે જ્યાં દીકરી અને દિકરો સમાન આપણે કહીએ છીએ પણ આપણા મનમાં દીકરી અને દિકરાના ખાના અલગ છે, દિકરો શુ કરશે અને દીકરી શુ નહીં કરે તે આપણે પહેલાથી જ નક્કી કરી નાખ્યુ છે, આવુ અશિક્ષીત પરિવારમાં થાય છે તેવુ નથી, ખુબ શિક્ષિત અને ખુબ પૈસા હોય તેવા પરિવારોની પણ આવી જ સ્થિતિ છે.



- Advertisement -

મંચ ઉપર પોલીસ કમિશનર ખુદ બેઠા હોવાને કારણે મને ખબર હતી કે પોલીસ પરિવારની મહિલાઓ સંકોચ વગર પોતાનો મત મુકશે નહીં એટલે મેં મહિલાઓને પુછયુ તને નહીં આવડે, તને ખબર નહીં પડે આવુ તમે તમારા પિતા, પતિ અને ભાઈ પાસેથી સાંભળ્યુ હોય તેવી મહિલા પોતાના હાથ ઉંચો કરે છે, મારો પ્રશ્ન સાંભળતા જ હોલમાં બેઠેલી તમામ મહિલાઓ પોતાનો હાથ ઉંચો કર્યો, આ વાકય આપણા સમાજની મોટા ભાગની સ્ત્રી પોતાના પિતાના ઘરે, પોતાના પતિના ઘરે અને બાળકો મોટા થાય પછી બાળકો પાસેથી આવુ રોજ સાંભળે છે, આપણી પુરૂષ સમાજ વ્યવસ્થા અને પુરૂષની માનસિકતાને કારણે પુરૂષ એવુ માનતો હોય કે જે દીકરી- જે બહેન છે અને જે પત્ની છે તેને પુરૂષ કરતા ઓછી ખબર પડે છે, ઓછી આવડત છે અને ઓછી શકિત છે તો તે પુરૂષનો પ્રશ્ન છે, પણ સમસ્યા ત્યાં ઉભી થાય છે કે વર્ષોથી તને નહીં આવડે નહીં ખબર પડે તેવુ સાંભળી સાંભળી સ્ત્રી પણ એવુ માનવા લાગે છે કે તેને નહીં આવડે અને ખબર પડતી નથી.

જયારે સ્ત્રી માનવા લાગે છે કે તેના પિતા-ભાઈ-પતિ અને દિકરાને વધારે ખબર પડે છે અને તેમને જે આવડે છે તે જે કામ કરે છે તે તેને નહીં જ આવડે ત્યારે પ્રશ્નનોની શરૂઆત થાય છે, જયારે સ્ત્રી આવુ સ્વીકારી લે છે ત્યારે તે પોતાની દરેક સમસ્યા અને પોતાના દરેક કામ ઉપર પોતાના ઘરના પુરૂષ ઉપર માત્ર આર્થિક રીતે જ નહીં માનસિક રીતે પણ નિર્ભર થઈ જાય છે, એટલે પહેલા તો સ્ત્રી પોતાના મનમાં વર્ષોથી જે પડયુ છે કે મને નહીં આવડે, નહીં ફાવે, તેને જાકારો આપવો પડશે. મેં પોલીસ પરિવારની મહિલાએઓને કહ્યુ માત્ર તમે જ નહીં સરકારી નોકરી કરનારી મહિલાઓ પણ આ બાબતથી પોતાને બચાવી શકી નથી, મેં મારી માતાનું ઉદાહરણ આપ્યુ મારી માતા સરકારી અધિકારી હતા, મારા પિતાનું 55 વર્ષની ઉમંરે અચાનક નિધન થયુ તે દિવસ સુધી મારા માં સરકારી અધિકારી હોવા છતાં કોઈ દિવસ બેન્કમાં ગઈ ન્હોતી, કારણ તેને મનમાં ડર લાગતો હતો કે તેને બેન્કનું કામ નહીં આવડે.



- Advertisement -

મારા પતિની ગૃહેણી છે, અમારી વચ્ચે સંવાદની મોકળાશ છે, તે મને અનેક વખત કહે છે કે નોકરી કરવી સહેલી છે પણ ઘર ચલાવવુ બહુ અઘરૂ છે, હું તેની સાથે અસંમત સંમત થઉ, પણ જયારે તે ઘરની બહાર ચાર પાંચ દિવસ જાય ત્યારે હું તેની વાત સાથે એકસો ટકા સંમત્ત થાઉ છુ. કારણ નોકરી કરતા ઘર સંભાળવુ બહુ મુશ્કેલ કામ હોય છે. આમ ઘરની એક સ્ત્રી પોતાના પતિ, બાળકો અને ઘરના અન્ય સભ્યની તમામ બાબતની કાળજી રાખે છતાં આપણે તેના કામને કોઈ દિવસ આદરથી જોતા નથી. તેના બદલે નહીં આવડે તેમ કહી તેના વિશ્વાસને રોજ હચમચાવવાનું કામ કરીએ છીએ. મારી પત્ની કહે છે કે પુરુષો એવુ માને છે કે જે સ્ત્રી આર્થિક ઉપાર્જનનું કામ કરતી નથી, અથવા નોકરી માટે ઘરની બહાર જતી નથી તે સ્ત્રીને પણ ખબર પડતી નથી. જે સ્ત્રી ઘર પણ સંભાળે છે અને નોકરી પણ કરે છે તે સ્ત્રી ખરેખર શકિતશાળી હોય છે. છતાં તે ઘરે આવે ત્યારે તેનો પતિ દિકરો અને દીકરી મોટી થઈ હોય તો તે પણ કહે છે તને ખબર પડશે નહીં તને આવડશે નહીં.



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular