નવજીવન ન્યૂઝ. રાજકોટ: Sayla Silver Loot Case: રાજકોટ-સાયલા હાઈવે (Rajkot Sayla Highway) પર આંગડીયાનું વાહન લૂંટવામાં આવ્યું હતું. જેમાં આશરે હજાર કિલો જેટલું ચાંદી અને 700 કિલો જેટલા ઈમિટેશનના દાગીનાની લૂંટ કરવામાં આવી હતી. ચકચારી લૂંટના પ્રકરણમાં સ્થાનિક પોલીસ સહિત અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) પણ ઝુકાવવું પડ્યું હતું. અને બાદમાં આરોપીઓ મધ્યપ્રદેશના દેવાસથી (Dewas Madhya Pradesh)ઝડપાયા હતા. પરંતુ આરોપીઓ પાસેથી પોલીસને લૂંટનો મુદ્દામાલ નહીં મળી આવતા પોલીસે કસરત શરૂ કરવી પડી અને હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને લાંબા સમયબાદ મુદ્દામાલનો થોડક અંશ મેળવવામાં સફળતા મળી છે. આ મુદ્દામાલ શોધવા માટે ક્રાઈમ બ્રાન્ચે મેટલ ડિટેક્ટર જેવા ઉપકરણોનો સહારો લેવા પડ્યો હતો.

મળતી વિગતો અનસાર સાયલા લૂંટ પ્રકરણના આરોપીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. મધ્યપ્રદેશના દેવાસના આરોપીઓ લૂંટ કરી મુદ્દામાલ ગાયબ કરી દેવામાં ખુબ માહેર હોવાનું જાણવા મળ્યું હતું. અને ખરેખર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સાથે આવું જ થયું, આરોપી તો ઝડપાયા પણ લૂંટાયેલા માલનું કોઈ નામો નિશાન મળતું ન હતું. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે લૂંટમાં વપરાયેલા ટ્રકની ઓળખ કરતા તે ટ્રક દમણના વ્યક્તિની હતી અને તેણે મધ્યપ્રદેશના ખેતીયા ગામના વ્યક્તિને વેચી હોવાની માહિતી મળી હતી. ખેતીયા ગામના વ્યક્તિની પુછપરછ કરતા સામે અવ્યું કે તેણે ટ્રક ખરગોન ખાતે આપી હતી અને ત્યાંથી માહિતી મળી કે ટ્રક દેવાસ જિલ્લાના ચીડાવદ ગામના જીતેન્દ્ર બાબુલાલ ઝાંઝાને વેચી નાખી હતી. આમ પોલીસ જીતેન્દ્ર ઝાંઝા સુધી અને રામમુર્તી અને તેમના સાગ્રીતો સુનીલ, હેમરાજ ઝાલા, સુરેશ ગંજા, સતીષ દાઢી તેમજ કમલ પટેલ સુધી પહોંચી હતી.

સાથે જ પોલીસ લૂંટના મુદ્દામાલ અંગે તપાસ કરતી હોય બાતમીદારો પાસેથી માહિતી મળી હતી કે લૂંટનો માલ આરોપી દ્વારા દેવાસના ટોકખુર્દ તાલુકાના ચૌબારીધીરા ગામના જીતેન્દ્ર જયંતીયા ચૌહાણના ઘરે છુપાવી આવ્યા છે. પોલીસે ગત 26 ફેબ્રુઆરી એ ત્યાં દરોડો કરતા જીતેન્દ્રના મકાનના પાછળના ભાગે જમીનમાં દાટી દીધેલો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પરંતુ આ ઘરેથી મળેલો મુદ્દામાલ લૂંટાયેલા માલનો માત્ર થોડો હિસ્સો જ મળ્યો હતો. જેમાં કુલ 75.839 કિલો ચાંદી અને 6.280 કિલો ચાંદી મળી રૂપિયા 49 લાખ આસપાસનો મુદ્દામાલ પોલીસને હાથ લાગ્યો હતો. આરોપી જીતેન્દ્રના ઘરેથી મુદ્દામાલ મળતા ક્રાઈમ બ્રાન્ચે આરોપી જીતેન્દ્ર ચૌહાણ તેની પત્ની બબીતા ચૌહાણની ધરપડક કરી લાવી હતી.

આરોપી જીતેન્દ્ર અને બબીતાએ પોલીસ તપાસમાં કબૂલાત આપી હતી કે, ગત 24 ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે આરોપી જીતેન્દ્ર ઝાંઝાએ તેના સાળા અને બીજા શખ્સો મારફતે 10 ભાગ આપવાની વાત કરી દાગીના છુપાવ્યા હતા. આ માલ આરોપી દંપતીએ ઘરના પાછળના ભાગે દાટી દઈ તેના પર પ્લાસ્ટર કરી નાખ્યું હતું જેથી કોઈની નજરે પડે નહીં. પરંતુ ક્રાઈમ બ્રાન્ચે મેટલ ડિટેક્ટર જેવા આધુનિક સાધનોની મદદથી તપાસ કરતા જમીનમાંથી દાગીનાનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
બીજી તરફ પોલીસની એક ટીમ લૂંટમાં વપરાયેલા ટ્રકની શોધખોળ કરી રહી હતી. દરમિયાન તેમને માહિતી મળી કે આરોપી જીતેન્દ્ર ઝાંઝાએ ટ્રક છુપાવવા માટે કુંદન ઉર્ફે ગોલુ દિલીપ વિશ્વકર્માને આપી હતી. માહિતીના આધારે કુંદનની તપાસ કરતા પોલીસને લૂંટમાં વપરાયેલ ટ્રક પણ કબ્જે કરવામાં સફળતા મળી હતી. જે મામલે આરોપી કુંદને પોલીસને કેફિયત આપી હતી કે આરોપી જીતેન્દ્ર તેની માલીકની ટ્રક તારીખ 14 ફેબ્રુઆરીના રોજ લઈ ગયો હતો. આ સમયે તેની સાથે કમલ પટેલ અને રામમુર્તી પણ હતા અને બીજી ઝાયલો કારમાં સુનીલ, સુરેશ ગંજા અને સતીષ દાઢી બેઠેલા હતા. બાદમાં તેઓએ ટ્રકને પરત લેવા માટે તારીખ 19 ફેબ્રુઆરીના રોજ ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે, તું દસેક દિવસ માટે આ ટ્રકને છુપાવી દે અમે ટ્રક વડે રાજકોટ હાઈવે પરથી લૂંટ ચલાવી છે. તને ઉધાર આપેલી રકમ અમે માફ કરી દઈશું અને બને તો ગાડી પણ તને મફતમાં આપી દઈશું. જેથી કુંદને ટ્રક ડુંગરીયા ગામમાં પરિચિત શેખર રાવતના ખેતરમાં છુપાવી દીધી હતી.
આ પણ વાંચો: રાજકોટ-અમદાવાદ હાઈવે પરથી ચાંદી ભરેલું વાહન લૂંટાયું, 4 જિલ્લાની પોલીસ જોડાઈ તપાસમાં
આમ હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ‘ઓપરેશન ડીપ સર્ચ’ ચલાવી લૂંટાયેલો મુદ્દામાલ કબ્જે કરવા મથામણ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે હજુ સુધી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને લૂંટાયેલા માલનો માત્ર એક નાનકડો અંશ જ મળવા પામ્યો છે.
TAG: Ahmedabad Crime Branch, Operation Deep Search, Sayla Silver Loot Case
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








