Monday, May 19, 2025
HomeGujaratAhmedabadઅમિત શાહ મારાં ઘરે આવ્યા: પ્રશાંતની પત્રકારિતાથી સતત ધમકી મળતી અને શિવાની...

અમિત શાહ મારાં ઘરે આવ્યા: પ્રશાંતની પત્રકારિતાથી સતત ધમકી મળતી અને શિવાની તેનો જવાબ આપતી

- Advertisement -

પ્રશાંત દયાળ (શિવા. ભાગ-11): પ્રાર્થનાના જન્મ પછી મેં અમદાવાદના (Ahmedabad)નારણપુરા વિસ્તારમાં પત્રકાર કૉલોનીમાં એક ફ્લેટ લીધો. અમે પત્રકાર કૉલોની રહેવાં આવી ગયાં હતાં. શિવાની (Shivani Dayal)પોતાનાં નવાં ઘરને કારણે ખૂબ ખુશ હતી. ઘરને સાફ રાખવું અને ફર્નિચરની જગ્યા રોજ બદલતાં રહેવું તેને ગમતું હતું. અમારી વચ્ચે એક અજાણ્યું જોડાણ થયું. શિવાનીએ જે પ્રશાંત (Prashant Dayal)સાથે લગ્ન કર્યાં હતાં, તે ઘણો બદલાઈ ગયો હતો. આમ છતાં શિવાની રોજ મને બદલવાનો પ્રયત્ન કરતી. મને ખૂબ ગુસ્સો પણ આવતો. હું તેને કહેતો, હું જેવો છું તેવો જ મને રહેવા દે. પણ જો માને તો એનું નામ શિવાની નહીં! અમારી વચ્ચે ખૂબ ઝઘડો થતો. હું અને શિવાની ઝઘડો કરીએ ત્યારે નાનકડો આકાશ અમારી સામે જોયા જ કરતો. એ દૃશ્ય આજે પણ યાદ આવે ત્યારે મને બહુ ખરાબ લાગે છે. અમારે બંનેએ આવું કરવાની જરૂર નહોતી, પણ ત્યારે એવી સમજ પણ નહોતી અને સમજાવનાર પણ કોઈ નહોતું.

શિવાની ગુસ્સે થાય એટલે… ‘હું ભરૂચ જવું છું.’ તેવી ધમકી આપે. શિવાનીની ધમકી સાંભળી મને પણ ગુસ્સો આવે. હું પણ કહી દઉં— ચાલ તને મૂકી જવું! શિવાની ગુસ્સામાં બેગ ભરે. આકાશ અને નાનકડી પ્રાર્થનાને સાથે લઈને નીકળે. હું તેમને એસ.ટી. સ્ટેન્ડ મૂકવા જવા બાઈક કાઢું. અમે ચારેય ઘરેથી નીકળીએ અને થોડે જ દૂર જઈએ ત્યાં મારું મન મારી પર ગુસ્સો કરે— શિવાનીને તો ખબર નથી પડતી, તને તો ખબર પડે છે! એ ભરૂચ જવાની ધમકી આપે એટલે તારે પણ કહેવાનું કે, જતી રહે! મને પસ્તાવો તો થતો; પણ ત્યારે માફી માગું તો મારો અહમ્ ઘવાય. મારું મન મને કહેતું કે, એને રોકી લે; એના વગર તારે નહીં ચાલે!

- Advertisement -

2016માં હું નવજીવન ટ્રસ્ટમાં જોડાયો અને નવરંગપુરા, સરદાર પટેલ સ્ટેડિયમની બરાબર સામે નવજીવન બ્લૉકસ છે; તેમાં રહેવા આવ્યો. નવજીવન સાથે મારો સંબંધ બંધાશે અને હું નવજીવન રહેવા આવીશ તેવી મને કલ્પના નહોતી. એ સમયે અમે સરદાર પટેલ સ્ટેડિયમ પાસેથી પસાર થઈએ ત્યારે સામેની બાજુએ ફ્રૂટજ્યૂસ વાળા ઊભા રહેતા. હું બાઈક વાળીને જ્યૂસની લારી પાસે ઊભું રાખું, જ્યૂસનો ઓર્ડર આપુ. મારા અને શિવાની વચ્ચે કોઈ સંવાદ ન થાય. અમે જ્યૂસ પી લઈએ પછી હું શિવાનીને પૂછું, ક્યાં જવું છે? એ મારી સામે જોયાં વગર જ કહે, ઘરે જવું છે! આમ બેગ અને બિસ્તરા સાથે નીકળેલી શિવાની ક્યારેય મને મૂકીને ભરૂચ ગઈ જ નહીં. અમે અનેક વખત જ્યૂસ પીને ઘરે પાછાં ફર્યાં હતાં. આવા અનેક ઝઘડા અને મતભેદ હોવા છતાં બંનેને પાકી ખબર હતી કે, અમે એકબીજાં વગર રહી શકવાનાં નથી.

પ્રાર્થનાના જન્મ પછી પણ મારી નોકરી છૂટી જવાની રફ્તાર યથાવત્ હતી. મારી નોકરી છૂટી ગઈ છે; તેવું હું શિવાનીને કહું ત્યારે તેના ચહેરા પરનો ભાવ ક્યારેય બદલાતો નહોતો. તેને મારા પર ગજબ ભરોસો હતો. કદાચ એટલો ભરોસો તો મને પણ મારા પર નહોતો! આવી કોઈ ઘટના ઘટે અને અમારી વચ્ચે ચર્ચા નીકળે ત્યારે તે મને કહેતી— મને પૂરો ભરોસો છે કે, તમે મને અને સંતાનોને ક્યારેય ભુખ્યાં નહીં રાખો.

વર્ષ 2003માં અમદાવાદમાં ‘દિવ્ય ભાસ્કર’ અખબારની શરૂઆત થઈ ત્યારે હું તેમાં જોડાયો. દિવ્ય ભાસ્કરમાં હું ક્રાઇમ રિપોર્ટર તરીકે કામ કરતો હતો. એવી અનેક સ્ટોરી થતી, જેના કારણે લોકો નારાજ થતા અને મારાં ઘરે ફોન કરી મને ધમકી આપતા હતા. આ બધા ફોન શિવાની જ રિસિવ કરતી, પણ તેનું રૂંવાડુંય ફરકતું નહીં. એ બધાને ઠંડા કલેજે જવાબ આપતી. રાતે ઘરે આવીને જમવા બેસું ત્યારે ધમકીના કેટલા ફોન આવ્યા? તેણે શું જવાબ આપ્યો? એની વાત બહુ સહજતાથી કરતી હતી. તેના ચહેરા કે વ્યવહારમાં કોઈ ડર નહોતો. મને કાયમ વિચાર આવતો કે, આ પાતળા બાંધાની છોકરીમાં આટલી હિમ્મત ક્યાંથી આવતી હશે? જોકે તેનો જવાબ મને ક્યારેય મળ્યો નહીં.

- Advertisement -

2002ના કોમી તોફાનોમાં હું રિપોર્ટિંગ કરવા બહાર જતો ત્યારે પણ તેણે મને ક્યારેય એવું ન કહ્યું કે, મને ડર લાગે છે! એક ઘટના તો એવી ઘટી કે, જેમાં અમદાવાદમાં એક સ્થળે રિપોર્ટિંગ કરતો હતો ત્યારે મારા પર ખાનગી ગોળીબાર પણ થયો. ત્યાં હાજર એ.સી.પી. એસ. કે. દવેની સમયસૂચકતાને કારણે હું સહેજ માટે બચી ગયો. આ ઘટના પણ જ્યારે શિવાનીએ જાણી, ત્યારે એટલું જ કહ્યું, મારો ઈશ્વર તમને કંઈ થવા દેશે નહીં! આ એ સમયગાળો હતો, જેમાં કોમી તોફાનો પછી ગુજરાતમાં પોલીસ એન્કાઉન્ટર્સ શરૂ થયાં હતાં. આ પોલીસ એન્કાઉન્ટર્સ બનાવટી છે; એવી ઘણી સ્ટોરી પણ મેં લખી હતી; પણ શિવાનીને તેનો કોઈ ફેર પડતો નહોતો. સ્વભાવિક હતું કે, સરકાર મારી સ્ટોરીથી નારાજ હોય.

એક દિવસ તો અમિત શાહ પોતે મારાં ઘરે આવ્યા. તેમની વિનંતી હતી કે, મારે આ પ્રકારનું રિપોર્ટિંગ ન કરવું જોઈએ. ત્યારે શિવાનીનું સુખ એ હતું કે, તે કોઈને ઓળખતી જ નહોતી. નેતા હોય કે અભિનેતા હોય, તેને કોઈ ફેર જ પડતો નહોતો. જેથી તે કોઈનાથી પ્રભાવિત થતી જ નહોતી. તેનો પતિ પત્રકાર છે અને તેને મોટા મોટા લોકો ઓળખે છે; તેની અસર પણ તેના પર નહોતી થતી. જ્યારે કોઈ શ્રીમંત વ્યકિતનાં ઘરે અથવા પ્રસંગમાં જવાનું હોય; ત્યારે એ મને કહેતી, તમે જઈ આવો. મને તો ડર લાગે છે. ખબર નહીં… તે મોટી હૉટલ કે કોઈ શ્રીમંત વ્યક્તિનાં ઘરે જવાનું હંમેશાં ટાળતી. મને પણ કહેતી કે, મોટા લોકોનો ભરોસો કરતા નહીં.

2007નું વર્ષ હતું, દિવ્ય ભાસ્કર સૂરતમાં બપોરનું એક અખબાર શરૂ કરવાં જઈ રહ્યું હતું. દિવ્ય ભાસ્કરના અધિકારીઓની ઇચ્છા હતી કે, હું સૂરત જઈ આ પ્રોજેક્ટનો હિસ્સો થવું. ખરેખર તો એ પ્રોજેક્ટ મારી સાથી ચિરંતના ભટ્ટને સોંપવામાં આવ્યો હતો અને મને એ પ્રોજેક્ટનો હિસ્સો બનાવવાની ઇચ્છા ચિરંતનાની હતી. તેણે જ મારા નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. મારું મન અવઢવમાં હતું. કારણ કે ત્યારે આકાશ દસ વર્ષનો અને પ્રાર્થના પાંચ વર્ષની હતી. હું સૂરત જવું તો શિવાની અને બાળકો એકલાં પડી જાય તેમ હતું. જ્યારે શિવાનીને મારાં મનમાં ચાલતી ગડમથલની ખબર પડી ત્યારે તેણે કહ્યું, “તમને ગમતું કામ હોય અને તમારે જવું હોય તો જાવ. હું બધું જ મૅનેજ કરી લઈશ.”

- Advertisement -

હું સૂરત આવી ગયો. મને સતત શિવાની અને બાળકો એકલાં છે; તેવી ચિંતા થતી હતી. પણ તેણે એકલા હાથે મોરચો સંભાળી લીધો હતો. હું સૂરત હતો ત્યારે ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માંથી રાધા શર્માનો ફોન આવ્યો, “પ્રશાંતભાઈ! અમારા એડિટર ભરત દેસાઈ તમને મળવા માગે છે.”

મેં પુછ્યું, “કેમ?”

તે હસવા લાગી અને કહ્યું, “કેમ શું? તમે ટાઇમ્સ ઑફ ઇન્ડિયા જોઈન કરો તેવી તેમની ઇચ્છા છે.”

મેં કહ્યું, “હું ઇંગ્લિશમાં લખી શકતો નથી.”

તેણે કહ્યું, “આપણે મળીએ. એ બધું થઈ જશે.”

હું ભરત દેસાઈને મળવા અમદાવાદ આવ્યો. મને ખબર નહોતી કે, મારું નસીબ મને ક્યાં લઈ જવાનું છે!

ક્રમશઃ

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular