નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ સહિતની શાળાઓના અનેક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પરિણામના વિલંબ (ICSE & ISC Result Delay) ને લઈને ભારે ચિંતામાં મુકાયા છે. ICSE (ઈન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન) અને ISC (ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ) બૉર્ડના પરિણામોમાં ટેકનિકલ ખામી આવવાના કારણે આ સમસ્યા સર્જાઈ છે. આ સમસ્યા માત્ર એકાદ બે શાળા પૂરતી સીમિત નથી, આંધપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ આવી જ સ્થિતિ છે. આ મામલે સ્કૂલે સ્પષ્ટતા કરી છે કે, વિદ્યાર્થીઓના પરિમાણના વિલંબને લઈને આઈસીએસઈ કાઉન્સિલ (ICSE Council) સાથે સીધા સંપર્કમાં છીએ. કાઉન્સિલે આજે પરિણામ જાહેર થાય તેવી બાહેંધરી આપી છે.
સેવન્થ ડે સ્કૂલના પ્રિન્સિપાલે (Principal Seventh Day School) જણાવ્યું છે કે, અમારી શાળાના ICSE અને ISC બોર્ડના આશરે 1200 જેટલાં વિદ્યાર્થીઓના પરિણામ હજુ સુધી આવ્યા નથી. આ વિલંબ પાછળ થોડી ટેકનિકલ સમસ્યાઓ જવાબદાર છે. અમે ICSE કાઉન્સિલનો સંપર્ક કર્યો છે અને તેમણે અમને ખાતરી આપી છે કે પરિણામ આજે ચોક્કસથી આવી જશે. ટેકનિકલ ખામીની સમસ્યા માત્ર આપણી એક શાળા પૂરતી સીમિત નથી. તેમણે તમામ વાલીઓને અપીલની સાથે વિનંતી કરી છે કે, શાંતિ રાખી થોડો સહકાર આપો. આજે પરિણામ ચોક્કસથી આવી જશે.








