અસંખ્ય ફંડામેન્ટલસ એવા સર્જાયા છે કે જે ચાંદીમાં મંદિવાળાની તરફેણ કરી શકે
દુનિયામાં કુદરતી સ્ત્રોત એટલા બધા ઓછા થઈ ગયા છે કે ચાંદીનું મૂલ્ય અત્યારે પણ અંડરવેલ્યુડ
રોકાણકારો માટે વર્તમાન ભાવ ખરીદી માટે ઉત્તમ
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): બજારની અપેક્ષા પ્રમાણે જ યુએસ ફેડ, યુરોપિયન સેન્ટ્રલ બેન્ક, અને બેન્ક ઓફ ઈંગ્લેન્ડએ ગત સપ્તાહે વ્યાજદર વધાર્યા. ફેડરલ રિઝર્વે ૦.૨૫ ટકાનો વધારો કર્યા પછી, ઇસીબી અને બીઓઈએ વધુ ઉગ્રપણે ૦.૫ ટકા વ્યાજદર વૃધ્ધિ કરી. અમેરિકન રોજગારીના આંકડા આવ્યા પછી તો બજાર પર મંદિવાળાઓ આધિપત્ય સ્થાપિત કરવા ફરી વળ્યા. શુક્રવારે ચાંદી પાંચ ટકા કરતાં પણ વધુ ઘટી ૨૭ નવેમ્બરના તળિયે તો બેસી ગઈ પણ ગુરૂવારની ઊંચાઈથી ૮ ટકા તૂટતાં, મહિનાનો સૌથી ખરાબ દિવસ સાબિત થયો હતો. સોમવારે એશિયન બજારમાં ભાવ ૨૨.૨૨ ડોલર સુધી નીચે ગયા હતા.
અમેરિકન અર્થતંત્રના ડેટા અપેક્ષાથી સારા આવવા સાથે મજબૂત રોજગાર આંકડાએ સર્વિસ સેકટરમાં પ્રવૃત્તિઓ વધી હોવાનું સાબિત કર્યું હતું. આ આંકડાએ અમેરિકન ડોલર અને બોન્ડ યિલ્ડને વધાવાનું બળ પૂરું પાડ્યું હતું. કોઈ નિશ્ચિત દિશાનિર્દેશન વગર જ વૉલ સ્ટ્રીટ પણ વધી હતી. ટેકનિકલ એનાલીસ્ટો કહે છે કે બુલિયન બજાર માટે નીચે જવાનું પ્રેસર હવે વધશે. ચાંદીના ભાવમાં ૨૪ ડોલર ઉપર જવાની દ્રઢતાનો અભાવ હોવાથી, વર્તમાન ભાવે દોઢ જેટલા કોન્સોલિડેશન લેવલ રેન્જ તોડી નાખી છે. આમ છતાં જો ભાવ ૨૩ ડોલર ઉપર જવા પ્રયાસ કરશે તો મંદિવાળા કચકચાવીને વળતો હુમલો કરશે.
આ પણ વાંચો: હવે તમારી સોના ચાંદીના દાગીનાની ખરીદી મોંઘી થઈ જવાની
સોના અને ચાંદીના ભાવ સંદર્ભે ટ્રેડરોમાં અનેક મતમતાંતરો હોવા છતાં, અસંખ્ય ફંડામેન્ટલસ એવા સર્જાયા છે કે જે ખાસ કરીને ચાંદીમાં મંદિવાળાની તરફેણ કરી શકે છે. ચાંદીની ફિઝિકલ માંગ સતત વધી રહી છે, જે સૂચવે છે કે છેલ્લાં એક દાયકાની સપ્લાયને, માંગ વધુ પડતી વટાવી ગઈ છે. ટ્રેડરો તો હવે વધતાં ગોલ્ડ સિલ્વર રેશિયોને પણ જોવાનું માંડી વાળ્યું છે. તેઓ હવે માનવા લાગ્યા છે કે દુનિયામાં કુદરતી સ્ત્રોત એટલા બધા ઓછા થઈ ગયા છે કે ચાંદીનું મૂલ્ય અત્યારે પણ અંડરવેલ્યુડ છે.
આશ્ચર્યજનક રીતે અમેરિકન રોજગારીના મજબૂત આંકડા આવ્યા પછી સોનું એક જ દિવસમાં ૫૩ ડોલર તૂટયું હતું. જાન્યુઆરીના અમેરિકન રોજગારીના આંકડા ૧.૯૩ લાખ આવશે, એવી ધારણા હતી, પણ તેની સામે ૫.૧૭ લાખના આવ્યા. જે દાખવે છે કે બેરોજગારીનો દર ૧૯૬૯ પછીના સૌથી નીચો ૩.૪ ટકાએ પહોંચી ગયો હતો. આ વખત બિનકૃષિ રોજગારીના આંકડા જેવા ફન્ડામેનટલ્સ જોઈને મજબૂત નાણાકીય હથિયારો સાથે મંદિવાળા બજારમાં ઉતાર્યા છે, આ વખતે મંદિવાળા વધુ લાંબો સમય મેદાનમાં રહી શકશે એવું માનવામાં આવે છે.
માર્ચ માટે પણ અમેરિકા ૦.૨૫ ટકા વ્યાજદર વધારે તેવી શક્યતા છે, એ માટે આપણે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી પડશે. આ સપ્તાહે અસંખ્ય ફેડ રિઝર્વ અધિકારીઓએ તેમના નિવેદન કરવાના છે, જો તેઓ બજારને શાંતિપૂર્ણ સંકેતો આપશે તો, બુલિયન બજારમાં તેજીવાળા પાછા ફરે તેવી સંભાવના વધી જશે. ખાસ કરીને ચાંદીમાં ભાવ ઉથલપાથલ ખૂબ વધી ગઈ છે, એવરેજ ટ્રુ રેન્જ (એટીઆર)ને આધાર બનાવીએ તો તે નવેમ્બર પછી તો દૈનિક ૮૮ સેન્ટસની ઊંચાઓએ પહોંચી છે.
આ પણ વાંચો: ૭૮નો ગોલ્ડ સિલ્વર રેશિયો કહે છે કે ચાંદીમાં વધુ તેજી સંભવિત છે
અત્યારે તો એવું લાગે છે કે ચાંદીમાં ૨૦૦ દિવસની મૂવિંગ એવરેજ ૨૨ ડોલર આસપાસ ગેપથી નીચે જવાની મથામણ અગ્રેસર છે. રોકાણકારો માટે આ ભાવ ખરીદી માટે ઉત્તમ ગણાશે. પરંતુ જો મંદિવાળા રાશનપાણી લઈને ઉતરશે તો અગાઉનો સપોર્ટ લેવલ ભાવ ૨૧ ડોલર પણ થઈ શકે છે.
(અસ્વીકાર સુચના: commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








