સોના, ચાંદી, પ્લેટિનમના આયાતી આર્ટીકલની જકાત ૨૦ ટકાથી વધારીને ૨૫ ટકા કરાઇ
સ્થાનિકમાં બનેલી જવેલરી સાથેજ સ્થાનિક રિફાઇનરીઓ સામે નવા પડકાર ઊભા થશે
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): હવે પછીની તમારી સોના(Gold) ચાંદીના(Silver) દાગીનાની(Jewellery)ખરીદી મોંઘી થઈ જવાની. નાણાંપ્રધાન સિતારામને આજે અંદાજપત્ર(Budget 2023-24) રજૂ કરતાં કહ્યું કે ખાસ કરીને ચાંદીની (ગોલ્ડ કે પ્લેટિનમ પ્લેટેડ સહિતની) જ્વેલરી એ ફિનિશ્ડ હોય કે સેમી ફિનિશ્ડ અથવા પાઉડર સ્વરૂપમાં હશે તો પણ તે ૭.૫થી ૧૦ ટકા મોંઘી થઈ જવાની છે. સોના, ચાંદી, પ્લેટિનમ કોઈ પણ કીમતી ધાતુના આયાતી આર્ટીકલ પરની આયાત જકાત ૨૦ ટકાથી વધારીને ૨૫ ટકા કરવામાં આવી છે.
નાણાપ્રધાને કહ્યું કે આ બજેટનો હેતુ એક તરફ સોના ચાંદીની માંગ ઘટાડવાનો અને બીજી તરફ ચાલુ ખાતાની ખાધ (કરંટ એકાઉન્ટ ડેફિસિટ) ઘટાડવાનો હોઇ, અમે ચાંદીના આયાતી ડોરે (પાઉડર સ્વરૂપ), લગડી, અને કોઈ પણ પ્રકારની જવેલરી કે વાસણ-કુસણ પરની આયાત જકાત સોના અને પ્લેટિનમને સમાંતર કરી દીધી છે. ગતવર્ષના અંદાજપત્રમાં અમે સોના અને પ્લેટિનમના ડોરે, લગડી અને જવેલરી પર આયાત જકાત વધારી હતી. હવે અમે તમામ ધાતુને સમાંતર ગણીને આયાત જકાતમાં ફેરફાર કર્યા છે. તેમની આ દરખાસ્ત પછી બુલિયન બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો.
મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જ પર સોનાનો રોકડો વાયદો પ્રતિ ૧૦ ગ્રામ રૂ. ૫૮,૦૬૦ સુધી અને ચાંદી પ્રતિ કિલો ૬૮,૮૯૦ બોલાઈ હતી. જાગતિક બજારમાં અનુક્રમે ભાવ પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) ૧૯૪૪ ડોલર અને ૨૩.૪૦ ડોલર બોલાયા હતા. બુલિયન ડીલર મેઘાજી વનેચંદના અનિલ સંઘવીએ કહ્યું હતું કે સોના કે ચાંદીના આયાતી બાર (લગડી)માંથી બનેલી કોઇ પણ વસ્તુ પર આયાત જકાત વધારવામાં આવી છે, તેની આખરી અસર તો સ્થાનિકમાં બનેલી જવેલરીના મૂલ્ય પર પડશે, સાથેજ સ્થાનિક રિફાઇનરીઓ સામે નવા પડકાર ઊભા થશે.
ઇંડિયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસિયેશનના સેક્રેટરી સુરેન્દ્ર મહેતા કહે છે કે ફિઝિકલ સોનાને ભવિષ્યમાં જો તમે ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીપ્ટમાં પરિવર્તન કરશો તો તે, ગોલ્ડ મોનેટાઈઝેશન યોજનાઓને ફાયદાકારક પુરવાર થશે અને તેના પર કોઈ કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગુ કરવામાં નહીં આવે. તેમણે કહ્યું કે બજારની અપેક્ષા તો એવી હતી કે આયાત જકાત ઘટાડવામાં આવશે અને બાકીના વર્તમાન જકાત માળખાને જૈસે થે રાખવામાં આવશે. પણ નાણાંપ્રધાને નવી દરખાસ્તો મૂકીને અમને આશ્ચર્યમાં મૂકી દીધા છે. સુરેન્દ્ર મહેતાનું માનવું છે કે આની પાછળનું કારણ નબળો રૂપિયો અને મજબૂત થતાં કીમતી ધાતુના ભાવ હોઇ શકે છે.
બુલિયન એનાલીસ્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભાર્ગવ વૈદ્ય કહે છે કે નાણાપ્રધાને એક આબાદ દરખાસ્ત મૂકી છે, જેના લીધે લોકો પાસેનું સોનાનું ઇલેક્ટ્રોનિક ફોર્મમાં પરિવર્તન કારવવાના પ્રોત્સાહન તરીકે ૨૦૨૩ના બજેટમાં કેપિટલ ગેઇન્સટેક્સ દૂર કરીને એક તરફ દેશમાં સોનાની આયાત ઘટે અને બીજી તરફ દેશમાં ફરતું સોનું પુન:પુન: સ્થાનિકમાં જ ફરતું રહે તેની વ્યવસ્થા કરી છે. આ પગલું ઇલેક્ટ્રિક ગોલ્ડમાં રોકાણ કરવા અથવા હિસ્સેદારી વધારવામાં પ્રોત્સાહક નીવડશે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)








