Manoj Sorathiya attacks Gujarat government on education issue : આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયાએ રાજ્યમાં શિક્ષણની ખાડે ગયેલી સ્થિતિને લઈને ગુજરાતની ભાજપ સરકાર (BJP Government Gujarat) પર પ્રહાર કર્યા છે. ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે. ખાનગી શાળાઓ લૂંટવા સિવાય અને પૈસા ઉઘરાવવા સિવાય બાળકોના વિકાસ પર કોઈ ધ્યાન આપતી નથી. હમણાં PGI 2.0 (કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય) નો એક સર્વે આવ્યો. આ સર્વેમાં ગુજરાતને 1000 માંથી માત્ર 600 જેટલા પોઇન્ટ મળ્યા છે એટલે કે ગુજરાતનું શિક્ષણનું સ્તર ફક્ત 60 ટકા છે. પાંચ વર્ષ પહેલા ગુજરાતનું સ્તર પાંચમા નંબરે હતું, ત્યાંથી નીચે આવીને હવે ગુજરાતનો નંબર 15માં સ્થાને આવી ગયો છે.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સુધારવા પંજાબ સરકારનો દાખલો (Punjab government example) આપ્યો છે. પંજાબની સરકારે ફક્ત ચાર વર્ષના ગાળામાં જ નીતિ આયોગના રિપોર્ટમાં જે 26માં નંબરનું રાજ્ય હતું એ આજે નંબર 1 રાજ્ય બની ગયું છે. જ્યારે સારી નિયત હોય, સાચી નીતિ અપનાવવામાં આવે તો આવા કામ થતા હોય છે. બાળકોને આગળ લઈ જવાનું અને દેશને વિશ્વગુરુ બનાવવાનું સાચા અર્થમાં સપનું સાકાર કરવાનું હોય તો પંજાબ સરકારે જે કરી બતાવ્યું એ ગુજરાત સરકારે પણ કરી બતાવવું જોઈએ. પંજાબ શિક્ષણમાં નંબર 1 બની શકે તો ગુજરાત કેમ નહીં? તેમ કહીને મનોજ સોરઠીયાએ મોટો સવાલ ઉઠાવ્યો છે.








