નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદ જિલ્લાના ધંધુકામાં બાઈક ઑવરટેક કરવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં યુવાનની હત્યા (Murder in Dhandhuka) કરી દેવાઈ છે. હત્યાની ઘટના બાદ ઉશ્કેરાયેલા ટોળાએ ધંધુકા હાઇવે પર આવેલી 8 થી 10 દુકાનોમાં તોડફોડ કરી આગ લગાવી દીધી હતી. આ ઘટનાના પગલે અમદાવાદ જિલ્લા એસપી પોલીસના મોટા કાફલા સાથે સ્થળ પર દોડી ગયા છે. ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે પોલીસે હત્યા કેસમાં બે આરોપી અને આગ લગાવનારા એક ડઝનથી વધુ આરોપીઓને અટકાયતમાં લીધા છે.
ધંધુકાની નસીબ સોસાયટીમાં બાઈક ઑવરટેક કરવાના મુદ્દે બે જણા વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. ઝઘડામાં ઉશ્કેરાયેલા શખસે બાઈક ચાલકને ચપ્પાનો ઘા મારતા મોત નીપજ્યું હતું. બાઇક ચાલકની હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં એક ટોળાએ ધંધુકા હાઈવે પર આવેલી 8 થી 10 દુકાનોને નિશાન બનાવી સળગાવી દીધી હતી. હત્યા બાદ મામલો બિચકતા ખુદ અમદાવાદ જિલ્લા એસપી ઓમપ્રકાશ જાટ (Om Prakash Jat) એલસીબી, એસઓજી સહિતના સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા હતા. ધંધુકા પોલીસ સ્ટેશન (Dhandhuka Police Station) ખાતે હત્યા સહિતની ઘટના ચોપડે નોંધવાની કાર્યવાહી વચ્ચે શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. પોલીસ વાહનો સતત ધંધુકા શહેર અને આસપાસના વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી રહ્યાં છે.








