Police attacks on Farmer Morbi / Surendranagar: જેતપુરમાં ખેડૂતો પર થયેલા કથિત અત્યાચાર અને લાઠીચાર્જના મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ રાજ્ય સરકાર અને તંત્ર સામે ઉગ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે વીડિયો સંદેશ મારફતે કહ્યું કે ખેડૂતો પર જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે તે જોઈ શકાય એવી નથી અને આ ઘટના રાજ્યના 54 લાખ ખેડૂતોના આત્મસન્માન પર સીધો ઘા સમાન છે.
ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે ખેડૂતો ભોળા છે અને વર્ષોથી ભાજપને મત આપતા આવ્યા છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેમના પર અત્યાચાર કરવામાં આવે. તેમણે આક્ષેપ કર્યો કે ખાનગી કંપનીઓ કરોડો રૂપિયાનો નફો કમાવવા માંગે છે, પરંતુ ખેડૂતોને યોગ્ય વળતર આપવાની વાત આવે ત્યારે વાંધો ઉઠાવવામાં આવે છે.
આ મામલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, ગુજરાતના મોરબીમાં પોતાના જ ખેતરમાંથી જતી વીજ લાઈનનો વિરોધ કરી રહેલા ખેડૂતો અને મહિલા પ્રદર્શનકારિઓ પર પોલીસ બેરહેમીથી લાઠીચાર્જ બેહદ શર્મસાર કરતું અને નિંદનીય છે.
તેમણે કહ્યું કે, આ સરકાર અન્નદાતાઓની સમસ્યાઓને સમજવાને બદલે ફક્ત પૂંજીપતિઓના ફાયદા માટે જનતા પર ક્રૂરતા કરી રહી છે. લોકતાંત્રિક અને શાંતિપૂર્ણ રીતે થઈ રહેલા પ્રદર્શનોને બળપૂર્વક રોકવા અને મારપીટ કરવાનું બંધ કરો. ખેજૂત વિરોધી આ માનસિકતા બિલ્કુલ સહન નહીં કરાય.
જ્યારે ઈસુદાન ગઢવીએ એવું પણ જણાવ્યું કે ખેડૂતોની મંજૂરી વિના તેમના ખેતરોમાં પ્રવેશ કરીને વીજલાઇનના થાંભલા ઉભા કરવામાં આવે છે અને આ માટે વહીવટી તંત્ર દ્વારા પરવાનગીઓ પણ આપવામાં આવે છે. ખેડૂતોના વિરોધને દબાવવા માટે પોલીસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.
AAP પ્રદેશ પ્રમુખે રાજ્ય સરકારને સૂચન કર્યું કે કંપનીઓ અને ખેડૂતોની સંયુક્ત કમિટી બનાવી ચર્ચા કરવામાં આવે. કંપનીઓને થનારી આવક અને ખેડૂતોને મળનારા વળતર અંગે ખુલ્લી ચર્ચા થવી જોઈએ. તેમણે કહ્યું કે જો કંપનીઓને કરોડો રૂપિયાનો નફો થવાનો હોય તો ખેડૂતોને પણ તેના હિસ્સા રૂપે યોગ્ય વળતર અથવા નફામાં ભાગ મળવો જોઈએ.
ઈસુદાન ગઢવીએ વધુમાં કહ્યું કે ગરીબો અને ખેડૂતો સામે જ કડકાઈ દાખવવામાં આવે છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે શું આ પ્રકારની કાર્યવાહી કોઈ મંત્રી, ધારાસભ્ય કે ઉચ્ચ અધિકારીના ખેતરમાં કરવામાં આવી શકે? તેમણે કહ્યું કે ખેડૂતોને હેરાન-પરેશાન કરવાની પરવાનગી આપનારાઓએ આત્મમંથન કરવાની જરૂર છે.
તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે કંપનીઓ અને તંત્ર વચ્ચેની નજીકતાના કારણે ખેડૂતોના હિતોની અવગણના કરવામાં આવે છે. ખેડૂતોને મત આપ્યા પછી તેમની કોઈ કિંમત રહેતી નથી, જ્યારે કંપનીઓ માટે આખું તંત્ર કાર્યરત થઈ જાય છે. રજૂઆત કરવા જતા ખેડૂતો અને આગેવાનો સામે કાર્યવાહી કરવામાં આવે છે, તે લોકશાહી માટે ચિંતાજનક બાબત હોવાનું તેમણે જણાવ્યું.
ઈસુદાન ગઢવીએ રાજ્યના ખેડૂતોને એક થવાની અપીલ કરતાં કહ્યું કે યોગ્ય વળતર મળ્યા વિના અથવા નફામાં હિસ્સો નક્કી કર્યા વિના કંપનીઓને ખેડૂતોની જમીનમાં પ્રવેશ ન આપવો જોઈએ. સાથે જ તેમણે રાજ્ય સરકારના મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદોને ખેડૂતોના હિતમાં હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી.








