CM BHUPENDRA PATEL WRITES TO NARENDRA MODI: ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રીએ ગુજરાતના તમામ નાગરિકો વતી વડાપ્રધાનને પત્ર લખીને આ ઐતિહાસિક સિદ્ધિ બદલ શુભેચ્છાઓ વ્યક્ત કરી છે અને દેશના સર્વાંગી વિકાસ, સુશાસન તથા લોકકલ્યાણ માટે તેમના યોગદાનની પ્રશંસા કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના પત્રમાં જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 12 વર્ષનો કાર્યકાળ વિશ્વભરમાં ભારત અને ભારતીયોનું ગૌરવ વધારનાર રહ્યો છે. તેમના નેતૃત્વમાં સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક અને ઓપરેશન સિંદૂર જેવા પગલાંઓ દ્વારા ભારતે આતંકવાદ સામે કડક વલણ અપનાવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’નો મંત્ર આજે રાષ્ટ્રીય સંકલ્પ બની ગયો છે. વિકાસની ગતિ અને વ્યાપને કારણે દેશભરમાં લોકો ‘મોદી હૈ તો મુમકીન હૈ’ની ભાવના વ્યક્ત કરી રહ્યા છે. વડાપ્રધાનના નેતૃત્વમાં કલ્યાણકારી યોજનાઓને સેચ્યુરેશન એપ્રોચ સાથે છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવામાં આવી છે અને દેશમાં પ્રથમ વખત ‘ઇઝ ઓફ લિવિંગ’ની સંકલ્પના સાકાર થઈ છે.
મુખ્યમંત્રીએ ગુજરાતને મળેલા પ્રોજેક્ટ્સનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન તરીકે દાયિત્વ સંભાળ્યા બાદ ગુજરાતને ડબલ એન્જિન સરકારનું બળ મળ્યું છે. નર્મદા યોજનાના ગેટ માટે મંજૂરી, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, ગિફ્ટ સિટી, કચ્છનો હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક, મોઢેરા સોલાર વિલેજ, સાણંદના સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જેવા વિકાસકાર્યો ગુજરાતને નવી ઊંચાઈઓ તરફ લઈ ગયા છે.
તેમણે જણાવ્યું કે લોથલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ, સોમનાથ અને દ્વારકા કોરિડોર, અંબાજી વિકાસ પ્રકલ્પ, પાવાગઢ મહાકાળી ધામના પુનઃવિકાસ અને વડનગર આર્કિયોલોજિકલ મ્યુઝિયમ જેવા પ્રોજેક્ટ્સ દ્વારા ‘વિકાસ ભી, વિરાસત ભી’નો મંત્ર સાકાર થયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના પત્રમાં જણાવ્યું કે દેશ ‘વિકસિત ભારત @2047’ના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે ત્યારે ગુજરાત પણ ‘વિકસિત ગુજરાત’ના લક્ષ્યને સાકાર કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. તેમણે સહુ ગુજરાતીઓ વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 12 વર્ષના સફળ સુશાસન માટે હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.








