Surat Bay Flood Problem Resolution Committee : તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે સુરત શહેરમાં સર્જાયેલા ખાડી પૂરના કારણે લોકોને અગણિત રૂપિયાનું નુકસાન ભોગવવું પડ્યું છે. દર વર્ષે સર્જાતી ખાડી પૂરની વિકટ સ્થિતિને કાયમી રોકવા માટે 500 કરોડ રૂપિયાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત (CM Bhupendra Patel announces Rs 500 crore) કરી હતી. ખાડી પૂરના કાયમી નિવારણ માટે રાજ્ય સરકારે બે કમિટીનું ગઠન કર્યું છે. કમિટી મેમ્બરની યાદીમાં 8 મહિના અગાઉ નિવૃત્ત થઈ ચૂકેલા સિટી ઇજનેરનું નામ અને હાલના ઇન્ચાર્જ સિટી ઇજનેરને એડિ. સિટી ઇજનેર તરીકે દર્શાવાતા સરકારની ગંભીરતા પર સવાલ ઉભા થયા છે.
સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ રાજ્ય સ્તરે શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ એમ. થૈન્નારાશનની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવી છે. કમિટીમાં કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ રૈમ્યા મોહન, સુરત પાલિકા કમિશનર નાગરાજન, સુડાના સીઈઓ (SUDA CEO) સુથાર રાજ, પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર એસ.ડી. વસાવા, સુરત કલેક્ટર, માર્ગ અને મકાન વિભાગ, જળસંપત્તિ અને સિંચાઈ વિભાગ, સરદાર સરોવર નિગમ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વરિષ્ઠ અધિકારીઓને સભ્ય તરીકે સામેલ કરાયા છે. રાજ્ય સ્તરની કમિટીની સાથે સુરત પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં સિટી લેવલ કમિટીનું પણ ગઠન કરવામાં આવ્યું છે.
સુરતના ખાડી પૂર જેવી ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકારે ઉચ્ચસ્તરીય કમિટીઓની ગઈકાલે શુક્રવારે મોટા ઉપાડે જાહેરાત કરી દીધી છે. જો કે, જાહેર થયેલી કમિટી મેમ્બરની યાદીએ સમગ્ર કવાયતની ગંભીરતા સામે મોટો સવાલ ઉભો કરી દીધો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)માંથી આઠ મહિના પહેલાં નિવૃત્ત થયેલા ઇન્ચાર્જ સિટી એન્જિનીયર જતીન દેસાઈને હજુ પણ સિટી એન્જિનીયર તરીકે કમિટીમાં સ્થાન અપાયું છે. જ્યારે હાલ કામગીરી સંભાળી રહેલા ઇન્ચાર્જ સીટી ઇજનેરને તેમના વર્તમાન હોદ્દા મુજબ દર્શાવવાના બદલે એડિશનલ સિટી એન્જિનીયર તરીકે જ રાખવામાં આવ્યા છે. સરકારી વર્તુળોમાં ચાલતી ચર્ચા અનુસાર ગત વર્ષની કમિટી યાદીને કોપી પેસ્ટ કરી જાહેર કરી દેવામાં આવી છે.








