હરેશ ભટ્ટ (નવજીવન ન્યૂઝ. સુરત): આજથી 20 વર્ષ પૂર્વેની આ વાત છે. જ્યારે ઉમરા વિસ્તારમાં એક ઘટના બની હતી. જેમાં એક યુવાને ચારિત્ર્યની શંકાના આધારે તેનાં ભાભી, પાંચ માસના માસૂમ ભત્રીજાને જીવતા સળગાવ્યા હતા. જેને બચાવવા વચ્ચે પડેલી પડોશી મહિલાને પણ જીવતી જલાવી દીધી હતી. આ ત્રણેયની ક્રૂરતાપૂર્વક હત્યા કરનારાને તેના મરણોન્મુખ નિવેદનના આધારે ફાંસીની સજા થઈ હતી. તા. 10-9-2002ના રોજ ઉમરાની તુલસીચાલ ઝૂંપડપટ્ટીમાં આ ઘટના બની હતી.
આ ઘટનામાં ભગવાન હાંડું બહેરાએ તેનાં ભાભી શશીબહેન (ઉ.વ.28) તેના પાંચ માસના પુત્ર રોહિત પર કેરોસીન છાંડી દીવાસળી ચાંપી દીધી હતી. આ બન્ને ભળભળ બળી રહ્યા હતા બરોબર તે વખતે પડોશી મહિલા બાવરીબેન બચાવવા આવ્યા. તો આ ભગવાન બહેરાએ બાવરીબેનને પણ આગમાં ધકેલી દીધા હતા. થોડા સમયમાં ત્રણેય બળીને રાખ થઈ ગયા.
ઘટનાની જાણ થતાં જ ઉમરા પોલીસ મથકના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. રામાણી, તેમના રાઇટર કિરીટ વિનાયક ગોળવેલકર સહિતની ટીમ સાથે પહોંચ્યા. પ્રારંભિક તબક્કે જાણવા મળ્યું કે દીયરે ચારિત્ર્યની શંકાના આધારે સગા દીયરે ભાભી સહિત ત્રણની હત્યા કરી હોવાનું ફલિત થયું. એ સાથે જ ઉમરા પોલીસની ટીમે ભગવાન બહેરાને પકડી પાડ્યો હતો.
હવે બન્યું એવું કે પોલીસ હજુ તો તપાસ આરંભે તે પૂર્વે ભગવાન બહેરાએ ઉમરા પોલીસના લોકપમાં ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેની સામે ગુનો નોંધી તેને સારવારાર્થે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો. તે સમયે એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ સમક્ષ તેનું મરણોન્મુખ નિવેદન (ડીડી) લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ. જેમાં આ ગુનેગારે કબૂલ્યું કે પોતે ત્રણ ત્રણ હત્યા કરી નાખી હોવાથી પસ્તાવાના ભાગરૂપે મરવા માગતો હતો.
બસ, થઈ રહ્યું. કાયદાના જાણકાર કિરીટભાઈ એ જાણતા હતા કે થર્ડ પાર્ટી સમક્ષ કરેલી કબૂલાત મજબૂત પુરાવો ગણાય છે. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કક્ષાના અધિકારી સમક્ષ કરેલી આ કબૂલાતને મુખ્ય પુરાવો ગણી કિરીટભાઈએ તત્કાલીન પોઈ બી.વી. રામાણી (હાલ નિવૃત્ત ડીવાય.એસ.પી.)ના માર્ગદર્શન તળે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું. કોર્ટમાં કેસ ચાલ્યો. 2005ના વર્ષમાં કોર્ટની કાર્યવાહી પૂર્ણ થઈ ત્યારે તત્તકાલીન એડિશનલ સેશન્સ જજ એસ.આઈ। નાગમિયાએ ભગવાન બહેરાને ફાંસીની સજા ફરમાવી હતી. આ રીતે એક મજબૂત પુરાવાના આધારે ગુનેગારને ફાંસીની સજા થઈ હતી.
![]() |
![]() |
![]() |











