કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ):‘નવી સંસ્કૃતિનું અને નવી વ્યવસ્થાનું સ્વરૂપ કેવું હશે તેની તો આજે કોઈને ખબર નથી. પણ એટલું નક્કી કે હવે જે પરિવર્તન આવશે તે ઉપરથી લદાયેલું નહીં હોય, નીચેથી પાંગરેલું હશે. સમાનતાપૂર્વક હજારો વિકેન્દ્રિત પ્રયોગોના પરિણામસ્વરૂપ તે આવશે. દુનિયાભરમાં આજે સરકારો વિશેનું વ્યાપક ભ્રમ-નિરસન, રોષ અને કડવાશ જોવા મળે છે. તેમાંથી ભડકોયે થઈ શકે અને યથાર્થ લોકશાહીની નવરચનાની પ્રક્રિયાયે શરૂ થઈ શકે. વ્યાપક લોકજાગ્રતિ દ્વારા નીચેથી આ માટે દબાણ ઊભું કરવું પડશે. તેના વિના આજના અગ્રણીઓ પરિવર્તનનાં પરિબળોને દાદ નહીં દે. આજની વ્યવસ્થા ગમે તેવી જર્જરીત થઈ ગઈ છે. છતાં તે જ વ્યવસ્થા એ બધાંને પ્રતિષ્ઠા, પૈસો અને પોતાના હાથમાં સત્તા છે એવો ભ્રમ આપી જાય છે. એટલે જર્જરીત વ્યવસ્થાને તેઓ ઝટ છોડી નહીં શકે. તેને માટે એમના પર નીચેથી પ્રજામતનું દબાણ લાવવું પડશે.’ આ ભવિષ્ય કથન કરનારા એલવીન ટોફલર છે. મૂળ અમેરિકાના એલવીન ટોફલરે વીસમી સદીમાં આવી રહેલા જંગી પરિવર્તનોને ધ્યાનમાં રાખીને ‘ધ થર્ડ વેવ એન્ડ પાવર શિફ્ટ’ નામનું પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ ‘ત્રીજું મોજું’ નામે કાન્તિ શાહે કર્યો છે. આ પુસ્તકમાં ‘ઔદ્યોગિક સભ્યતાનું માળખું’, ‘પરિવર્તનની ઝાંખી’ અને ‘બજારમુક્તિના દિશામાં’ અને ‘બદલાતાં મૂલ્યો, ખ્યાલો અને ચીલાઓ’ અને ‘એકવીસમી સદીની લોકશાહી’ જેવાં પંદર પ્રકરણોમાં ભવિષ્યની વાત કરી છે. આ પુસ્તક સાડા ચાર દાયકા અગાઉ લખાયું હતું. પરંતુ તેમાં તેમણે બદલાઈ રહેલાં સમાજની ઝાંખી આપી છે. તેમાંથી અનેક બાબતો આજે ધ્યાને લેવા જેવી છે.

એલવીન ટોફલર જે દેશમાં થઈ ગયા તે જ દેશના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે શિક્ષણ સંસ્થાઓ અને ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન’ જેવી સંસ્થાઓના ભંડોળ પર મસમોટો કાપ મૂકીને તેમને પાંગળી બનાવી રહ્યા છે. અમેરિકા જ્યાં મુક્ત બજાર સાથે મુક્ત શિક્ષણની પણ વિશાળ તક હતી તે તકો હવે ખુદ પ્રમુખ છીનવી રહ્યા છે. ‘ઔદ્યોગિક સભ્યતાનું માળખું’ નામના પ્રકરણમાં તેઓ લખે છે કે ઓદ્યોગિક યાત્રા ક્યાંથી ક્યાં સુધી આવી ગઈ છે : ‘ખેતીપ્રધાન સભ્યતામાં સંયુક્ત કુટુંબની પ્રથા હતી. વિશાળ કુંટુબના સભ્યો એક સાથે રહેતા અને એક સાથે કામ કરતા. કુટુંબના મૂળિયાં ધરતી સાથે જોડાયેલાં હતા. બીજા મોજાના ધસમસતા પ્રવાહમાં આ મૂળિયાં ઊઘડી ગયા. કૌટુંબિક સંબંધોમાં ફરક પડી ગયો. સંયુક્ત કુટુંબની પ્રથા પડી ભાંગી. કુટુંબ નાનું થતું ગયું. વ્યક્તિગત માલિકીની સંપત્તિના નવા ખ્યાલો ઊભા થયાં. આર્થિક ઉત્પાદન ખેતરને બદલે વધુ ને વધુ કારખાનાં તરફ જતું ગયું. હવે કાર્યનું એકમ કુટુંબ ન રહ્યું. કુટુંબની અગાઉની મુખ્ય જવાબદારીઓ પણ જુદી જુદી સંસ્થાઓને સુપરત થતી ગઈ. બાળકનું શિક્ષણ નિશાળોને સોંપાયું. ઘરડાંઓને સંભાળ ઘરડાંઘર અને સરકારને સોંપાઈ. નવી સભ્યતાને એક જગ્યાએ ખોડાયેલો માણસ નહીં, પણ નોકરી માટે જ્યાં-ત્યાં જઈ શકતો ફરંદો માણસ ખપતો હતો. તેને અનુરૂપ સામાજિક માળખું ગોઠવાતું ગયું.’ આ લખનાર એક અમેરિકન છે, જે તેના ત્યાં આવેલા ઔદ્યોગિક બદલાવ વિશે આવું લખે છે. જેમાં કુટુંબ નાનાં થતાં ગયા અને બાળકોનું શિક્ષણ શાળાઓને માત્ર સોંપાયું તે લખ્યું છે. આ બધું આપણી સાથે થઈ રહ્યું છે અને તે બદલાવમાં અત્યારે મહદંશે સૌ કોઈ પિસાઈ રહ્યા છે.

ઔદ્યોગિકવાદમાં બજાર આપણી પર કેટલું હાવી થઈ ગયું છે અને તે માટે લોકોને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે – તે માટે આગળના ફકરામાં ટોફલર જે લખે છે તે ખાસ વાંચવા જેવું છે. તેઓ લખે છે : “નવી સભ્યતી જરૂરિયાત મુજબનું નવું શૈક્ષણિક માળખું પણ ગોઠવાયું. નવી પેઢીને હવે કારખાનાંના જીવન માટે તૈયાર કરવાની હતી. કારખાનાંના નમૂના ઉપર ઊભી થયેલ નિશાળોમાં વાચન, લેખન, ગણિત, ઇતિહાસ વગેરે શીખવાતું. પણ તો ‘પ્રત્યક્ષ અને પ્રગટ પાઠ્યક્રમ’ તેની નીચે બીજો અદૃશ્ય અથવા ‘ગુપ્ત પાઠ્યક્રમ’ પણ રહેતો. જે વઘુ અગત્યનો હતો. તેમાં સમય-ચુસ્તતા, આજ્ઞાપાલન અને યંત્રવત્ કામ કરવા માટે બધાને તૈયાર કરવામાં આવતા. ઓગણીસમી સદીમાં જેમ જેમ બીજા મોજાનો પ્રભાવ વધતો ગયો તેમ તેમ આ કરખાનાં જેવી નિશાળોમાં બાળકો વધુ ને વધુ નાની ઉંમરે દાખલ થતાં ગયાં અને વધુ ને વધુ મોટી ઉંમર સુધી તેમાં ભણવાનું ચાલુ રાખતાં રહ્યાં. આ શાળા-કોલેજો ઔદ્યોગિક સભ્યતાને ખપ હતો એવી બીબાંઢાળ કર્મચારીઓ અને મજૂરોની પઢી તૈયાર કરતી હતી.” અહીંયા એક શબ્દ ‘બીબાંઢાળ’ આવ્યો તે અતિજોખમ સ્થિતિ છે અને તે હવે આપણે ત્યાં સર્વત્ર જોવા મળી રહી છે. શિક્ષણમાં દાવા બધા થાય છે પરંતુ તેની સ્થિતિ બીબાંઢાળ છે. તેનું માળખું બીબાંઢાળ છે અને તેમાં નવીનપણું દેખાતું નથી.
માણસની સ્થિતિ આ બધામાં કેવી થઈ છે તેના કેટલાંક લક્ષણો ટોફલરે નોંધ્યા છે. ઔદ્યોગિક સભ્યતાનું ત્રીજુ સૂત્રમાં તેઓ લખે છે : ‘સમય કિમતી છે, અને તે મુજબ ઘડિયાળના કાંટે બધું જીવન ગોઠવાતું ચાલ્યું. અગાઉ ઋતુઓના, રાત-દિવસના માનવદેહના લય ને તાલ મુજબ માણસનું કામ ગોઠવાતું, પણ હવે યંત્રના તાલે તાલે માણસ પોતાની જાતને ગોઠવવાની રહેતી. જે લોકો આ આદ્યૌગિક બીજા મોજાની અસર હેઠળ નથી આવ્યા, એમનામાં આવી સમયચુસ્તતા જોવા નથી મળતી.” રાજકીય સંબંધિત તેઓ જે સત્ય લખે છે તેમાં તેમનું નિરીક્ષણ છે : “કાગળિયાનું કામકાજ ખૂબ ફૂલ્યું-ફાલ્યું. નિયમો અને કાયદાકાનૂનનું માળખું બધે ફેલાયું. સરકારનું તોતિંગ તંત્ર ઊભું થયું. પ્રમુખો અને વડા પ્રધાનો પોતાને મુખ્યત્વે વહીવટદાર માને છે. સામાજિક અને રાજકીય ક્ષેત્રના સર્જનાત્મક નેતા નથી. તેઓ બધા લોકશાહી અને સામાજિક ન્યાયની વાતો ભલે કરતા હોય, પરંતુ બહુ બહું તો કાંકઈ કુશળ વહીવટ કરી શકે છે. તેનાથી વિશેષ તેઓ ભાગ્યે જ કશું કરી શકે છે.” રાજકીય લોકો પાસેથી ટોફરલને કોઈ અપેક્ષા નથી. આપણા દેશમાં કે વિશ્વમાં ક્યાંય પણ રાજકારણ વિશે સર્વસામાન્ય થઈ પડ્યું હોય તે વિશે તેઓ કહે છે : “નામો, સૂત્રો, પક્ષીય લેબલો, ઉમેદવારો બદલાતા રહે છે, પણ મૂળ શૈલીમાં કશોયે ફરક પડતો નથી. છેલ્લા ત્રણસો વરસમાં ઘણાં દેશોમાં વિદ્રોહી અને સુધારકો ઊભા થયા. નાની-મોટી ક્રાંતિઓ થઈ, પરંતુ સત્તાનું મૂળભૂત માળખું એનું એ જ રહ્યું. સામાજિક ન્યાય અને રાજકીય સમાનતાની ભૂમિકા ઉપર એક નવો સમાજ રચવાના પ્રયાસો થયા. થોડોક વખતે નવી વ્યાપક ભાવના પણ ફેલાઈ. ક્રાંતિકારીઓ કેટલાંક શાસનોને પણ ઊથલાવી શક્યા. અને તેમ છતાં અંતતોગત્વા પરિણામ એનું એ જ. ક્રાંતિકારીઓએ નવા નામે સત્તાનું એવું ને એવું જ માળખું ઊભું કર્યું. ચિત્તાના શરીર પરના ચટાપટા બદલાય તો આ માળખું બદલાય.” આ બાબત સમજવા માટે આપણા દેશથી સારું ઉદાહરણ કયું હોઈ શકે. આઝાદી વખતે જે ઉદ્દેશ્યથી આપણે અંગ્રેજો સામે લડ્યા અને તે પછી પણ સમયાંતરે આપણે ત્યાં ક્રાંતિ થઈ તેની નાની-મોટી હકારાત્મક ચોક્કસ અસર જોવા મળી. પણ લોકોપયોગી માહોલ ઉભો થાય તેના સપનાં હજુય આપણે જોઈ રહ્યા છીએ.
‘ત્રીજું મોજું’ પુસ્તકમાં આખરે એક ફકરામાં જે લેખક ટાંકે છે તે આજના એકવીસમી સદીના ત્રીજા દાયકામાં બંધબેસે છે. લેખક લખે છે : “એકવીસમી સદીમાં આર્થિક સર્વોચ્ચતા હાંસલ કરવા માટેની ગળાકાપ હરીફાઈ શરૂ થઈ ગઈ છે. જીવ-સટોસટની આ લડાઈ છે. આર્થિક ક્ષેત્રમાં દુનિયા આખી ઉપર કોની આણ પ્રવર્તશે. તેની આમાં ચર્ચા ને ચિંતા છે. હવેના સત્તા-સંઘર્ષમાં જ્ઞાન એ જ મુખ્ય સાધન છે. એટલે જ્ઞાન હડપ કરી લેવા માટેનો આ બધો સંઘર્ષ છે. આ ‘જ્ઞાન’ એટલે માહિતી, જાણકારી, આવડત, અદ્યતનમાં અદ્યતન ટેક્નોલોજી પરનો અંકુશ. એ જ્ઞાન દ્વારા તમે દુનિયા આખી ઉપર વર્ચસ્વ જમાવી શકશો. દુનિયાની ચોટલી તમારા હાથમાં રહેશે, દુનિયાની દોલત ને સંપત્તિ પર તમારો કબજો રહેશે. તેનો યથેચ્છ ઉપભોગ કરવાનો તમને પરવાનો મળશે.” આવી અનેક મહત્ત્વની વાતો ‘ત્રીજું મોજું’ નામના પુસ્તકમાં એલવીન ટોફલરે આલેખી છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796