નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત વિધાસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે, ત્યારે ગુજરાતનાં રાજકારણમાં નવી આવી રહેલી આમ આદમી પાર્ટી માટે ચૂંટણીના પરિણામ પોતાના તરફી કરવા હોય તો લોક સંવાદ અને લોક સંપર્ક અત્યંત જરૂરી બની જાય છે. તાજેતરમાં AAPના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અનેક વાર ગુજરાત મુલાકાત કરી ચૂક્યા છે અને ગુજરાતની જનતાને પોતાના પક્ષ તરફ કરવા માટે અનેક જાહેરાતો કરી ચૂક્યા છે, પરંતુ હવે આ જાહેરતોને લોકો સુધી પહોંચાડવાનું કામ AAP ગુજરાતનું છે.
ગુજરાત આમ આદમી પાર્ટીમાં યુવા નેતા તરીકેની છાપ ધરાવતા યુવરાજસિંહ જાડેજાએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતું કે, “બેરોજગારી એક ગંભીર મુદ્દો છે, બેરોજગાર યુવાનોની જે વ્યથા છે, વેદના છે તેનું કેવી રીતે નિરાકરણ આવી શકે તે માટે અમે તારીખ 25 ઓગસ્ટ, 2022ના રોજ ઉત્તર ગુજરાતમાં ‘રોજગાર ગેરંટી યાત્રા’ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ‘રોજગાર ગેરંટી યાત્રા’ ગુજરાતના 3 જિલ્લાઓમાંથી નીકળશે, તેમાં 11 દિવસનો કાર્યક્રમ રહેશે અને 21 વિધાનસભાના ક્ષેત્રો તેમાં સામેલ કરવામાં આવશે. આ 11 દિવસમાં અમે 42 કાર્યક્રમો યોજીશું અને યુવાનોની રોજગાર સંબંધિત વ્યથા સાંભળીશું. તેમજ આ યાત્રાની સાથે જ ગુજરાતમાં હાલમાં જે યુવાનો બેરોજગાર છે તેમની નોંધણી કરીશું આવી રીતે અમે ઉત્તર ગુજરાતમાં ‘બેરોજગાર નોંધણી મેળો’ શરૂ કરીશું. 11 દિવસીય ‘રોજગાર ગેરંટી યાત્રા’ હિંમતનગરના મોતીપુરા સર્કલથી શરુ થઈને પાટણમાં વારાહી ખાતે પૂર્ણ થશે.”
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, “આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતના યુવાનો માટે જે રોજગારનું ગેરંટી કાર્ડ આપ્યું છે, તેની જાણકારી ગુજરાતના દરેક યુવાનો, દરેક ગામડાઓ, દરેક શહેરો સુધી પહોંચાડીશું. ભાજપ દ્વારા લોકોને જે ખોટી જાણકારી આપવામાં આવી રહી છે, તેના વિશે લોકોને સાચી માહિતી આપીશું કે કેવી રીતે ગુજરાતમાં 10,00,000 સરકારી નોકરી શક્ય છે.”
યુવરાજસિંહે જણાવ્યુ હતું કે, “ગુજરાતમાં દરેક ગામડમાં, તાલુકમાં અને શહેરોમાં જે બેરોજગારો છે, તેની સંપૂર્ણ નોંધણી કરવામાં આવશે, જેથી 2022માં જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બને ત્યારે વહેલી તકે તેમની સમસ્યાનો ઉકેલ લાવી શકાય. જે પણ યુવાનો બેરોજગાર છે તેમને કેવી રીતે રોજગારી આપી શકાય તે જ અમારું લક્ષ્ય રહેશે. જેમાં સરકારી રોજગારી, અર્ધસરકારી રોજગારી, બિનસરકારી રોજગારી એમ તમામ સંસ્થાનોમાં કેવી રીતે ગુજરાતના યુવાનોને પ્રાધાન્ય આપી શકાય એ બાબત આવનારા દિવસોમાં મોખરે રહેશે.”