પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): નરેન્દ્ર મોદી (Narendra Modi) વડાપ્રધાન થયા અને અમિત શાહ (Amit Shah) ગૃહમંત્રી થયા પછી ગુજરાતમાં ઊભા થતા પોલીટિકલ પ્રોબલેમ શાંત થવાનું નામ લેતા નથી. નરેન્દ્ર મોદી સહિત બહુ જુજ એવા નેતાઓ છે કે જેમણે સત્તામાં રહ્યા પછી પોતાના પરિવારને સત્તાથી દુર રાખવામાં સફળ રહ્યા છે. ગુજરાતની વર્તમાન પરિસ્થિતિ ઉપર સેન્ટ્રલ આઈબી સતત નજર રાખી રહી છે કે સરકારના કામમાં કોના વેવાઈ અને કોનો દિકરો હસ્તક્ષેપ કરી રહ્યા છે. સેન્ટ્ર આઈબી (Central IB) નો આ રિપોર્ટ ભાજપના અનેક નેતાઓનું ભાવી નક્કી કરશે.
કોરોનાકાળ પછી જનમાનસમાં ઊભી થયેલી સરકારની નિષ્ફળતાની છબીને ભૂસવા નરેન્દ્ર મોદી અને ભાજપ હાઈકમાન્ડે સાગમટે સરકાર બદલી ભાજપ અને પ્રજાને આંચકો આપ્યો હતો. નવી આવેલી સરકાર પાસે પોતાનું કૌવત દેખાડવા માટે એક વર્ષનો સમયગાળો હતો. પરંતુ ગુજરાત ભાજપમાં આંતરિક જુથબંધી અને પોતે જ સરકાર છે તેવો માહોલ ઊભો કરી અલગ અલગ રજવાડાઓની જેમ સરકાર ચાલવા લાગી હતી. સરકાર અને સંગઠન સાથે છે તેવો માહોલ ઊભો થઈ શકતો ન્હોતો. દરેક મંત્રી સમગ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરવાને બદલે વ્યક્તિ ગત પર્ફોમન્સ અને વ્યક્તિગત ફાયદાઓ જોવા લાગ્યા હતા.
જ્યારે હવે ચૂંટણીને છ મહિના પણ બાકી રહ્યા નથી ત્યારે ગુજરાતમાં ચાલી રહેલી રોજબરોજની ગતિવિધિઓ પર નજર રાખવાનું કામ સેન્ટ્ર ઈન્ટેલિજન્ટ્સ બ્યૂરો કરી રહ્યું છે. સેન્ટ્ર આઈબીના રિપોર્ટના આધારે જ પ્રધાનમંડળમાં ખાતાની ફેરબદલી થઈ. આ ઉપરાંત કયા મંત્રી કોના સંપર્કમાં છે કોના પરિવારજનો સરકારી કામ કરી રહ્યા છે, કયા મંત્રીનું ક્યાં રોકાણ છે અને કોના ખાતામાં એક સાથે 12 કરોડ રૂપિયા જેવી રકમ ભરાઈ…. આવી બારિક માહિતીઓ રોજ બરોજ દિલ્હી પહોંચી રહી છે. આ માહિતી કોના માટે સ્ફોટક સાબિત થશે તેના માટે સમયની જ રાહ જોવી જરૂરી છે.