નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું આજે 58 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા દોઢ મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમણે આજે સવારે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં અંતિમ શ્વાસ લીધા હતા. એક મહિના કરતા પણ વધુ સમય પહેલા હાર્ટ એટેકના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લોકપ્રિય કોમેડિયન અને અભિનેતા રાજુ શ્રીવાસ્તવ લાંબા સમયથી વેન્ટિલેટર પર હતા. શ્રીવાસ્તવને 10 ઓગસ્ટના રોજ દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા અને તે જ દિવસે તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.
કાનપુરના રહેવાસી રાજુ શ્રીવાસ્તવનું સાચું નામ સત્ય પ્રકાશ શ્રીવાસ્તવ હતું અને તે પડદા પર ગજોધર ભૈયા તરીકે પ્રખ્યાત હતા. તેમનો જન્મ 25 ડિસેમ્બર 1963ના રોજ થયો હતો. શ્રીવાસ્તવ પોતાના અભિનયથી બધાને ખૂબ હસાવતા હતા. શ્રીવાસ્તવે રાજકારણમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું હતું. 2014ની લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ તેમને કાનપુર સીટ પરથી મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ તેમણે પાર્ટીના સ્થાનિક કાર્યકર્તાઓનું સમર્થન ન મળવાનું કહીને ટિકિટ પરત કરી દીધી હતી. બાદમાં તે જ વર્ષે માર્ટ 2014માં તેઓ ભાજપમાં જોડાયા હતા.
રાજુ શ્રીવાસ્તવ 1980 ના દાયકાના અંતથી મનોરંજન જગતમાં સક્રિય છે. તેમણે 2005માં સ્ટેન્ડ-અપ કોમેડી શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પ્રથમ સિઝનમાં ભાગ લીધા બાદ ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી. તેમણે ‘મૈંને પ્યાર કિયા’, ‘બાઝીગર’, ‘બોમ્બે ટુ ગોવા’ (રિમેક) અને ‘આમદાની અથની ઘરચા રૂપૈયા’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. શ્રીવાસ્તવ ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના પ્રમુખ પણ હતા.








