નવજીવન ન્યૂઝ. સુરતઃ ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં રાજ્યના માલધારી સમાજ દ્વારા સરકાર સામે બાંયો ચડાવી છે. ગાંધીનગરમાં રવિવારે યોજાયેલા માલધારી સંમેલનમાં 21મી સપ્ટેમ્બરે દૂધ હડતાળ જાહેર કરવામાં આવી હતી. જે અંતર્ગત માલધારીઓ આજે દૂધનું વેચાણ નહી કરે. આજે દૂધ ન મળવાની આશંકા વચ્ચે મોડી રાતથી જ દૂધ લેવા માટે લોકોની કતારો જોવા મળી હતી. ઉપરાંત અનેક જગ્યાએ દૂધનો સ્ટોક ખાલી થઈ ગયો હતો.
અમદાવાદમાં મોડી રાત્રે કેટલાક પાર્લર પર દૂધનો સ્ટોક ખાલી થઈ જતા લોકોને ખાલી હાથે પાછા ફરવું પડ્યું હતું. જ્યારે સુરતમાં સુમુલ ડેરીના દૂધના વાહનોને માલધારી દ્વારા રોકી દેવામાં આવ્યા હતા. દૂધ ભરેલો ટેમ્પો શહેરીની ડેરીઓમાં મોકલવામાં આવી રહ્યો હતો આ દરમિયાન ટેમ્પોને રોકીને તોડફોડ કરવામાં આવી હતી. ઉપરાંત દૂધની થેલીઓ રસ્તા પર જ ફેંકી દેવામાં આવી હતી.
સુરતમાં સુમુલ ડેરી દ્વારા રાતથી જ શહેરની ડેરીઓ પર દૂધ પહોંચાડવાનું શરૂ કર્યું હતું. પરંતું પાંડેસરા, સચિન સહિત અનેક વિસ્તારોમાં દૂધના વાહનોની હવા કાઢીને તોડફોડ કરવામાં આવી હતી. ચોક બજાર વિસ્તારમાં દૂધના વાહનને રોકીને દૂધની થેલીઓને તાપી નદીમાં ફેંકવામાં આવી હતી. જેથી નદીમાં દૂધની થેલીઓ તરતી જોવા મળી હતી.
સુરત સુમુલના ચેરમેન માનસિંહ પટેલે જણાવ્યું હતું કે, સુમુલ અને ચોર્યાસીના તમામ સેન્ટરો પરથી રાબેતા મુજબ દૂધનું વેચાણ ચાલુ રહેશે. તેમજ દરેક સેન્ટર પરથી પર્યાપ્ત માત્રામાં દૂધનો જથ્થો મળી રહેશે. દૂધ વેચાણ બંધ હોવાની વાતને સુમુલના ચેરમેન માનસિંહ પટેલે ફગાવી દીધી. સુમુલ ડેરીની સાથે ચોર્યાસી ડેરીમાં પણ દૂધનું વેચાણ ચાલું રાખવામાં આવશે.