વિશાલ મિસ્ત્રી (નવજીવન ન્યૂઝ. રાજપીપળા): ભાજપ સાંસદ મનસુખ વસાવા સંસદના સત્રમાં અવાર નવાર પોતાના વિસ્તારના લોકોના વિકટ પ્રશ્નો ઉઠવતા જ હોય છે. 22મી માર્ચે તેમણે સંસદમાં ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારમાં બેરોજગારીનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ સાથે તેમણે મોટા મોટા ઉદ્યોગપતિઓ અને ભરૂચ જિલ્લાના અધિકારીઓની સાંઠગાંઠ હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો હતો. સંસદમાં મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે મારા મત વિસ્તારમાં ઉદ્યોગપતિઓ સરકારી યોજનાઓનો ફાયદો ઉઠાવી અલગ અલગ બહાના હેઠળ ઉદ્યોગો બંધ કરી દે છે અથવા અન્ય રાજ્યમાં લઈ જાય છે.

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ સંસદીય ક્ષેત્રમાં મોટા મોટા ઉદ્યોગો બંધ થઈ જવાથી બેરોજગાર કામદારોની આર્થિક સુરક્ષા સંબંધિત મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો. તેમણે પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે ભરૂચ વિસ્તારની દહેજ, ઝઘડિયા, અંકલેશ્વર, પાનોલી જી.આઇ.ડી.સી માં ઘણી બધી ઔદ્યોગિક કંપનીઓ બંધ થઈ જતા કામદારોની દયનિય સ્થિતિ થઈ ગઈ છે. ઉદ્યોગપતિઓ ઉદ્યોગ શરૂ કરતાં પહેલાં સરકારની યોજનાઓનો પુરે પૂરો ફાયદો ઉઠાવી 25-30 વર્ષ પછી કોઈને કોઈ કારણોસર ઉદ્યોગ બીજા રાજ્યમાં ખસેડવા અથવા સરકારી ફાયદો લેવા બંધ કરી દે છે અને આ ઉદ્યોગકારો કામદારોને ખૂબ ઓછા 6-7 લાખ રૂપિયા આપી વી.આર.એસ આપી નોકરી માંથી બહાર કરી દે છે. જેમણે જી.આઇ.ડી.સી માટે પોતાની જમીન આપી છે એવા લોકોને ખૂબ ઓછું વળતર મળે છે અને ઉપરથી ઉદ્યોગ બંધ થઈ જવાથી નોકરી પણ જતી રહે છે. ભરૂચના દહેજ ઔદ્યોગિક ક્ષેત્રમાં એક મોટી કંપનીએ કામદારોને નોકરીમાંથી કાઢી મુક્યા છે, હવે એ લોકોને ન્યાય આપવાની જગ્યાએ અધિકારીઓ કથિત રીતે તાકાતવર ઉધોગપતિઓનો પક્ષ લે છે. જેથી સરકાર આવા પીડિત અને શોષિત લોકોની ન્યાય મળે એ માટે યોગ્ય કાર્યવાહી કરે એ હવે જરૂરી બન્યું છે.
![]() |
![]() |
![]() |











