જય અમીન (નવજીવન ન્યૂઝ.અરવલ્લી): અરવલ્લી (Aravalli) જિલ્લાના ટીંટોઈ (Tintoi) ગામના ત્રણ મિત્રો સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના વિજયનગર (Vijaynagar) નજીક આવેલા પોલો ફોરેસ્ટ (Polo Forest)માં ફરવા ગયા દરમિયાન ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. હરણાવ નદી (Harnav River)માં નાહવા પડેલા ત્રણ યુવકોમાંથી બે યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તેમના મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાથી ટીંટોઈ ગામમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોડાસા (Modasa) તાલુકાના ટીંટોઈ ગામના મિત્રો પોલો ફોરેસ્ટમાં ફરવા ગયા હતા. ત્યાંથી પસાર થતી હરણાવ નદીમાં નાહવા પડેલા ત્રણ મિત્રોમાંથી સાહિલ મોરી (Sahil Mori) (ઉં.વ. 21) અને યશ વાઘેલા (Yash Vaghela) (ઉં.વ. 22) ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. યુવકોને પાણીમાં ડૂબતા જોઈ આસપાસના લોકોએ બૂમાબૂમ કરતા સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને એક યુવકને બચાવવામાં સફળ રહ્યા હતા.
મળતી માહિતી મુજબ, શનિવારે નદીમાં પાણી છોડવામાં આવ્યું હોવાથી પાણીનું સ્તર અચાનક વધી ગયું હતું, જેના કારણે આ કમનસીબ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં વિજયનગર પોલીસ (Vijaynagar Police) અને ફાયર બ્રિગેડ (Fire Brigade)ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ બંને યુવકોના મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ સ્થાનિક પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ (Postmortem) માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ટીંટોઈ ગામના બે યુવકોના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનો, સગા-સંબંધીઓ અને મિત્રવર્તુળ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. બંને યુવકોના મૃતદેહ જોઈ પરિવારજનો ભારે રડી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો.








