નવજીવન ન્યૂઝ. અરવલ્લી: સોશિયલ મીડિયાનો ક્રેઝ યુવાનોની સાથે સરકારી બાબુમાં જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર પોતાના ફોલોવર્સ વધારવાની ઘેલછામાં યુવાનો કાયદાનું ભાન ભૂલી અવનવા કાંડ કરતાં હોય છે. તેવામાં અરવલ્લીમાં મામલરે ટ્વિટર ફોલોઅર્સ વધારવા માટે તલાટીઓને ટાર્ગેટ આપતો એક આદેશ છોડ્યો છે.
અરવલ્લી જિલ્લાના માલપુર મામલતદારે રેવન્યુ તલાટીને આદેશ જારી કરી ટ્વિટર ફોલોઅર્સ વધારવા માટેની કામગીરી સોંપી છે. રેવન્યુ તલાટીઓને રોજના 10 ફોલોઅર્સ વધારવા અંગે આદેશ આપવામાં આવતા કર્મચારીઓમાં રોષે ભરાયા છે. જો કોઈ અનફોલો થાય તો બીજા ફોલોઅર્સ વધારવાની પણ સૂચન આપવામાં આવી છે. મામલતદારના તઘલખી નિર્ણયના કારણે ભારે ટીકા થઈ રહી છે જેના અનેક સવાલો ઊભા થતાં મહેસુલ વિભાગે રિપોર્ટ માંગ્યો છે.
માલપુર મામલતદારે દ્વારા જાહેર કરાયેલા પત્રમાં જણાવામાં આવ્યું છે કે, કચેરીમાં ફરજ બજાવતા રેવન્યુ તલાટી બી.એલ. ચૌધરીને મામલતદાર માલપુરના ટ્વિટર એકાઉન્ટ પર દરરોજ 10 નવા ફોલોવર્સ વધારવાના આદેશ કરવામાં આવે છે. જે તારીખે જેટલા ફોલોવર્સ અનફોલો કરે તેના બીજા દિવસે 10 ઉપરાંત અનફોલો કરનારાની સંખ્યા ઉમેરતા જે આંકડો થાય તેટલા ફોલવર્સ વધારવાના રહેશે. આ આદેશનો તાત્કાલિક અમલ કરવાનો રહેશે.








