Pellet Gun attack from Delhi police: દિલ્હીના જંતર-મંતર (Jantar Mantar) ખાતે 20 જુલાઈએ થયેલા CJPના વિદ્યાર્થી પ્રદર્શન બાદ હવે નવો વિવાદ સામે આવ્યો છે. સફદરજંગ હોસ્પિટલ (Safdarjung Hospital)ની મેડિકલ રિપોર્ટમાં કેટલાક ઘાયલોના શરીરમાં પેલેટ (Pellet)ના છર્રા ફસાયેલા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પછી પ્રદર્શનકારીઓ પર પેલેટ ગન (Pellet Gun)નો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આરોપોને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. બીજી તરફ દિલ્હી પોલીસ (Delhi Police) સતત એવો દાવો કરી રહી છે કે પ્રદર્શન દરમિયાન પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. આ સમગ્ર મામલો હવે દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court) સુધી પહોંચ્યો છે.

(Photos @ndtv.in)
20 જુલાઈએ CJPના નેતૃત્વમાં વિદ્યાર્થીઓ અને યુવાનો સંસદ તરફ વિરોધ માર્ચ કાઢી રહ્યા હતા. તેમની મુખ્ય માંગ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan)ના રાજીનામા અને નીટ (NEET) પેપર લીક (Paper Leak) મામલે કાર્યવાહી કરવાની હતી. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે તેમને રોકવા માટે લાઠીચાર્જ, ટિયર ગેસ (Tear Gas) અને પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યારે દિલ્હી પોલીસે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે.
વિવાદ ત્યારે વધુ ઘેરો બન્યો જ્યારે સફદરજંગ હોસ્પિટલની એક મેડિકલ કેસ શીટ સામે આવી. 28 વર્ષીય એક ઘાયલ પ્રદર્શનકારીની રિપોર્ટમાં ડૉક્ટરોએ શરીરની ત્વચામાં પેલેટના છર્રા ફસાયેલા હોવાનું નોંધ્યું છે. રિપોર્ટમાં ઘાવની આસપાસની ત્વચા કાળી પડી જવી, સોજો અને ભારે દુખાવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. “ત્વચામાં પેલેટના ટુકડા ફસાયેલા” અને “પેલેટથી થયેલા ઘાવ” જેવા શબ્દો પણ નોંધાયા હોવાનું જણાવવામાં આવ્યું છે.

દિલ્હી પોલીસનું કહેવું છે કે સોશિયલ મીડિયા અને કેટલાક સંગઠનો દ્વારા કરવામાં આવતા પેલેટ ગનના ઉપયોગના આરોપો નિરાધાર છે. પોલીસના જણાવ્યા મુજબ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે હોસ્પિટલની મેડિકલ રિપોર્ટ અંગે પોલીસે હજુ સુધી અલગથી કોઈ વિગતવાર પ્રતિક્રિયા આપી નથી.
https://twitter.com/RahulGandhi/status/2080610781625037254
અહેવાલ મુજબ, જંતર-મંતર ખાતે દિલ્હી પોલીસ સાથે રેપિડ એક્શન ફોર્સ (Rapid Action Force – RAF) પણ તૈનાત હતી. આ દળ પાસે પેલેટ ગન સહિતના દંગા નિયંત્રણ માટેના સાધનો હોય છે. જોકે સીઆરપીએફ (CRPF), જેના હેઠળ RAF કાર્ય કરે છે, તેણે હજુ સુધી તે દિવસે પેલેટ ગનનો ઉપયોગ થયો હતો કે નહીં તે અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરી નથી.
અન્ય ઘાયલોમાં નજફગઢના સાહિલ લોચાબ (Sahil Lochab)એ આંખમાં પેલેટ વાગ્યાનો દાવો કર્યો છે. અહેવાલ મુજબ તેમની આંખ, ચહેરો, ગરદન અને છાતી પર ઇજાઓ પહોંચી હતી અને તેમની સારવાર એમ્સ ટ્રોમા સેન્ટર (AIIMS Trauma Centre)માં ચાલી રહી છે. ગુરુગ્રામના શેખ મન્સૂરી (Sheikh Mansoori)એ પણ ચહેરા પર અનેક પેલેટ વાગ્યાનો દાવો કર્યો છે અને તેમની સર્જરી કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

વિપક્ષે પણ આ મુદ્દે સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ વડાપ્રધાન પાસે વિદ્યાર્થીઓની માફી માંગવાની અને ધર્મેન્દ્ર પ્રધાનને હટાવવાની માંગ કરી છે. કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ પણ વિદ્યાર્થીઓ સામે બળપ્રયોગના આરોપોને લઈને સરકારની ટીકા કરી છે.
આ દરમિયાન CJP અને વિવિધ વિદ્યાર્થી સંગઠનોએ આરોપ લગાવ્યો છે કે વિદ્યાર્થીઓના માથા પર નિશાન સાધીને લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને કેટલાક લોકોને પેલેટ ગનની ઇજાઓ પહોંચી હતી. બીજી તરફ દિલ્હી હાઈકોર્ટે આ મામલે દાખલ અરજીઓ પર કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસ પાસેથી જવાબ માંગ્યો છે. કોર્ટએ ઘટનાથી સંબંધિત તમામ CCTV ફૂટેજ અને અન્ય વીડિયો પુરાવા સુરક્ષિત રાખવાનો પણ આદેશ આપ્યો છે. આગામી સુનાવણી 11 સપ્ટેમ્બરે નિર્ધારિત કરવામાં આવી છે.
હાલની સ્થિતિમાં પ્રદર્શનકારીઓ, દિલ્હી પોલીસ અને હોસ્પિટલની મેડિકલ રિપોર્ટ વચ્ચે જુદા-જુદા દાવા સામે આવ્યા છે. પેલેટ ગનનો ઉપયોગ થયો હતો કે નહીં તે અંગે અંતિમ સ્થિતિ હાઈકોર્ટની સુનાવણી, મેડિકલ રેકોર્ડ, ફોરેન્સિક તપાસ (Forensic Investigation) અને સત્તાવાર તપાસના અહેવાલ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.








