Monday, January 20, 2025
HomeSeriesAkshardham Attackએ પાકિસ્તાનથી આવ્યા હતા. એમના નામ હાફિઝ અને અશરફ હતા. અક્ષરધામ જતાં...

એ પાકિસ્તાનથી આવ્યા હતા. એમના નામ હાફિઝ અને અશરફ હતા. અક્ષરધામ જતાં પહેલાં નમાઝ અદા કરી હતી

- Advertisement -

પ્રશાંત દયાળ (અક્ષરધામ અટેક. ભાગ-37): Akshardham Temple Attack Series : મુફતી પાસે હવે પોતાનો પક્ષ કહી દેવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. કદાચ મુફતીની વાત સાચી પણ હોઈ શકે. તેમને ત્યાં આવેલા યુવાનો ક્યાં હુમલો કરવાના છે? તેની માહિતી તેમણે મુફતીને કદાચ ન પણ આપી હોય. ઇસ્લામના નિયમ પ્રમાણે, જે પણ શહાદતની નમાઝ પઢે; તેમણે શહાદતની નમાઝ વખતે પોતાના નામ જરૂર બોલવાના હોય છે. ઇસ્લામમાં ભરોસો કરનાર જ્યારે શહાદતની નમાઝ અદા કરતી વખતે એ જુઠ્ઠુ બોલે; તેવી શક્યતા નહીંવત છે. મુફતીના કહેવા પ્રમાણે, દરિયાપુરમાં એમણે પેલા છોકરાઓને શહાદતની નમાઝ પઢાવી; ત્યારે એક છોકરાએ પોતાનું નામ હાફીઝ આસર અને બીજાએ પોતાનું નામ અશરફ અલી કહ્યું હતું. વળી એ બંને પાકિસ્તાનના (Pakistan) હતા.

ગિરીશ સિંઘલ (ACP Girish Singhal) પોતાના અનુભવથી સમજી રહ્યા હતા કે, હવે મુફતી કયુમ સાચું બોલી રહ્યા છે. છતાં કેટલાક તાર હજી જોડાતા નહોતા. મૌલાના અબ્દુલા અને મુફતી કયુમના કહેવા પ્રમાણે; તેઓ 22 સપ્ટેમ્બરે ગયા હતા. એ એવું કહીને ગયા હતા કે, અમે આવતી કાલે આવીશું. તેઓ 23મીએ ત્યાં ગયા નહોતા. તો 23મી સપ્ટેમ્બરના રોજ આ છોકરાઓ ક્યાં ગયા હતા? આ પ્રશ્નની કડી હજી મળતી નહોતી. 24મી સપ્ટેમ્બરે હાફીઝ અને અશરફ આવ્યા, ત્યારે તેમણે પોતાની દાઢી અને મૂછ કાઢી નાખ્યાં હતાં.

- Advertisement -

સિંઘલે પોતાની સામે બેઠેલા મુફતીને કહ્યું, “આટલું કહી દીધું છે તો હવે એ પણ કહી દો કે, હાફીઝ અને અશરફ આવ્યા ત્યારે તેમની પાસે જે હથિયાર હતા એ હથિયાર ક્યાંથી આવ્યા હતા?”

મુફતીએ લાચારીના સૂરમાં કહ્યું, “સાહેબ, હવે કંઈ જ છુપાવતો નથી. હથિયાર ક્યાંથી આવ્યા એ મને ખબર જ નથી. તેઓ મારી પાસે આવ્યા ત્યારે હથિયાર તો જવા દો; તેમની પાસે સામાન્ય બેગ પણ નહોતી.”

સિંઘલે અનેક ટેરરિસ્ટ અટેકનો અભ્યાસ કરેલો હતો. જેમાં હુમલાખોર અને હથિયાર એક સાથે આવતા નથી. ટાર્ગેટ સુધી હુમલાખોર પહોંચે; ત્યાર પછી જ તેમને હથિયાર આપવામાં આવતા હોય છે. સિંઘલનો અનુભવ કહી રહ્યો હતો કે, આ કેસમાં પણ હાફીઝ અને અશરફ અમદાવાદ આવ્યા; ત્યાં સુધી તેમની પાસે હથિયાર ન હોય, એવું બની શકે. હાફીઝ અને અશરફ ભારતની બોર્ડર ક્રોસ કરી, કેવી રીતે અમદાવાદ સુધી આવ્યા? તે પ્રશ્નની કડી મળવી હવે મુશ્કેલ હતી. કારણ કે, તેમનો હેન્ડલર કોણ હતો; તે સ્પષ્ટ થયું નહોતું. આ રીતે તા. 24મી સપ્ટેમ્બરની બપોર સુધીની ઘટનાઓ સામે આવી ગઈ હતી, પણ હથિયાર ક્યાંથી આવ્યા? અને કોના ઇશારે હુમલો થયો? તેની કોઈ જાણકારી ક્રાઇમબ્રાંચ પાસે નહોતી.

- Advertisement -

મુફતી કયુમની કબુલાત પછી ક્રાઇમબ્રાંચના અધિકારીઓના જીવમાં જીવ આવ્યો હતો. હવે ડી.સી.પી. ડી. જી. વણઝારાની (DCP D G Vanzara) ચેમ્બરમાં મીટિંગનો ધમધમાટ ચાલું થયો હતો. આદમથી લઈ મુફતી સુધી તમામના નિવેદન નોંધવા માટે ટીમો કામે લાગી ગઈ હતી. બીજી તરફ, જેમને પકડી લાવ્યા હતા તેમના પરિવારજનો અને વકીલો રોજ આવીને ક્રાઇમબ્રાંચના દરવાજા પર ઊભા રહેતા હતા. આ સ્થિતિનો પણ જલદી ઉકેલ લાવવો જરૂરી હતો.

ડી.સી.પી. ડી. જી. વણઝારાએ ડી.જી.પી. અને હોમ સેક્રેટરીને ફોન જોડી તેમને મળવા માટે સમય લીધો. વિષયની ગંભીરતા જોતાં હોમ સેક્રેટરીએ કહ્યું, “ઓકે, તમે અને ડી.જી.પી. સાથે આવો.”

ડી. જી. વણઝારા ગાંધીનગર જવા રવાના થયા. સૌથી પહેલા તે ડી.જી.પી.ને મળ્યા. તેમને હમણા સુધી મળેલા પુરાવા અને નિવેદનોની વિગતવાર માહિતી આપી. ડી.જી.પી.ના ચહેરા પર વિજયનું સ્મિત હતું. તેમણે કહ્યું, “ચાલો, સેક્રેટરી સાહેબને મળવા જઈએ.”

- Advertisement -

ડી.જી.પી. અને વણઝારા હોમ સેક્રેટરીને મળે છે. અક્ષરધામ હુમલાની (Akshardham Attack) તપાસ ભલે ગુજરાત એ.ટી.એસ. (Gujarat ATS) પાસે હતી; પણ કડીઓ ક્રાઇમબ્રાંચને મળી હતી. ડી. જી. વણઝારાનો આગ્રહ હતો કે, હવે આ કેસ ગુજરાત એ.ટી.એસ. પાસેથી લઈ અમદાવાદ ક્રાઇમબ્રાંચને ((Ahmedabad Crime Branch)સોંપી દેવો જોઈએ. પહેલાં તો હોમ સેક્રેટરીનો મત હતો કે, ક્રાઇમબ્રાંચને જે પુરાવા અને આરોપીઓ મળ્યા છે; તે જ એ.ટી.એસ.ને સોંપી દેવા જોઈએ. પરંતુ ડી.જી.પી. સેક્રેટરીને સમજાવવામાં સફળ રહ્યા કે, આ કેસમાં ક્રાઇમબ્રાંચની ખાસ્સી મહેનત છે અને બાકીની તપાસ પણ તેમને જ સોંપવામાં આવે. એનાથી અસરકારક પરિણામ પણ મળશે. આખરે હોમ સેક્રેટરી એવું કરવા માટે સંમત થયા અને અક્ષરધામ હુમલાની તપાસ એ.ટી.એસ. પાસેથી લઈ અમદાવાદ ક્રાઇમબ્રાંચને સોંપી દેવાનો આદેશ કરવામાં આવ્યો.

એ.ટી.એસ.ના અધિકારીઓને એ વાતનો અફસોસ જરૂર થયો કે, તેમની પાસેથી તપાસ લઈ લેવામાં આવી! બીજી તરફ ક્રાઇમબ્રાંચને તપાસ સોંપવામાં આવતાં ગુજરાત પોલીસના અધિકારીઓ એવું માનવા લાગ્યા હતા કે, ક્રાઇમબ્રાંચે કેસ ક્રેક કરી નાખ્યો એટલે આ તપાસ બદલી નાખવામાં આવી છે. સાંજ પડતાં સુધી એ.ટી.એસ.ના અધિકારીઓ ક્રાઇમબ્રાંચ આવ્યા અને તેમની પાસે રહેલા તમામ કેસપેપર ક્રાઇમબ્રાંચને સોંપી દીધા.

આખી ઘટનાથી હજી અમદાવાદના પત્રકારો સાવ અજાણ હતા. ક્રાઇમબ્રાંચે હમણા સુધીની તપાસમાં એટલી સિક્રસી રાખી હતી કે, ક્રાઇમબ્રાંચના અધિકારીઓ પણ આખું પિક્ચર જાણતા નહોતા. દરેક અધિકારી પોતાનાં કામ પુરતું જ જાણતા હતા. અચાનક અમદાવાદના ક્રાઇમ રિપોર્ટર્સને જાણ કરવામાં આવી કે, બપોરે 12 વાગ્યે ડી.સી.પી. ડી. જી. વણઝારા એક પ્રેસ કોન્સફરન્સ કરવાના છે. જેના કારણે પત્રકારો ક્રાઇમબ્રાંચ આવવા લાગ્યા હતા. પત્રકારોમાં પણ કૌતુક હતું કે, કયા વિષય પર પ્રેસ કોન્ફરન્સ હશે! જોકે 12 વાગ્યે કોન્ફરન્સમાં ડી. જી. વણઝારાએ અક્ષરધામ કેસ ઉકેલાઈ ગયો હોવાની જાહેરાત કરી અને પત્રકારોની આતુરતાનો અંત આવ્યો.

આ જાહેરાતથી પત્રકારો તો ઠીક; પણ ખાસ કરી ગુજરાત એ.ટી.એસ.ને પણ આંચકો લાગ્યો હતો. કારણ કે, એ.ટી.એસ. પાસેથી કેસ ટ્રાન્સફર થયો એ વાતને હજી ચોવીસ કલાક થયા હતા; ત્યાં તો કેસ ઉકેલાઈ ગયો! તેનો અર્થ થતો હતો કે, ક્રાઇમબ્રાંચ આ કેસ પર લાંબા સમયથી કામ કરી રહી હતી. ક્રાઇમબ્રાંચ પાસે જેટલા આરોપીઓ હતા; એ તમામની ધરપકડ કરી લેવામાં આવી હતી. જોકે હજી અનેક પ્રશ્નના જવાબ શોધવાના બાકી હતા, પણ તપાસનો ભાંડો ફૂટી ન જાય તે માટે કેસ ટ્રાન્સફર થતાં જ ગુનો ઉકેલાઈ ગયો હોવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. કેસમાં હવે એક મહત્ત્વનો વળાંક આવવાનો હતો.

(ક્રમશ:)

Part 36 : FSLમાંથી ફોરેન્સિક એક્સપર્ટ જે. જે. પટેલનો રિપોર્ટ આવી ગયો હતો. “ચીઠ્ઠી લખનાર માણસ એક જ છે.”

આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  • લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  • જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  • 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  • શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  • દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  • નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular