નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ આજથી 10 વર્ષ પહેલા અમદાવાદના(Ahmedabad) જ્વેલર્સ વિશાલ ગોસ્વામી (Gangster Vishal Goswami) અને તેની ગેંગથી ધ્રુજતા હતા. કારણ કે આ ગેંગ જ્વેલર્સ પાસેથી પ્રોટેક્શન મનીની ઉધરાણી કરતી હતી. જો જ્વેલર્સના માલિક ઉધરાણી ન આપે તો તેમની હત્યા પણ કરી દેવામાં આવતી હતી. ગેંગસ્ટર વિશાલ ગોસ્વામી અને તેની ગેંગ પર હત્યા, હત્યાના પ્રયાસ અને ખંડણીના અનેક ગુના નોંધાયેલા છે, આ પૈકી વર્ષ 2015માં અમદાવાદના જ્વેલર્સની 50 લાખની ખંડણી (Extortion) માટે હત્યાના પ્રયાસનો વિશાલ ગોસ્વામી પર આરોપ છે. આ કેસમાં આજે અમદાવાદ સીટી સેશન્સ કોર્ટે (Ahmedabad Sessions Court) વિશાલ ગોસ્વામીને દોષીત જાહેર કર્યો છે અને 21 વર્ષની સજા સાંભળવી છે.
શું હતો સમગ્ર મામલો
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા સી. એમ. જવેરી શો રૂમ ધરાવતા મહેશ રાણપરાને 12 મે 2014માં લેન્ડલાઈન નંબર પર એક ફોન આવ્યો હતો. ફોન કરનારા વ્યક્તિએ પોતાની ઓળખ વિશાલ ગોસ્વામી તરીકેને આપીને પ્રોટેક્શન મની 50 લાખ મોકલી આપો કહીને ગાળો આપી હતી. ગેંગસ્ટર વિશાલ ગોસ્વામી શહેરના અનેક જ્વેલર્સ પાસેથી ખંડણી ઉધરાવતો હોવાની વાતથી મહેશ રણપરા માહિતગાર હોવાથી ફોન કટ કરી દે છે. બીજા દિવસે ફરથી મહેશ રણપરા પર ગેંગસ્ટ વિશાલનો ફોન આવે છે અને કહે છે કે, ‘પ્રકાશ સોની કા જો હાલ હુઆ થા વો હાલ તુમ્હારા કરૂંગા, AK 47 કી ગોલીંયા બહોત હૈ હમારે પાસ’ તેમ કહીને ફોન કટ કરી નાખે છે.
ત્યાર બાદ નવ મહિના પછી 5 માર્ચ 2015ના રોજ ફરીથી ફોન આવે છે અને ‘વિશાલ ગોસ્વામી બોલ રહા હું’ એટલું કહેતા જ મહેશ રણપરા ફોનની લાઈન કાપી નાંખે છે. આ બનાવના 6 દિવસ પછી 11 માર્ચના રોજ મહેશ રણપરા રાત્રીના નવ વાગ્યના સમયે શો-રૂમ બંધ કરીને આંબાવાડી વિસ્તારમાં આવેલા તેમના ઘરે કાર લઈને પહોંચે છે અને કારમાંથી બેગ કાઢવા માટે જાય છે ત્યારે ફાયરિંગના બે અવાજ થાય છે. પરંતું મહેશ રણપરાને કારનું ટાયર ફાટ્યું હોય તેવો અહેસાસ થાય છે. આ દરમિયાન એક બાઈક પર આવેલા બે લોકો તેમની પાસેથી પસાર થાય છે અને બે રાઉન્ડ ફાયરિંગ કરે છે. જેથી મહેશ રણપરા ડરીને ઘરમાં પ્રવેશી જાય છે. બીજા દિવસે બપોરે મહેશ રણપરા પર વિશાલ ગોસ્વામીનો ફોન આવે છે અને કહે છે કે, ‘શેઠ સે બાત કરવાઓ.’ મહેશભાઈ કહે છે, ‘શેઠ નહીં હૈ.’ તો વિશાલ કહે છે કે, ‘દો દિન પહેલે જો ફાયરિંગ હુઆ ઈસ બાર બચ ગયે હો અગલીબાર નહીં બચોગે’ અને આજ દિવસે ભાનુ જ્વેલર્સના માલિક પર ફાયરિંગ થાય છે.
વિશાલ ગોસ્વામી પર અમદાવાદમાં ત્રણ હત્યાના અને અન્ય રાજ્ય સહિત કુલ 13 હત્યાના કેસ નોંધાયેલા છે. ઉપરાંત અન્ય ગુનાઓ મળીને વિશાલ સામે કુલ 50 ગુના દાખલ છે. વિશાલ ગોસ્વામી અને તેની ગેંગના ખોફથી અમદાવાદના જ્વેલર્સ એટલી હદે ડરી ગયા હતા કે, તેના એક ફોન પર લાખો રૂપિયાની ખંડણી મોકલી આપવા લાગ્યા હતા. વિશાલ ગોસ્વામી અને તેના સાગરીતો ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યમાં સતત લોકેશન બદલતા રહેતા હતા. જેથી તેઓ પોલીસની ઝપેટમાં આવતા ન હતા. પરંતું અમદાવાદ ક્રાઈમ બ્રાંચના તે સમયના પોલીસ ઈન્સપેક્ટર ભાવેશ રોજીયા, જીતુ યાદવ અને એસ. આર. ટંડેલેની ટીમે ઓપરેશન પાર પાડીને વિશાલ ગોસ્વામીને ઉત્તરપ્રદેશમાંથી ઝડપી પાડ્યો હતો. ત્યારે આજે વર્ષ 2015ના ખંડણી અને હત્યાના પ્રયાસના કેસમાં અમદાવાદ સીટી સેશન્સ કોર્ટે વિશાલ ગોસ્વામીને દોષીત જાહેર કર્યો છે અને 21 વર્ષની સજા સાંભળવી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








