જયંત દાફડા (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમદાવાદમાં બહેરામપુરા વિસ્તારના મહિલા કોંગ્રેસ કોર્પોરેટરે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ધરણા પર ઉતાર્યા છે. મહિલા કોર્પોર્ટરની ફરિયાદ દાખલ કરવામાં ન આવતા મોટી સંખ્યામાં કાર્યકરો અને તેમના વિસ્તારના અન્ય કોર્પોરેટર સાથે પોલીસ સ્ટેશનમાં ધરણા કર્યા હતા. મહિલા કોર્પોરેટર કમળાબેન ચાવડાને એક વ્યક્તિ દ્વારા સતત પદ છોડવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ મહિલા કોર્પોર્ટરે કર્યો હતો. જોકે આ તરફ પોલીસ અને સૂત્રો પાસેથી કાંઈક અલગ જ વિગતો સામે આવી રહી છે.
મહિલા કોર્પોરેટર કમળાબેન ચાવડાના જણાવ્યા અનુસાર, તેમણે ગઇકાલ બપોરથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં માટે આવ્યા હતા. ઇમરાન બુલેટરાજા નામનો શખ્સ તેમને સતત હેરાન કરી રહ્યો છે. ઇમરાન સોશિયલ મીડિયા પર જેમ ફાવે તેમ લખાણ લખે છે મને છેલ્લા ઘણા સમયથી પદ છોડવા માટે દબાણ કરવામાં આવે છે, વિસ્તારમાં જ્યારે હું જાઉં ત્યારે મારી સામે જોઈને થૂકે છે. મારી સામે આંખો કાઢી ગમે તેવી ભાષાનો પ્રયોગ કરે છે. સમગ્ર બાબતની જાણ દાણીલીમડા પોલીસ સ્ટેશન આવીને પોલીસ ઇન્સ્પેક્ટરને કરી હતી. તેમણે રાઇટરને બોલાવી મારી એકટ્રોસીટી સહિતની ફરિયાદ દાખલ કરવા કહ્યું હતું.
વધુમાં જણાવતા કહ્યું હતું કે, જ્યારે અમે ફરિયાદ રૂમમાં ગયા ત્યારે ફરિયાદ લખવાની શરૂ કરી હતી, અડધી ફરિયાદ લખાઈ ગઈ હતી ત્યાર બાદ પોલીસ ઇન્સ્પેક્ટરનો ફોન આવ્યો અને ફરિયાદ લખનાર પોલીસ સ્ટેશનની બહાર ગયો અને ત્યાર બાદ મારી ફરિયાદ લીધી નહીં. હું ગઇકાલ બપોરે 1:30 વાગ્યાની ફરિયાદ લખવવા માટે આવી છું, મેં મહિલા હેલ્પલાઇનમાં 15થી 20 ફોન કર્યા હતા, 100 નંબર પર 40થી 50 ફોન કર્યા હતા. મારી એવી તો શું ફરિયાદ છે કે જે લેવામાં આવી નથી રહી? હું એક દલિત બહેન છું આ વિસ્તારની પ્રતિનિધિ છું અને પૂર્વ વિપક્ષ નેતા છું. મને અસમાજિક તત્વ દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે જેના પુરાવા પણ મેં આપ્યા છે તેમ છતાં પોલીસના પેટનું પાણી પણ હલતું નથી. ગઇકાલે પોલીસ મારી સામે આરોપીને પકડીને લઈને આવ્યા હતા ત્યાર બાદ 15 મિનિટમાં જ છોડી દીધો હતો અને મારી સામે હસતો હસતો જતો રહ્યો હતો. આ માણસ કોઈ રાજકીય પાર્ટીનો નથી આ એક અસમાજિકતત્વ છે, પોલીસ પર એવું તો કોનું પ્રેસર આવ્યું છે કે મારી ફરિયાદ લેવાતી નથી. જ્યાં સુધી મારી ફરિયાદ લેવામાં નહીં આવે ત્યાં સુધી હું પોલીસ સ્ટેશન પર બેશી રહીશ.
મહિલા કોર્પોરેટર કમળાબેન ચાવડાના સમર્થનમાં જમાલપુર-ખાડિયા વિધાનસભાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા દાણીલીમડા પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા. મહિલા સાથે બનેલા બનાવ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર ડી. વી. તડવી સાથે વાતચીત કરી હતી. ઇમરાન ખેડાવાળાએ જણાવાયું હતું કે મહિલા તેમના વિસ્તારની મહિલા પ્રતિનિધિ સાથે આ પ્રકારનો બનાવ બનવો ખૂબ ગંભીર છે, પોલીસ આ બાબતે યોગ્ય તપાસ કરીને તથ્ય બહાર લાવે તેવી પોલીસ ઈન્સપેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. જો ફરિયાદ નોંધવામાં નહીં આવે તો રાજ્ય ગૃહમંત્રી હર્ષ સઘવીને પણ ઘટનાની જાણ કરવામાં આવશે.
પોલીસ સુત્ર અનુસાર, મહિલા કોર્પોરેટરનો ગઈકાલે બપોરે પોલીસને બનાવ અંગેની જાણ કરી હતી. જેથી તેમને પોલીસ સ્ટેશન બોલાવીને ફરિયાદ દાખલ કરવા માટેની કાર્યવાહી હાથ ઘરવામાં આવી હતી. પરંતુ મહિલા કોર્પોરેટરના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયામાં તેમના વિરુદ્ઘ જે વ્યક્તિએ વીડિયો બનાવ્યા હતા તેની તપાસ કરતાં આ વ્યક્તિ તેમના જ મત વિસ્તારનો હોવાનું સામે આવ્યું હતું. પોતાના વિસ્તારમાં ભોગવવી પડતી હાલકીઓનો ઉલ્લેખ તેમાં કર્યો હતો. મહિલા તે વિસ્તારની પ્રતિનિધિ હોવાના કારણે આ વ્યક્તિએ વીડિયોના મધ્યમથી વિસ્તારની સમસ્યાઓ વ્યક્ત કરી હતી. ઉપરાંત આ વ્યક્તિએ મહિલા કોર્પોરેટરને એક લગ્ન પ્રસંગમાં અને ટેલેફોનિક ધમકી આપી હતી તેનો કોઈ પુરાવો હજી સુધી પોલીસને આપ્યો નથી. જેથી ફરિયાદ નોંધાઈ ન હોવાનું સામે આવ્યું છે.
સૂત્ર અનુસાર, કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી જુથવાદ ચાલી રહ્યો છે. મહિલા કોર્પોરેટર પણ આ જુથવાદનો શિકાર બની રહ્યા હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. મહિલા કોર્પોરેટરએ જે વ્યકિત પર આરોપ કર્યા છે તેના કેટલાક ફોટોઝ તે વિસ્તારના ઘારાસભ્ય શૈલેષ પરમાર સાથેના સામે આવ્યા છે. તાજેતરમાં જ જ્યારે AMC વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણનું નામ જાહેર થતાં કોર્પોરેટેર્સમાં બે જુથ પડી ગયા હતા. જેમાં કમળાબેન ચાવડાએ પણ નારાજગી વ્યક્ત કરીને વિરોધ નોંધાવ્યો હતો. કોર્પોરેટર શહેઝાદખાન પઠાણ ધારાસભ્ય શૈલેષ પરમારના ઘણા નજીકના માનવામાં આવે છે. ત્યારે આ ઘટના એક કાવતરું હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. જોકે તે બાબતની કોઈ સત્તાવાર વિગતો સામે આવી રહી નથી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











