નવજીવન ન્યૂઝ. મૂળી: સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં ચાલી રહેલી બેફામ ખનીજ ચોરી અટકાવવા ખનીજ માફિયાઓ (Mining Mafia) વિરૂધ્ધ ખનીજ વિભાગે અભિયાન તેજ કર્યું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અવાજ ઉઠી રહ્યો હતો કે ખનીજ વિભાગ દરોડા (Mineral Raid) કરી ખનીજ ચોરી પકડી પાડે છે પરંતુ આરોપીઓ સુધી પહોંચી શકતું નથી. ત્યારે ગતરોજ ખનીજ વિભાગે આરોપીઓના નામજોગ ગુનો દાખલ કરાવી ખનીજ ચોરી ઝડપી પાડી હોવાના અહેવાલ છે.

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી (Muli) અને થાનગઢમાં (Thangadh) વિપૂલ માત્રામાં કોલસો અને ફાયર ક્લે સહિતની ખનીજ ચોરી ચાલી રહી છે. ત્યારે નવજીવન ન્યૂઝે સતત ઈન્વેસ્ટીગેટીવ અહેવાલો પ્રસિધ્ધ કરી ખનીજ માફિયાઓની પોલી ખોલી નાખી છે. જેના કારણે ખનીજ વિભાગ અને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને કાર્યવાહીની ગતિ તેજ કરતું જોવા મળી રહ્યું છે. એવામાં ખનીજ વિભાગે તારીખ 21 જૂનના રોજ મૂળી તાલુકાના ધોળીયા ગામ ખાતે આવેલા સબ સ્ટેશન પાછળથી બે ખનીજ ચોરીના કૂવા ઝડપી પાડી મોટી કાર્યવાહી કરી છે.

અગાઉ ખનીજ વિભાગના દરોડામાં આરોપીઓ ઝડપાતા નહીં હોય પ્રજામાં અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા હતા. જેના કારણે ખનીજ વિભાગની કામગીરી પર શંકા ઉપજી રહી હતી. સાથે જ લોકો જણાવી રહ્યા હતા કે ખનીજ ચોરીના કૂવા ઝડપાય ત્યારે અંદર રહેલા શ્રમિકોની પુછપરછ કરી આરોપી સુધી પહોંચી શકાય છે પરંતુ ખનીજ વિભાગ આવું કરી રહ્યું નથી. પરંતુ હવે જાણે ખનીજ વિભાગને આ બાબતનું જ્ઞાન થયું હોય તેમ ધોળીયા ખાતે દરોડો કરી કૂવામાં રહેલા શ્રમિકોને બહાર કાઢી તેની પુછપરછ કરી આરોપીના નામ ખોલાવવામાં સફળતા મેળવી છે.
ગત 21 જૂનના રોજ ખનીજ વિભાગના સુપરવાઈઝર નૈતિક કણજારીયા પેટ્રોલિંગમાં હતા દરમિયાન ધોળીયા ગામ ખાતે ગેરકાયદેસર કાર્બોસેલની ચોરી થતી હોવાની માહિતી મળતા માહિતીના સ્થળ પર દરોડા કર્યા હતા. જેમાં બે કૂવામાંથી ખનીજ ચોરી ઝડપી લેવામાં આવી હતી. આ મામલે ખનીજ વિભાગે 7 લાખ કરતા વધારેની રકમની ખનીજ ચોરીની પોલીસ ફરિયાદ પણ મૂળી પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી હોવાના અહેવાલ છે.
આ મામલે ખનીજ વિભાગના નૈતિક કણજારીયાએ મૂળી પોલીસ સ્ટેશનમાં થાનગઢ તાલુકાના ચાંદ્રેલીયા ગામના આરોપી નવઘણભાઈ ગોરધનભાઈ વાડેલીયા અને નીતીનભાઈ ઉકાભાઈ મદરાણીયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે બંને આરોપી વિરૂધ્ધ આઈ.પી.સી.ની કલમ 379, 114 અને ગુજરાત ખનીજ (ગેરકાયદેસર ખાણકામ હેરફેર અને સંગ્રહ નિવારણ અધિનિયમ) નિયમ 2005, 2016, 2017ની કલમ 3 અને 21 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








