નવજીવન ન્યૂઝ, અમદાવાદ : બિહાર રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી (Samrat Chaudhary CM Bihar) ને મોબાઈલ ફોન પર જાનથી મારી નાંખવાની ધમકીના કેસમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ (Ahmedabad Rural Police) ને સફળતા મળી છે. બિહારના મુંગેર જિલ્લાના સંગ્રામપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ધમકીના ગુનામાં આરોપીને પોલીસે સાણંદ-કડી રોડ પરથી ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં ગુનો કબૂલી લીધો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે આગળની કાર્યવાહી માટે આરોપીને બિહાર પોલીસને સોંપ્યો છે.
બિહારના મુખ્યમંત્રીને ફોન પર ધમકી (Threat Bihar Chief Minister) આપવા મામલે સંગ્રામપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ ઘટનામાં જે મોબાઈલ ફોન નંબર પરથી ધમકી અપાઈ હતી તેનું લૉકેશન ગુજરાતમાં મળી આવતા Bihar Police એ Gujarat Police નો સંપર્ક કર્યો હતો. ધમકી આપનાર શખસના મોબાઈલ નંબરના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કરી તેને સાણંદ પોલીસે દબોચી લીધો હતો. પકડાયેલો આરોપી શેખર ક્રિષ્ના યાદવ (ઉ. 32) બિહારના બાંકા જિલ્લાના બેલહર તાલુકાના ખરૌધા ગામનો વતની શેખર યાદવ હાલ સાણંદ તાલુકાના નિધરાડ ગામ પાસે આવેલી થાર ડ્રાયપોર્ટ કંપનીમાં જલારામ ટ્રાન્સપોર્ટની ગાડીમાં કામ કરતો હતો.








