સુરત મ્યુનિ. કૉપો.ના ઈજનેર વિપુલ ગણેશવાલા વતી વચેટીયા પત્રકારે માગી 15 લાખની લાંચ
નવજીવન ન્યૂઝ.સુરતઃ ગેરકાયદેસર બાંધકામોના મામલે રાજ્યભરમાં સરકારી અધિકારીઓ લાખો/કરોડો રૂપિયોના ભ્રષ્ટાચાર આચરી રહ્યાં છે. ભૂતકાળમાં આવા અનેક મામલાઓ ચોપડે ચઢી ચૂક્યાં છે. આવો જ એક મામલો સુરત શહેરમાં સામે આવ્યો છે. જેમાં સુરત મ્યુનિસિપલ કૉપોરેશનના કાર્યપાલક ઈજનેરે ગેરકાયદેસર બાંધકામ નહીં તોડવા માટે પ્રથમ 21 લાખ રૂપિયાની લાંચ માગી અને ભાવતાલ બાદ 15 લાખ રૂપિયા નક્કી કર્યા હતા. બાંધકામ બચાવી લેવા માટે એસીબીના ફરિયાદીએ પ્રથમ તબક્કામાં 4 લાખ રૂપિયા લાંચ આપવાનું નક્કી કરતા Gujarat ACB એ ટ્રેપ ગોઠવી હતી. જો કે, ટ્રેપ દરમિયાન અધિકારી વતી લાંચ સ્વીકારનાર પત્રકારને ગંધ આવી જતાં તે 4 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયો છે.
સુરત મ્યુનિસિપલ કૉપોરેશનની હદમાં આવેલા સંતોષ સબ ઈન્ડસ્ટ્રીયલ પ્લોટ પર થઈ રહેલાં બાંધકામને અટકાવવા ગત નવેમ્બર મહિનામાં નોટિસ આપી હતી. ત્યારબાદ 13 ફેબ્રુઆરીના રોજ સ્થળ પર નોટિસ લગાવી બાંધકામ તોડવાનું શરૂ કર્યું હતું તેમંજ ડિમોલેશન ચાર્જ પેટે 1 લાખ 70 હજાર રૂપિયા વસૂલ્યા હતા. સુરત મ્યુનિ. કૉપોરેશનના કાર્યપાલક ઈજનેર વિપુલ શશીકાંતભાઈ ગણેશવાલાના આદેશથી ડિમોલેશનની કામગીરી અટકાવી દેવાઈ હતી. સંતોષ સબ ઈન્ડસ્ટ્રીયલ પ્લોટ પર બાંધકામ કરાવનાર વ્યક્તિનો એક પત્રકારે સંપર્ક કરી બાંધકામ તોડવાનું અટકાવવા પેટે કૉપોરેશનના અધિકારી વતી 21 લાખની લાંચ માગી હતી.
નિષ્પક્ષ ગુજરાત પત્રિકા નામના દૈનિકના પત્રકાર ઉસ્માઈલ પઠાણ ઉર્ફે પરવાના સાથે 19 ફેબ્રુઆરીના રોજ 4 લાખ રૂપિયા અને પછીના સોમવારે 11 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. આથી એસીબી પોલીસ સ્ટેશન સુરતના પીઆઈ કે.જે.ધડુક અને તેમના સ્ટાફે સલાબતપુરા વિસ્તારમાં આવેલી દૈનિક અખબારની ઑફિસમાં ટ્રેપ ગોઠવી હતી. આ સમયે પત્રકાર ઈસ્માઈલ પઠાણ ઉર્ફે પરવાનાએ SMC ના કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલા સાથે વાત કરી 4 લાખ રૂપિયાની લાંચ સ્વીકારી હતી. જો કે, પત્રકાર ઈસ્માઈલ પઠાણ ઉર્ફે પરવાનાને ACB Trap ની ગંધ આવી જતાં તે લાંચની રકમ લઈને સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
આ મામલે Gujarat ACB એ વિપુલ ગણેશવાલા અને ઈસ્માઈલ પઠાણ સામે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે નોંધનીય છે કે, એસીબી ટ્રેપ કેસમાં લાંચની રકમ કબજે નહીં લેવાતા એસીબી અધિકારીઓએ ઈસ્માઈલ પઠાણને શોધવા દોડધામ કરી રહ્યાં છે.








