નવજીવન ન્યૂઝ.પાટણઃ પાટણમાં પોલીસને એક લાશ મળી જેના કપડાં પુરુષના હતા. પ્રાથમિક ધોરણે કોઈ કિન્નરની લાશ હોવાનો અંદાજ ગયો પરંતુ જ્યાં તપાસ શરૂ થઈ ત્યારે દ્રશ્યમ્ ફિલ્મ જેવો પ્લોટ બનાવવાનો કોઈએ પ્રયત્ન કર્યો હોય તેવું લાગ્યું. લાશને સળગાવવાનો પ્રયત્ન કર્યો હોય અને પેટ્રોલ ઓછું પડ્યું હોય તેવો ભાસ થયો. પોલીસ તપાસમાં વાર થઈ નહીં અને પોલીસ આ કેસમાં ખરા આરોપી સુધી પહોંચી ગઈ. પોલીસને તપાસમાં પ્રેમી પંખીડાઓ મળ્યા જે પોતાના સુખી જીવનની કામના સાથે એક ગંભીર ગુનાને અંજામ આપી ચુક્યા હતા.
પાટણના એસપી વી જે નાઈ સાથે નવજીવન ન્યૂઝની વાતચીતમાં સમગ્ર ઘટના અંગે તેમણે કહ્યું, પાટણના સાંતલપુર તાલુકાનું જાખોત્રા ગામ છે, અહીં રહેતા ભરત અને ગીતા એક બીજાના પ્રેમમાં હતા, પણ તેમનો પરિવાર તેમને સુખેથી રહેવા દેશે નહીં તેવો તેમને ડર હતો. તેઓએ આ દરમિયાનમાં થોડા દિવસ પહેલા જ્યારે પ્રેમિકા ગીતાએ દ્રશ્યમ ફિલ્મ જોઈ તો તેને એક પ્લાન સુજ્યો, તેણે પોતાના પ્રેમી ભરતને કહ્યું કે, જો આપણને કોઈ લાશ મળી જાય તે ભલે પુરુષની હોય કે સ્ત્રીની તેને આપણે મારા કપડાં પહેરાવી દઈએ અને સળગાવી દઈએ તો ખબર નહીં પડે કે તે કોણ છે. મારો પરિવાર એવું સમજી લેશે કે ગીતા મૃત્યુ પામી છે. પછી આપણે ક્યાંક બીજા રાજ્યમાં જઈને સુખેથી રહીશું.
પ્રેમી ભરત પણ તેના આ પ્લાનમાં હામી ભરે છે. થોડા દિવસ પહેલા તે મુંબઈ જાય છે અને ત્યાં તેના રહેવા અને રોજગારની વ્યવસ્થા કરી તે પાછો આવે છે. આ દરમિયાનમાં તે આસપાસના ગામોમાં લાશની શોધ કરે છે પરંતુ એમ કાંઈ લાશ મળી જાય? તે રાત્રીના સમયે પીપરાળા ગામ પહોંચે છે અને ત્યાં એક એકલો જતો દારુના નશામાં વ્યક્તિ મળે છે. આ વ્યક્તિનું નામ હરજીભાઈ દેભાભાઈ સોલંકી છે. તે તેમને લઈ નદીના કોતરમાં જાય છે અને ત્યાં તેમનું ગળું દાબી દે છે. તેને લાગે છે કે તે મૃત્યુ પામ્યો છે. પ્રેમિકાને ફોન કરી લાશ મળી ગયાની જાણ કરે છે. પ્રેમિકા ગીતા પોતાના કપડાં, ઝાંઝર સહિતની વસ્તુઓ લઈ તેને પહેરાવી દે છે. તે તેને બાઈક પર પોતાની સાથે બાંધી ગામમાં પાસે લઈ આવે છે. જ્યાં તે તેના પર પેટ્રોલ છાંટી આગ ચાંપી દે છે. આ પછી તેઓ ત્યાંથી ભાગી છૂટે છે.
બનાવ અંગે પોલીસને જાણ થાય છે કે, સાંતલપુરના જાખોત્રા ગામમાં એક લાશ મળી છે. પોલીસ તપાસ કરે છે તો તેમને ખબર પડે છે કે આ અન્ય ગામનો રહેવાસી છે અને પેટ્રોલ ઓછું પડતાં લાશ તદ્દન સળગી નથી એટલે તે સ્પષ્ટ રીતે ઓળખાય છે કે આ પુરુષ છે. દરમિયાન પોલીસને જાણકારી મળે છે કે જાખોત્રા ગામના ગીતા અને ભરત મળી આવતા નથી. પોલીસ તેમના લોકેશન ટ્રેક કરે છે તો તે પાલનપુરમાં હોવાની જાણકારી મળે છે. પોલીસ તુરંત તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરે છે. પોલીસ જ્યારે તેમને પકડી પાડે છે ત્યારે આ બંનેને ગુનો કબુલતા વાર લાગતી નથી. પોલીસ સામે તે સમગ્ર મામલા અંગે વાત કરે છે. પોલીસે હવે બંનેની ધરપકડ કરી લીધી છે અને બંનેને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે.
જોકે આ મામલામાં ઘણા માધ્યમો પર મૃતક દલિત હોવાને કારણે તેની સાથે આવું કરવામાં આવ્યું હોવાની વાત વહેતી થઈ છે, પરંતુ પોલીસ તપાસમાં કાંઈક જુદુ જ ચિત્ર સામે આવ્યું છે. પ્રેમીઓએ પોતે બીજાની હત્યા કરીને સુખેથી જીવન જીવવાના ઈરાદે આ હત્યાને અંજામ આપ્યો હોવાનો ઘટસ્ફોટ થાય છે. આ મામલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ સોશ્યલ મીડિયા પર આ જ વાત કરી છે કે ગુજરાત દલિતો માટે નરક બની રહ્યું છે. તેમણે તેમના દરેક મિત્રોને પાટણની ધારપુરની સિવિલ હોસ્પિટલમાં પહોંચી તેમના ન્યાય માટે વિનંતી કરી છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








