Sunday, April 19, 2026
HomeNational"ભાજપે મેસેજ મોકલ્યો, AAP તોડો અને અમારી સાથે આવો, અમે બધા કેસ...

“ભાજપે મેસેજ મોકલ્યો, AAP તોડો અને અમારી સાથે આવો, અમે બધા કેસ ખતમ કરીશું…”: મનીષ સિસોદિયાનું ટ્વિટ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: CBIના દરોડા અને લુક આઉટ નોટિસને લઈને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ભાજપ પર નિશાન સાધ્યું છે. મનીષ સિસોદિયાએ ટ્વીટ કર્યું છે કે, “મારા સુધી ભાજપનો મેસેજ આવ્યો છે – “આપ” તોડો અને ભાજપમાં જોડાઓ, CBI-EDના તમામ કેસ બંધ થઈ જશે. ભાજપને મારો જવાબ – હું મહારાણા પ્રતાપનો વંશજ છું, હું રાજપૂત છું, હું શિરચ્છેદ કરીશ પણ ભ્રષ્ટાચારીઓ સામે ઝૂકીશ નહીં. મારી સામેના તમામ કેસ ખોટા છે, તમારે જે કરવું હોય તે કરો.”

આ પહેલા સીએમ અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કર્યું હતું કે, “એવા સમયે જ્યારે સામાન્ય માણસ મોંઘવારી સામે ઝઝૂમી રહ્યો છે, કરોડો યુવાનો બેરોજગાર છે, ત્યારે કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારો સાથે મળીને બેરોજગારી અને મોંઘવારી સામે લડવું જોઈએ. તેના બદલે તેઓ આખા દેશ સાથે લડી રહ્યા છે. રોજ સવારે ઉઠીને CBI-ED નો ખેલ શરૂ કરે છે, આવો દેશ કેવી રીતે પ્રગતિ કરશે?”

- Advertisement -

ઉલ્લેખનીય છે કે CBIએ દિલ્હીની નવી એક્સાઈઝ પોલિસીમાં કૌભાંડના આરોપને લઈને 8 લોકો વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યો છે. આ પછી આ લોકો દેશ છોડી શકતા નથી. આ યાદીમાં વિજય નાયર, સમીર મહેન્દ્રુ અને દિનેશ અરોરાના નામ પણ સામેલ છે. CBIએ આરોપ લગાવ્યો છે કે દિલ્હીની નવી લિકર પોલિસી બનાવવામાં અને લાગુ કરવામાં લિકર કંપનીઓ અને વચેટિયા સામેલ છે. CBIના જણાવ્યા અનુસાર, અમિત અરોરા, દિનેશ અરોરા, અર્જુન પાંડે, જે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના નજીક છે, તેમણે આ એક્સાઈઝ નીતિના અમલીકરણના બદલામાં કમિશન લીધું હતું. આ મામલામાં નોંધાયેલી FIRમાં મનીષ સિસોદિયાને પ્રથમ આરોપી બનાવવામાં આવ્યા છે.

CBIના જણાવ્યા અનુસાર મેસર્સ ઈન્ડોસ્પિરિટ્સે દિનેશ અરોરા સાથે જોડાયેલી કંપનીમાં એક કરોડ ટ્રાન્સફર કર્યા હતા. આ સાથે અર્જુન પાંડેએ અધિકારીઓને વહેંચવા માટે સમીર મહેન્દ્રુ પાસેથી 2 થી 4 કરોડ એકત્ર કર્યા હતા. મનીષ સિસોદિયા પર દિલ્હીની નવી લિકર પોલિસીમાં કૌભાંડનો આરોપ છે. તાજેતરમાં તેમના ઘરે સીબીઆઈએ દરોડો પાડ્યો હતો. મનીષ સિસોદિયાએ કહ્યું કે જેઓ પર CBIએ દરોડા પાડ્યા, તેમનો ઈરાદો કૌભાંડની તપાસ કરવાનો નથી. જો તેઓ દારૂના કૌભાંડની ચિંતા કરતા હોય તો ગુજરાતમાં દર વર્ષે 10,000 કરોડનું કૌભાંડ થાય છે. સાથે જ તેમણે કહ્યું કે મારી ધરપકડ કરવાની તૈયારી ચાલી રહી છે, પરંતુ થોડા દિવસોમાં બધું સ્પષ્ટ થઈ જશે. તેમણે દાવો કર્યો હતો કે CBIના દરોડામાં તેમની વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular