નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદ જિલ્લા સાણંદ (Sanand Ahmedabad) ના ગણાસર ગામમાં આવેલા ઇન્દિરા આવાસમાં મકાનમાંથી મળેલા યુવકના મૃતદેહ મામલે પોલીસ તપાસમાં હત્યાનો ખુલાસો થયો છે. મૃતક યુવકની પત્નીએ પ્રેમી સાથે મળીને તેની હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે બંનેની ધરપકડ કરી છે. પત્નીના પ્રેમસંબંધના કારણે અવારનવાર ઝઘડા થતા પતિ તેને માર મારતો હોવાથી તેની હત્યા કરવામાં આવી હોવાની કબૂલાત મહિલાએ કરી છે.

ગત 10મી એપ્રિલના સંજય ઠાકોરનો તેના જ ઘરમાંથી મૃતદેહ સાણંદના ગણાસર ગામે આવેલા ઇન્દિરા આવાસના મકાનમાંથી મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં સાણંદ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત મોત નોંધી મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં હાથથી ગળું દબાવવાથી ગૂંગળામણના કારણે યુવકનું મોત થયું હોવાનું સામે આવતા પોલીસે તે દિશામાં તપાસ આરંભી હતી.

અલગ અલગ પાસાઓને ધ્યાનમાં રાખીને સાણંદ પોલીસે તપાસ શરૂ કરી હતી. બીજી તરફ મૃતક યુવકના પિતા દ્વારા મૃતકની પત્ની અને તેના પ્રેમી પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી. હત્યા કેસની તપાસ (Murder Case Investigation) માં પોલીસને બંને શંકાસ્પદ ફરાર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે પાયલ સંજય ઠાકોર (ઉ. 25) અને ગણાસર ગામે આવેલા ઇન્દિરા આવાસમાં રહેતા રાહુલ ઘનશ્યામભાઈ ઠાકોર (ઉ.23)ની ધરપકડ કરી છે.








