નવજીવન ન્યૂઝ.જમ્મૂઃ જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં એક પરપ્રાંતિય મજૂરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પ્રવાસી મજૂર મોહમ્મદ અમરેજ બિહારના મધેપુરાનો રહેવાસી હતો. બાંદીપારો જિલ્લાના અજસ વિસ્તારમાં અજાણ્યા બંદૂકધારીઓએ એક પરપ્રાંતિય મજૂરને ગોળી મારી દીધી હતી. ગોળી વાગ્યા બાદ મજૂરને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઈએ કાશ્મીર પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે, “મધ્યમી રાત્રે, આતંકવાદીઓએ બાંદીપોરામાં બિહારના એક પ્રવાસી મજૂર મોહમ્મદ અમરેજ પર ગોળીબાર કર્યો, આ અકસ્માતમાં કામદાર ઘાયલ થયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
મૃતકના ભાઈને ટાંકીને ન્યૂઝ એજન્સી એએનઆઈએ લખ્યું છે કે, ‘રાત્રે લગભગ 12.20 વાગ્યે મારા ભાઈએ મને જગાડ્યો અને કહ્યું કે ફાયરિંગ થઈ રહ્યું છે. તે (મૃતક) ત્યાં ન હતો, અમને લાગ્યું કે તે શૌચાલયમાં ગયો હતો. અમે પૂછપરછ કરવા ગયા તો જોયું કે તે ત્યાં લોહીથી લથપથ પડેલો હતો. જે બાદ અમે સુરક્ષાકર્મીઓનો સંપર્ક કર્યો. તેને હાજીન લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેનું મૃત્યુ થયું હતું.
છેલ્લા એક સપ્તાહમાં પરપ્રાંતિય મજૂરો પર આ બીજો હુમલો છે. ગયા અઠવાડિયે, બિહારના એક પ્રવાસી મજૂર મોહમ્મદ મુમતાઝની હત્યા કરવામાં આવી હતી. આતંકવાદીઓએ પુલવામા જિલ્લાના ગદુરા ગામમાં બહારના મજૂરો પર ગ્રેનેડ ફેંક્યો હતો, જેમાં મુમતાઝનું મોત થયું હતું, જ્યારે બે લોકો ઘાયલ થયા હતા.








