નવજીવન ન્યૂઝ. મોરબી: 30 ઑગસ્ટ 2022ના રોજ મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડતા 135 લોકોના મૃત્યુ નિપજ્યા હતા જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. જે મામલે પુલના સિક્યુરીટી ગાર્ડ સહિતના લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ઘટનાના લાંબા સમય બાદ મોરબીની ઑરેવા કંપનીના ડિરેક્ટર જયસુખ પટેલની પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આજરોજ 3 આરોપીના જામીન મંજૂર થયા છે.

ત્રણ આરોપી થશે જેલ મુક્ત
મળતી વિગતો અનુસાર મોરબી દુર્ઘટના બાદ તાત્કાલીક ધરપકડ થયેલા સિક્યુરીટી ગાર્ડના ગુજરાત હાઈકોર્ટે રેગ્યુલર જામીન મંજૂર કર્યા છે. જેમાં આરોપી અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ અને પ્રકાશ ચૌહાણના જામીન હાઈકોર્ટે ગ્રાહ્ય રાખ્યા છે. આમ ત્રણેય આરોપીઓ જામીન મંજૂર થતા હવે જેલ મુક્ત થશે.
ઑરેવા સાથે સીધા કોઈ લેવા દેવા નહીં
અત્રે ઉલ્લેખનીય છે કે જામીન મંજૂર થયેલા ત્રણેય આરોપીઓ દુર્ઘટના અગાઉ ઝૂલતા પુલના સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. આરોપીઓ દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે તેઓ ઑરેવા કંપનીના મેનેજમેન્ટ સાથે સીધી રીતે જોડાયેલા નથી. આરોપી પક્ષની દલીલો ગ્રાહ્ય રાખતા હાઈકોર્ટે ત્રણેય આરોપીને નિયમીત (રેગ્યુલર) જામીન પર મુક્ત કરવાનો ચૂકાદો આપ્યો હતો.

નગરપાલિકા થઈ છે સુપરસિડ
મહત્વની વાત છે કે, મોરબીની ઝૂલતા પુલની દુર્ઘટના બાદ મામલો હાઈકોર્ટ સમક્ષ પહોંચ્યો હતો. જેમાં રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે આ કેસ પર હાલ પુરતો પૂર્ણ વિરામ મુકવામાં આવે તેવી વાત કરી હતી. સાથે જ હાઈકોર્ટના કડક વલણ બાદ મોરબી નગરપાલિકા સુપરસિડ કરવામાં આવી હતી. તેમજ પુલના રખેવાળ બની નબળી કામગીરી કરનારી ઑરેવા કંપની દ્વારા વચગાળાના વળતર પેટે રૂપિયા 14.60 કરોડ પણ જમા કરાવવામાં આવ્યા છે.








