ભારત સહિત તમામ દેશના આયાતી સામાન અને કાચા માલની કિમતમાં વધારો
સુપ્રામેક્સ જહાજી ઇંડેક્સ સતત ચોથા સપ્તાહે ૨.૩ ટકા ઘટ્યો
ઇબ્રાહિમ પટેલ ( (નવજીવન ન્યૂઝ. મુંબઈ): જગતનો સૌથી વ્યસ્ત કાર્ગો રુટ (જહાજી માર્ગ) હાલમાં નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યો છે, પરિણામે આખા વિશ્વની સપ્લાય ચેઇન ચિંતાનો વિષય બની છે. જહાજોની સાઈઝના નિયમનો, ઘટતા દૈનિક પ્રવાસી જહાજો અને માલવાહક જહાજોની ઘટતી સંખ્યાને લીધે પનામા કેનાલ ઓથોરિટિની આવકમાં ૬૦૦૦થી ૮૦૦૦ લાખ ડોલરની આવક ઘટવાનું અનુમાન છે. જહાજી નૂરના લીલામમાંથી કેટલીક કંપનીઓએ ૪૦ લાખ ડોલરનું નૂર અન્યત્ર વાળી દીધું, જ્યારે મરેક્સ જેવી કેટલીક લોજિસ્ટિક કંપનીઓએ એટલાન્ટિક અને પેસિફિક પોર્ટ તથા પનામાથી દૂર જઈ, જમીન માર્ગો સ્થાપિત કરી દીધા છે.
પાનામાં કેનાલ એકલી સમસ્યાગ્રસ્ત નથી, અમેરિકા અને યુકે દ્વારા યમન ગેરિલાઓ પર સતત હવાઈ હુમલા અને સુએઝ કેનાલમાં ૨૦૨૩ની તુલનાએ હાલમાં ૬૩ ટકા જેટલાજ મુસાફર જહાજો હેન્ડલ કરી રહી છે. બાલ્ટિક ડ્રાય ઇંડેક્સ જોતાં ૪૦ ફૂટના બલ્ક કન્ટેનરના નૂર ૧૫૦૩ ડોલર આસપાસ સ્થિર થઈ ગયા છે. ડિસેમ્બર અને જાન્યુઆરીની તુલનાએ નાના જહાજોના નૂર બમણા થઈને ૧૫૨૧ ડોલર આસપાસ મુકાઇ રહ્યા છે.
આ બધી ઘટનાઓની અસરે ભારત સહિત તમામ દેશના આયાતી સામાન અને કાચા માલની કિમતમાં વધારો કરશે, ઉત્પાદનમાં ઘટાડો થશે, અને તેની સીધી અસર ફુગાવા વૃદ્ધિમાં થશે. બેન્ક ઓફ અમેરિકાએ એક નોંધમાં કહ્યું હતું કે સુએઝ કેનાલથી હટીને અન્ય માર્ગો પર સફર કરતાં જહાજોને લીધે, સપ્લાય ચેઇનમાં ખાંચરો અને જહાજી વાહન ખર્ચમાં વધારો, અર્થતંત્રો પર ફુગાવાની મોટેપાયે અસર ઊભી કરશે. અલબત્ત, કોવિદ-૧૯ના કાળમાં ફુગાવો જે રીતે વધ્યો હતો, તેવો મોટો ફુગાવો વધે તેવી શક્યતા ઓછી છે.
કેપસાઇઝ જહાજોના નૂરમાં મોટાપાયે વધારો થયો, પણ નાના જહાજોના નૂર સારા એવા ઘટી જતાં, ગત ગુરુવારે જહાજી નૂરનો બાલ્ટિક ડ્રાય ઇંડેક્સ બે સપ્તાહના તળિયે ગયો હતો. અલબત્ત, શુક્રવારે બાલ્ટિક ઇંડેક્સ ૧.૪ ટકા વધીને ૧૦૪૭ પોઈન્ટ બંધ થયો હતો. ગત સપ્તાહે તમામ જહાજી ક્ષેત્રના નૂરમાં નરમાઈને લીધે બાલ્ટિક ઇંડેક્સ ૭.૩ ટકા ઘટ્યો હતો. કેપસાઇઝ ઇંડેક્સ સતત બીજા સપ્તાહે ૪.૯ ટકા ઘટ્યો હતો. પનામેક્સ ઇંડેક્સ ૧૪.૯ ટકા અને સુપ્રામેક્સ ઇંડેક્સ સતત ચોથા સપ્તાહે ૨.૩ ટકા ઘટ્યો હતો.
સુએઝ અને પનામા કેનાલની મુશ્કેલીઓને લીધે ઓકટોબર મહિનાથી શિપિંગ કોસ્ટ વધવાથી આયાતી ચીજોનો વેપાર કરતાં વિશ્વના તમામ ટ્રેડરોને તેમનો વેપાર કરવો અઘરો થઈ પડ્યો છે. આયાતી ચીજો મંગવતી કંપનીઓ તેમની વધેલી કોસ્ટ ગ્રાહકો પર નાખી દેતી હોવાથી, ફુગાવાના વૃધ્ધિદરને વધારાનો ધક્કો મારશે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)








