નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ છેલ્લા ઘણા સમયથી તંત્રની ચામડી વધુને વધુ ઝાડી થતી જતી હોય તેવી સ્થિતિ છે જેને કારણે ઘણી વખત ગુજરાત હાઈકોર્ટે વચ્ચે પડવું પડ્યું હોય તેવા ઘણા કિસ્સા છે. હમણાંની જ વાત કરીએ તો સાબરમતીમાં પ્રદુષણને લઈને હાઈકોર્ટે અમદાવાદના તંત્રના કાન આમળ્યા હતા. આ તરફ હવે રખડતા ઢોરોને મામલે હાઈકોર્ટ આકરી થઈ છે ત્યારે હવે જાણે અચાનક કામ હોય તેવું ડિપાર્ટમેન્ટમાં લાગી રહ્યું છે. ઢોર પાર્ટી હવે થોડા દિવસ માટે કામ પર લાગી ગઈ છે, મતલબ કે થોડા દિવસ પછી હતું એવું જ થઈ જાય તો નવાઈ ન પામતા આ રુટીન છે.
હાલની વાત કરીએ તો હાઈકોર્ટે જેવી લાલ આંખ કરી કે અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન સહિત ગુજરાતભરનું તંત્ર ધ્રુજી ગયું છે તે સ્પષ્ટ છે. આપણે હાલ માત્ર અમદાવાદ કોર્પોરેશનની વાત કરીએ. તો હાઈકોર્ટના આદેશના ત્રીજા દિવસ સુધીમાં અમદાવાદમાં 100 ઢોર પકડાયા હતા. અત્યાર સુધીમાં 500થી વધુ ડોર પકડાયા છે. અત્યાર સુધીની કામગીરી કોર્પોરેશનની આ કામગીરી દરમિયાન 72 શખ્સો સામે ફરિયાદ નોંધવી પડી તેવી સ્થિતિ ઊભી થઈ હતી. લમ્પી વાયરસને ધ્યાને લઈને તેમાંથી 335થી વધુ પશુઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.
આપ પણ જાણો જ છો કે રખડતા ઢોર, રોડ રસ્તા જેવા મામલે આજે ગુજરાત હાઈકોર્ટ મહત્વની સુનાવણી કરવાનું છે અને તેમાં કોર્પોરેશને ઢોરો મામલે કરેલા કામનો રિપોર્ટ સબ્મીટ કરવાનો છે. હવે સ્થિતિ એવી છે કે હાઈકોર્ટ સામે કોઈક નક્કર કામગીરી મુકી શકાય તો ધ્રુજારી ઓછી થાય, અને પાછું કોર્ટે કોર્પોરેશનને 24 કલાક ઢોર પાર્ટી સતત ત્રણ દિવસ ઢોર પકડવાનું કામ કરે તેવો આદેશ પણ આપ્યો હતો. પણ પાપ જાણે છાપરે ચઢી પોકારતું હોય તેમ ગઈકાલે જ રાત્રે અમદાવાદના ઝાયડસ બ્રિજ પર રખડતા ઢોરના કારણે એક અકસ્માત થયો હતો જેમાં બે વ્યક્તિઓ ઘાયલ થઈ હતી.








