વિવાદીત હાટકેશ્વર ફ્લાયઑવર બ્રિજના મુદ્દે સ્થાનિક વેપારીઓએ બંધ પાળી વિરોધ દર્શાવ્યો, આગામી ચૂંટણીની ચીમકી આપી
નવજીવન ન્યૂઝ, અમદાવાદ : વર્ષ 2017માં તૈયાર થયેલો અમદાવાદ શહેરના ખોખરા અને સીટીએમ વિસ્તારને જોડતો હાટકેશ્વર ઑવરબ્રિજ પાંચ વર્ષમાં જ જોખમી બની ગયો હતો. અમદાવાદ મ્યુનિસિપિલ કૉપૉરેશનના અધિકારી તેમજ શાસકો સામે શંકાની આંગળી ચિંધતો તેમજ ‘ભ્રષ્ટાચારી બ્રિજ’ તરીકે ઓળખાતા આ પુલની સમસ્યા એટલી હદે વકરી છે કે, આજેપણ સ્થાનિકોને આંદોલન કરવાની ફરજ પડે છે. ઑવરબ્રિજ તોડવાની કામગીરીમાં બાકીના બે સ્પાન તોડવામાં થઈ રહેલાં ભારે વિલંબને કારણે સ્થાનિક દુકાનદારોએ સોમવારે બંધ પાળીને વિરોધ દર્શાવ્યો છે. પરેશાન સ્થાનિકોએ આગામી ચૂંટણીમાં વૉટ માટે નીકળનારા નેતાઓને પણ ચીમકી આપી છે.
ભ્રષ્ટાચારની પોલ ખોલનારો અમદાવાદનો બ્રિજ
અમદાવાદના ખોખરા અને CTM ને જોડતા હાટકેશ્વર ફલાયઑવર બ્રિજ બનાવવા વર્ષ 2015માં અમદાવાદ મ્યુનિસિપલ કૉપૉરેશનના સત્તાધીશોએ અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ.ને કૉન્ટ્રાક્ટ આપ્યો હતો. વર્ષ 2017માં 42 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજ ખુલ્લો મુકાયો હતો. બ્રિજની ડિફેક્ટ લાયબિલિટી તંત્રએ માત્ર એક જ વર્ષની રાખી હતી. વર્ષ 2022માં Hatkeshwar Flyover Bridge જોખમી બની જતાં તેનો ઉપયોગ બંધ કરી દેવાયો હતો. જોખમી બ્રિજને તોડવાનો નિર્ણય લેવામાં પણ સત્તાધીશોએ ત્રણ વર્ષનો સમય લીધો. આ મામલે જવાબદારો સામે પોલીસ ફરિયાદ પણ થઈ. જો કે, બ્રિજ તોડ્યા બાદ હજુ પણ તેના બે સ્પાન તોડવામાં AMC વિલંબ કરી રહી છે.
એક દસકાથી પરેશાન સ્થાનિકો અને દુકાનદારો
વર્ષ 2015માં હાટકેશ્વર બ્રિજ બનાવવાનું નક્કી થયું ત્યારે ટ્રાફિકની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિક લોકોમાં ખુશ હતા. જો કે, તેમની ખુશી ટકી નહીં. પાંચ વર્ષમાં બ્રિજ જોખમી બનતા બંધ કરી દેવાયો અને બ્રિજની આજુબાજુ આવેલા સાંકડા રોડ પર અગાઉ કરતા પણ વિક્ટ ટ્રાફિક થવા લાગ્યો. સ્થાનિક રહિશો ધૂળ માટીના રજકણોથી ત્રસ્ત છે તો દુકાનદારોના ધંધા ઠપ થઈ ગયા છે. છેલ્લાં ચારેક વર્ષથી આ સમસ્યાના કારણે અનેક વખત દેખાવો થયા છે. બ્રિજને ભ્રષ્ટાચારી બ્રિજનું લેબલ પણ લાગી ગયું છે. મ્યુનિસિપલ કૉપૉરેશનની આગામી સપ્તાહોમાં ચૂંટણી આવવાની છે ત્યારે દુકાનદારોએ બંધનું એલાન આપવાની સાથે ઈલેકશનને લઈને ચીમકી નેતાઓને ચીમકી આપી દીધી છે.








