તુષાર બસિયા (નવજીવન ન્યૂઝ. રાજકોટ) Editorial News : ગુજરાતનું વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકારણ રોજ રંગ બદલી રહ્યું છે. રાજ્યના રાજકારણમાં મુખ્યત્વે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આમ ત્રણ રાજકીય પક્ષ કહી શકાય છે. આ આ ત્રણેય પક્ષ સત્તા પર આવવા અને આવેલા ટકી રહેવા માટે પોતાના સોગઠા સેટ કરી રહ્યાં છે. જેમાં દરેક પક્ષ ધર્મના અને જ્ઞાતિના સમીકરણોના મોહતાજ છે તેમ જોવા મળે છે. માટે તેઓ સમીકરણના નામે જ્ઞાતિવાદ અને ધર્મના નામે ધર્મવાદને સેટ કરી રહ્યાં છે. હાલ રાજ્યમાં એક ચોક્કસ જ્ઞાતિના મતના આધારે સરકાર બનાવવી ખુબ સરળ છે તેવું ગણિત પ્રચલીત છે. જેના કારણે અન્ય જ્ઞાતિ અને સમુદાયને ધર્મનો ઝંડો પકડાવી ઉપયોગ કરી લેવાની તૈયારી જણાય છે.
ગુજરાતને વ્યાપારીઓની નગરી તો કહેવાય જ છે પણ રાજકારણની લેબોરેટરી તરીકે પણ કેટલાક વરિષ્ઠ પત્રકારો અને વિશ્વેષકોએ ઓળખાવી છે. આવા વિશ્વેષકોએ ગુજરાતના રાજકારણ પર અભ્યાસના તારણો ભૂતકાળમાં રજૂ કર્યા છે. એ વાત ખરી છે કે ગુજરાતના રાજકારણની લેબોરેટરીમાંથી ધર્મવાદના નામે સચોટ રાજકારણ પેદા થયું છે. પરંતુ જ્ઞાતિવાદની ભૂમિકા પણ હાલ ખતરનાક સ્તર સુધી પહોંચી ચૂકી છે. આ એ વાદ છે જેને પેદા કરનાર નેતાઓ પોતે વિકસાવેલા ફોર્મ્યુલાના કારણે તેને નિયંત્રણમાં રાખી શકે છે. પરંતુ ત્યારે શું જ્યારે આ નેતાઓ જતા રહેશે અને તેનો ફોર્મ્યુલા ઓપન સોર્સ બનશે ?
આવી સ્થિતીમાં દરેક જ્ઞાતિના ગરીબ, શોષિત, વંચીત અને પછાત વર્ગના લોકો માટે ખતરો પેદા થશે. હાલમાં પણ જ્યારે કેટલીક સંસ્થાઓ કહેવાતા સવર્ણોની ગુલામીમાંથી પીડિત વર્ગને ઉગારવા કાર્યરત છે. જે વાત પરથી સમજ પાડી શકાય કે, લોકશાહીના વર્ષો બાદ પણ રાજ્યમાં જ્ઞાતિવાદનું સ્તર ખતરાના નિશાન સુધી છે. ત્યારે વાજબી સવાલ પેદા થાય કે, તો પછી જ્યારે ચોક્કસ જ્ઞાતિ સમુદાયના હાથમાં મોકળું મેદાન અને ઘોડાની લગામ મળી જશે તો શું થશે ?
આ વાત ગોપનીય હોવા છતાં ગોપનીય નથી કે, રાજ્યમાં ચોક્કસ જ્ઞાતિના લોકો દ્વારા જાહેરમાં કે ખાનગી રાહે વિવિધ સંગઠનો (લેબોરેટરી) ચલાવી બેઠકો કરે છે. અલબત્ત રાજકારણના અભ્યાસક્રમો અને ટ્રેનિંગ કેમ્પો પણ ચલાવાય છે. આ ટ્રેનિંગ કેમ્પો શિક્ષણ અને પ્રશિક્ષણના નામે જ્ઞાતિવાદ નામના હથિયારના ગોપનીય પ્રોડક્શન હાઉસ કહી શકાય. આ પ્રોડકશન હાઉસની લેબોરેટરીઓમાં તૈયાર થયેલું જ્ઞાતિવાદનું જ્ઞાન સમાજના નામે વિશાળ ઈમારતો બનાવી પરસાઈ છે. ત્યારે આ જ્ઞાન રાજ્ય સહિત દેશ માટે કેટલું ખતરનાક સાબિત થશે તે આવનારો સમય કહેશે. પરંતુ હાલ કેટલાક અંશે તો ખતરનાક સાબિત થવા પણ લાગ્યું છે તે વાતથી કોઈ અજાણ નથી. બસ સૌ કોઈ ચૂપ છે, માટે આ ચૂપ રહેવાની કિંમત આવનારી પેઠી રહેશે.
આ પ્રકારે જ્ઞાતિવાદ ફેલાવતા આયોજનો કરી અને જ્ઞાતિના સમુદાયની વિશાળ મેદની એકઠી કરી શક્તિશાળી લોકોની લોબીમાં સ્થાન મેળવાય છે. અને આ લોબીની દયાથી જ્ઞાતિની શક્તિના આધારે સત્તા મેળવાય છે. બાદમાં આ સત્તાથી ગણ્યા ગાંઠ્યા 25-50 લોકો અમિર બની પોતાના સમુદાય સહિત અન્ય સમુદાયનું શોષણ કરે છે. છતાં પણ ગળથૂંથી મળતા જ્ઞાતિ ગૌરવના ગીતને કારણે લોકો ગુલામીમાં પણ ગૌરવ લેતા હોય છે.
આ ખતરનાક ખેલ હવે આખરી તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે, જ્ઞાતિવાદના યજ્ઞમાં ગુજરાતને હોમનાર કેટલાક નેતાઓ ઈશ્વરના દરબારમાં હાજરી ભરાવે છે. સંસાસરમાં કોઈને અમરપટ્ટો નથી મળ્યો તેમ અન્ય નેતાઓ પણ ઈશ્વરના દરબારમાં હાજરી ભરશે. પણ તેમના બાદ તેમણે છોડેલી પ્રયોગશાળામાં ખતરનાક હથિયાર (યુવાનેતાઓના સ્વરૂપમાં) વધારે શક્તિશાળી બનશે અને ગરીબ, મધ્યમ અને પછાત વર્ગનું હજૂ પણ અધઃપતન થશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











