પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): પોલીસ સહિત સરકારી નોકરીમાં બદલી થવી આમ બાબત છે, પરંતુ અનેકો વખત બદલી પાછળનું કારણ માત્ર વહિવટી હોતુ નથી. જો તમે તમારા વિભાગનું રાજકારણ સમજાય નહીં ખોટો બોલ રમાઈ જાય અને તેની કિમંત ચુકવવી પડે છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સપેકટર ચેતન જાદવની પંદર દિવસ પહેલા અચાનક વડોદરા ખાતે બદલી કરી દેવામાં આવી, ગુજરાત એટીએસમાંથી બદલી થઈ ક્રાઈમ બ્રાન્ચમાં તેમને બે મહિના જ થાય હતા. ઈન્સપેકટ જાદવના વિરોધીઓ તેવો આરોપ મુકી રહ્યા છે કે જાદવની બદલી કોઈ આર્થિક કારણોસર થઈ છે, પણ વાસ્તવીકતા તેના કરતા સાવ વિપરીત છે. ઈન્સપેકટર જાદવ જેવા ગુજરાત પોલીસ દળમાં એક હજાર અધિકારીઓ છે. ખાખી પહેર્યા પછી પણ પોલીસ રાજકારણ કેવી રીતે રમે તેનું આ એક ઉદાહરણ છે. અમારી જાણકારી પ્રમાણે ચેતન જાદવની બદલી થવાના વાસ્તવીક બે કારણો છે.
પહેલુ કારણ એવુ છે બે મહિના પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં આવેલા પોલીસ ઈન્સપેકટર ચેતન જાદવને પોતાના સિનિયર તરફથી સુચના મળે છે એક વ્યકિત તમારી પાસે આવે છે તેની તાત્કાલીક ફરિયાદ નોંધવામાં આવે. ચેતન જાદવ પાસે જે માણસ આવ્યો તેમનું નામ રાહુલ રામકિશન શર્મા જેઓ સ્વાન એલ એન જી પ્રાઈવેટ લિમીટેડ કંપનીના ચીફ એકઝીકયુટીવ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. રાહુલ શર્મા જે કંપનીના અધિકારી છે તેમના માલિકની વગ દિલ્હી સુધી હોવાને કારણે રાહુલ શર્માની ફરિયાદ નોંધાય તે માટે ખુદ એક આઈપીએસ અધિકારી પોતાની સરકારી કારમાં તેમને ક્રાઈમ બ્રાન્ચ લઈ આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચના સિનિયર અધિકારીઓને સુચના મળી કે ગાંધીનગરના સાહેબનો આદેશ તરત ફરિયાદ નોંધો અને કાર્યવાહી કરો. એક વખત મુખ્યમંત્રી કોઈ સુચના આપે તો ઉથાપી શકવાની હિમંત અધિકારી કરે પણ ગાંધીનગરના સાહેબનો આદેશ છે તેવી ખબર પડતા તંત્ર એકશનમાં આવી ગયુ.
રાહુલ શર્માની કંપની સ્વાન લીમીટેડ અનેક સરકારી કંપનીમાં પણ હિસ્સેદારી ધરાવે છે. સ્વાન અને મેરી ટાઈમ બોર્ડ વચ્ચે થયેલા કરાર પ્રમાણે જાફરાબાદ ટર્મીનલ પ્રોજેકટના નામે પોર્ટ એલ એન જી ડેવલોપ કરવાનું કામ આપવામાં આવ્યુ હતું. આ કામ માટે જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા તેમાં હૈદારબાદની મંતોવ ધી ધરતી પ્રાઈવેટ લીમેટેડને 917 કરોડનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. જેના માલિક અક્કુ મલ્લા રાજેન્દ્ર છે આ કામના એડવાન્સ પેટે સ્વાન કંપનીએ મંતોવ કંપનીને 82 કરોડ આપવાના હતા. જે પેટે મંતોવની કંપનીએ બેન્ક ગેરેટી આપવાની હતી. તેવી જ રીતે પરફોર્મન્સ પેટે 82 કરોડની બેન્ક ગેરેટી આપવાની હતી. રાહુલ શર્માએ પોતાની ફરિયાદમાં નોંધાવ્યુ 2018માં આખી પ્રક્રિયા થઈ હતી 22 એપ્રિલ 2022ના રોજ સ્વાન કંપની દ્વારા મંતોવની કંપનીએ રજુ કરેલી બેન્ક ગેરેન્ટી રીન્યુ કરવા માટે ઓવરસીઝ બેન્કના મેનેજરને જાણ કરતા જવાબ મળ્યો કે બેન્ક ગેરેંટી શંકાસ્પદ છે આથી વધુ તપાસ થતાં 82-82 કરોડની રજુ થયેલી ગેરેટીં બોગસ હોવાનું બહાર આવ્યુ હતું.
ગાંધીનગરના સાહેબનો આદેશ હોવાને કારણે ફરિયાદ નોંધાઈ ગયા પછી ફરિયાદને સંવેદનશીલ જાહેર કરી ગુપ્ત કરી દેવામાં આવી હતી. અમદાવાદ પોલીસ કમિશનરના આદેશ પ્રમાણે 25 લાખ કરતા વધુ કિમંતની ફરિયાદ હોય તો કમિશનરની મંજુરી પછી જ ગુનો નોંધવામાં આવે છે, પણ આ મામલે બધુ ફટાફટ થઈ રહ્યુ હતું, કારણ તેમને પણ સુચના મળી ગઈ હતી એટલે તેમણે પણ તુરંત મંજુરી આપી દીધી. ગુનો નોંધાઈ ગયો અને એક ટીમ હૈદરાબાદ રવાના થઈ અને અક્કુ રાજેન્દ્રને પકડી અમદાવાદ લઈ આવી. ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા તેણે જણાવ્યુ કે તેના ઘણા નાણા સરકારી પ્રોજેકટમાં જ ફસાઈ ગયા હોવાને કારણે તેની ઉપર બેન્કોનું દેવુ હતું આ સંજોગોમાં તેને તરત કોઈ બેંક ગેરીંટી આપે તેમ ન્હોતુ આથી તેણે થર્ડ પાર્ટી બેન્ક ગેરેટીંની તપાસ કરતા હરિદ્વારના ગૌરવ ગોયલ અને તેમના પત્ની મધુ ગોયલે ગેરેટીં આપવાની તૈયારી બતાડી હતી જે પેટે તેમના ખાતામાં સાત કરોડ જમા કરાવ્યા હતા.
આ કબુલાતને આધારે ક્રાઈમ બ્રાન્ચે ગોયલ દંપત્તીને પણ ઝડપી લીધા હતા, કારણ બનાવટી બેન્ક ગેરેન્ટી સાચા તરીકે ખપાવી તેમણે અક્કુ રાજેન્દ્રને બેન્ક ગેરેટીં આપી હતી. આ તપાસ ચાલી રહી હતી હતી તે દરમિયાન બે ઘટના ઘટી એક તો ઈમન્સપેકટર ચેતન જાદવ અન્ય એક મોટા ઓપરેશન ઉપર કામ કરી રહ્યા હતા. બહુ મોટા ગુનેગાર સુધી તેઓ પહોંચી ગયા હતા, પણ આ માહિતી અન્ય એજન્સીને લીક થઈ, આતંરિક હરિફાઈને કારણે અન્ય એજન્સીને ડર લાગ્યો કે ક્રાઈમ બ્રાન્ચ મોટુ ઓપરેશન પાર પાડશે. બીજી ઘટના એવી બની કે ચેતન જાદવની તપાસમાં આવ્યુ કે મંતોવની કંપની આર્થિક સ્થિતિ ખરાબ છે તેવુ સ્વાન કંપની જાણતી હોવા છતાં તેણે તેમને કોન્ટ્રાકટ આપ્યો અને પ્રોજેકટ સમયસર પુરો થઈ શકયો નહી. આ અંગે કેટલાંક સવાલો ચેતન જાદવે ફરિયાદી રાહુલ શર્માને પુછયા હતા, આથી આ મામલો તરત ગાંધીનગરના સાહેબ સુધી પહોંચ્યો કે ફરિયાદીને કેમ સવાલ પુછો છો. વાત સીપી અને ડીજી સુધી પહોંચી અને તરત વડોદરા બદલીનો આદેશ આવી ગયો. આમ ચેતન જાદવ માટે ગોઠવવામાં આવેલી આ પુર્વ યોજીત ગેઈમ હતી કે ચેતન જાદવ ગોઠવાયેલી રમતનો શિકાર બની ગયા તે તપાસનો વિષય છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.