નવજીવન ન્યૂઝ. નવસારી: કેન્દ્ર સરકારના નવા આદેશ મુજબ હવે બોરવેલ માટે નાગરિકોએ સરકારની મંજૂરી લેવી પડશી, જેના માટે 10000 રૂપિયા ચુકવવાના રહેશે. સરકાર દ્વારા આ નિર્ણય લેવાયા બાદ સતત તેનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલે PM મોદીને એક પત્ર લખીને આક્રોશ ઠાલવ્યો છે અને આ નિર્ણય રદ કરવાની માગ કરી છે.
ધારાસભ્ય અનંત પટેલે પત્રમાં લખ્યું છે કે, “સરકારના આ નિર્ણયથી દેશના કરોડો નાગરિકોના મૂળભૂત અધિકારો ઉપર બોજારૂપી ટેક્સ નાખી પૂર્વ આયોજિત કાવતરૂ રચવામાં આવ્યું છે તેવી તેમને શંકા છે. તેમજ દેશના નાગરિકો, પશુ-પક્ષી કે વનસ્પતિને પાણી-પુરવઠા પહોંચાડવાની જવાબદારી સરકારની છે. આ જવાબદારી પ્રમાણિકતા અને પારદર્શક રીતે થાય તેવી ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નર્મદા યોજના બનાવી હર ઘર જલ ખેતરમાં પાણીના નારા સાથે 90 હજાર કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો તેથી ગામેગામ પીવાના પાણીની સુવિધા પહોંચી તે આવકાર્ય છે, પરંતુ રહેઠાણના તમામ બોર ઉપર 10,000 રૂપિયા લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવે તે ખૂબ દુઃખદાયક છે.”
તેમણે વધુમાં લખ્યું હતું કે, “દેશના નાગરિકો જે પોતાના ખર્ચે બોરવેલ બનાવે છે તેમણે બોરવેલ ચલાવવા માટે વીજળીનું બિલ તો સરકારને ચૂકવે જ છે, તેમ છતાં હવે સરકારને બોરવેલના NOCના નામે 10000 રૂપિયા વસૂલવા છે. આ નિર્ણય વહેલી તકે રદ કરવામાં આવે અને ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા તમામ સોસાયટી, ફ્લેટ કે ચાલી, વૈભવી બંગલોમાં પણ સરકાર દ્વારા શુદ્ધ પીવાના પાણીની સુવિધા આપવામાં આવે તેવી મારી માગ છે.”
તેમણે વર્તમાન સરકારને અંગ્રેજોએ સાથે સરખાવતા લખ્યું હતું કે અંગ્રેજોએ મીઠા જેવી મૂળભૂત જરૂરિયાત ઉપર ટેક્સ લગાવીને ભારતના લોકોને લૂંટવાનો પ્રયત્ન કર્યો હતો. અંગ્રેજ સરકારનો આ ટેક્સ ગાંધીજી મીઠાનો સત્યાગ્રહ કરીને દૂર કર્યો હતો, આજે અંગ્રેજોએ ભારત છોડીને જતાં રહ્યા છે, ભારત આઝાદ દેશ છે તેમ છતાં અલગ અલગ પ્રકારના ટેક્સ લઈને સરકાર નાગરિકોને લૂંટવાનું કામ કરી રહી છે.