નવજીવન ન્યૂઝ, અમદાવાદ : પશ્ચિમ અમદાવાદાના મેમનગર વિસ્તારમાં આવેલા સામ્રાજ્ય ટાવર (Samrajya Tower Ahmedabad) ના પાર્કિંગમાં આધેડની લાશ મળી છે. લોહીલુહાણ હાલતમાં પાર્કિંગ ખાતેથી મળેલા મૃતદેહને લઈને શરૂ કરાયેલી પોલીસ તપાસમાં CCTV Footage હાથ લાગ્યા છે. ઘાટલોડીયા પોલીસ (Ghatlodia Police) ની પ્રાથમિક તપાસમાં હત્યાની ઘટનામાં સોસાયટીનો શખસ સામેલ હોવાની શક્યતા છે.
મેમનગરના સામ્રાજ્ય ટાવરના એચ બ્લોકના પાર્કિંગમાંથી આજે સવારે મૂળ ગોધાવીના કાનજીભાઈ (ઉ. 55)નો મૃતદેહ મળી આવ્યો છે. કાનજીભાઈ છૂટક મજૂરી કામ કરતા અને સામ્રાજ્ય ટાવરના કોમન પાર્કિંગમાં જ પચ્ચીસેક વર્ષથી રહેતા હતા. પાર્કિંગમાં મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં ઘાટલોડીયા પોલીસનો કાફલો તેમજ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. મૃતદેહ તેમજ આસપાસમાં ઉડેલા લોહીના છાંટા જોઈને જ પોલીસને હત્યા (Murder in Ahmedabad) થઈ હોવાનો ખ્યાલ આવી ગયો હતો. સિક્યુરિટી ગાર્ડ સહિતના લોકોના નિવેદન નોંધી પોલીસે સોસાયટીના સીસીટીવી ફૂટેજ મેળવ્યા તેમાં એક શખસ કાનજીભાઈ પર હુમલો કરી રહ્યો હોવાનું દેખાય છે. હત્યામાં સામેલ શખસની પોલીસે ઓળખ કરી લીધી છે.








