નવજીવન ન્યૂઝ. ભરૂચ: ગુજરાતમાં ચોમાસની ઋતુનું આગમન થયા બાદ સામાન્ય રીતે શહેરી વિસ્તારોમાં આનંદનો માહોલ જોવા મળે છે, પરંતુ આઝાદીના 75 વર્ષે પણ ગુજરાતના અનેક ગામડાઓ એવા છે જ્યાં વરસાદ ઘણી બધી સમસ્યાઓ સાથે લઈને આવે છે. ભરૂચ જિલ્લાના ડહેલી ગામની પણ આવી જ કઈક સ્થિતિ છે. વર્ષોથી જ્યારે પણ વરસાદ આવે ત્યારે ગામમાં પુલના અભાવના કારણે લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો છે, જે જોઈને કોઈ પણ કરૂણ હૃદયનો માણસ હચમચી જાય. ગામમાં પુલ ન હોવાને કારણે અંતિમયાત્રા નદીના પાણીમાં ચાલીને લોકો લઈ જઇ રહ્યા હોય તેવું આ વીડિયોમાં જોઈ શકાય છે.
ભરૂચ જિલ્લાનું આ ગામ મોટા ભાગે આદિવાસી વસ્તી ધરાવે છે. વર્ષોથી જ્યારે પણ ચોમાસાની ઋતુમાં કોઈનું અવસાન થાય ત્યારે ગામના લોકોએ કીમ નદી ઓળંગીને અંતિમક્રિયા કરવા માટે જવું પડતું હોય છે. ત્યારે આજે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું જેના કારણે 20 જેટલા લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને મૃતકની નનામી લઈને નદી ઓળંગી રહ્યા છે તેવો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ગામના લોકોનું કહેવું છે કે તેમણે અવાર નવાર તંત્ર સામે રજૂઆત કરી છે પણ તંત્ર દ્વારા આ અંગે કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં આવતો નથી અને વર્ષો પહેલા ગામની જે સ્થિતિ હતી, આજે પણ ગામની તે જ સ્થિતિ છે. આમ તો આવો કરૂણ વીડિયો વાયરલ થાય તે યોગ્ય નથી, પણ આપણે સૌ જાણીએ છે કે સોશિયલ મીડિયામાં કેટલી તાકાત છે. હવે જોવું રહ્યું કે આ વીડિયો વાયરલ થયા બાદ તંત્ર કે સરકાર આ ગામ તરફ વિકાસની છડી ફેરવશે કે પછી ગામના લોકોએ ભવિષ્યમાં પણ આવી રીતે જ હેરાન થવાનું છે?

ત્યારે બીજી તરફ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યા બાદ સરકાર દ્વારા એવા દાવા કરવામાં આવે છે કે નર્મદા જિલ્લાનો વિકાસ થઈ ગયો છે, પરંતુ આજે સોશિયલ મીડિયામાં એક મહિલાની તસવીર વાયરલ થઈ છે જેમાં જોઈ શકાય છે કે મહિલાના ખેતરમાં વાવણી ચાલી રહી છે. વાવણી માટે ખેતર ખેડવા બળદ કે ટ્રેક્ટર ન હોવાના કારણે મહિલા જાતે હળ દ્વારા ખેતર ખેડતી હોય તેવું જોઈ શકાય છે. શું આ જ છે ગુજરાતનો વિકાસ?








