નવજીવન ન્યૂઝ. જામનગર: ગુજરાતમાં અત્યારે પશુઓમાં લમ્પી વાયરસના કારણે અઢળક પશુઓના મૃત્યુના અહેવાલ સામે આવી રહ્યા છે. વિપક્ષ દ્વારા સતત ગુજરાત સરકાર ઉપર પ્રહારો કરવામાં આવી રહ્યા છે કે સરકાર આ પશુઓના સંરક્ષણ માટે કઈ કરી નથી રહી, ત્યારે આજે ગુજરાતનાં મુખ્યમંત્રી જામનગર પહોંચ્યા છે જ્યાં તેમણે લમ્પી વાયરસના કારણે બીમાર પડેલા પશુઓના સારવાર કેન્દ્રની મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કર્યું હતું. આ જ સમયે જ્યારે મુખ્યમંત્રી અને જામનગર કલેક્ટર મિટિંગ કરી રહ્યા હતા ત્યારે જામનગર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજાએ આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે મોટી સંખ્યામાં પોલીસ હજાર હોવાને કારણે તેમનો બચાવ કરીને અટકાયત કરી લેવામાં આવી હતી.
ઘટનાની પ્રાથમિક જાણકારી મુજબ, આજે CM ભુપેન્દ્ર પટેલ લમ્પી વાયરસના કારણે પશુઓમાં ફેલાયેલા રોગચાલની સમિક્ષા કરવા જામનગર પહોંચ્યા હતા, જ્યાં કલેક્ટર કચેરી ખાતે CM અને કલેક્ટર વચ્ચે એક મિટિંગ ચાલી રહી હતી તે દરમિયાન જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજાએ કલેક્ટર કચેરી આગળ આવીને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે પોતાના શરીર ઉપર કેરોસીન છાંટી પણ દીધું હતું. જોકે સીએમ આવ્યા હોવાને કારણે કલેક્ટર કચેરી ખાતે ભારે પોલીસ બંદોબસ્ત હતો અને તેમાં રહેલા પોલીસ કર્મીઓ દ્વારા તેમણે પકડીને બચાવી લેવામાં આવ્યા હતા અને હાલ તેમની અટકાયત કરી લેવામાં આવી છે.








