નવજીવન ન્યૂઝ, સુરત : ચૂંટણી પૂર્વે ભાજપની 135 સીટ બિનહરીફ થઈ હોવાનું ગુજરાત ભાજપ (Gujarat BJP) પ્રમુખ જગદીશ વિશ્વકર્મા (Jagadish Vishwakarma) એ જાહેર કર્યું છે. બીજી તરફ આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) અને કૉંગ્રેસે (Congress) આરોપ લગાવ્યો છે કે, ભાજપના ઇશારે પોલીસ ઉમેદવારો અને કાર્યકર્તાઓને ડરાવવા, ધમકાવીને તોડજોડની રાજનીતિ કરી રહી છે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (Surat Municipal Corporation) ની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય પારો ગરમાયો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા (Gopal Italia) એ પોલીસ વિભાગ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, પોલીસ ભાજપના ઈશારે AAPના ઉમેદવારો અને કાર્યકર્તાઓને ડરાવી-ધમકાવી રહી છે. ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચવા માટે પહેલાં પૈસાની લાલચ આપવામાં આવે છે અને જો ન માને તો પોલીસ દ્વારા દબાણ લાવવામાં આવે છે. વધુમાં ઇટાલિયાએ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની મિલીભગતનો દાવો કરતા કહ્યું કે, કોંગ્રેસે ભાજપના કહેવાથી 200 બેઠક પર એવા ઉમેદવારો ઊભા રાખ્યા છે. જે માત્ર વિરોધ પક્ષના મતો તોડવાનું કામ કરે.
સુરત શહેરમાં મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ હવે માત્ર પોસ્ટરો અને સભાઓ પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ તે ગંભીર આક્ષેપો અને વહીવટી તંત્રના દુરુપયોગના આરોપો સુધી પહોંચી ગયો છે. સુરત કૉંગ્રેસે શાસક પક્ષ અને પોલીસ તંત્ર સામે મોરચો માંડતા એવો આરોપ લગાવ્યો છે કે, પોલીસનો ઉપયોગ કરીને કૉંગ્રેસના ઉમેદવારોને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે.








