નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલા અપહરણ બાદ કરાયેલી હત્યાના કેસમાં ગાંધીનગરની અદાલતે બે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. મિત્રનું અપહરણ કરીને નર્મદા કેનાલમાં જીવતો ફેંકી મોતને ઘાટ ઉતારવાના કેસમાં ગાંધીનગર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટે (Gandhinagar Principal District and Sessions Court) આજીવન કેદની સજા સાથે 70 હજારનો દંડ ફટકાર્યો છે.
વર્ષ 2022ની 31 ઓગસ્ટની રાતે આરોપી ધવલકુમાર કનુભાઈ નાઈ (રહે. હરિ પાર્ક સોસાયટી, ચાંદખેડા) અને મુકેશભારથી ભૂપતભારથી ગૌસ્વામી (રહે. સના ડાયમંડ કંપની, કડી) એ પૂર્વયોજિત કાવતરું ઘડીને કેતન શાહનું તેમની જ કારમાં ચાંદખેડા બસ સ્ટેન્ડ (Chandkheda Bus Stand) પાસેથી અપહરણ કર્યું હતું. બાદમાં આરોપીઓ કેતનભાઈને શેરીશા ગામની સીમમાં પસાર થતી નર્મદા કેનાલ પાસે લઈ ગયા હતા. જ્યાં નજીવી બાબતે ઝઘડો કરી કેતનભાઈને જીવતા જ કેનાલમાં ફેંકી દીધા હતા. જેના લીધે તેમનું મોત થતાં સપ્ટેમ્બર-2022માં રોજ ચાંદખેડા પોલીસ મથકે (Chandkheda Police Station) અપહરણ અને હત્યાનો ગુનો નોંધાયો હતો. ગાંધીનગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજની કોર્ટમાં આ કેસ ચાલી જતાં બંને આરોપીઓને સજા ફટકારવામાં આવી છે.








